IMG_20230721_164806

ઓછા દરે શ્રમિકોને મળશે રૂ.૧૦ લાખ અને રૂ.પાંચ લાખના અકસ્માત વિમાનો લાભ

અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના

ઓછા દરે શ્રમિકોને મળશે રૂ.૧૦ લાખ અને રૂ.પાંચ લાખના અકસ્માત વિમાનો લાભ

આ યોજનાનો લાભ લેવા શ્રમિકોએ નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો

 આણંદ,
 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, કેન્દ્રીય  સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં  “અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના” નો ખેડા જિલ્લાના નડિયાદથી પ્રારંભ કરાવ્યો હતો.
આ યોજના હેઠળ ખેડા જિલ્લાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હોવાનું ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર દ્વારા જણાવાયું છે. આ યોજના હેઠળ ખેડા જિલ્લામાં બે માસમાં એક લાખ જેટલા શ્રમિકોને આવરી લેવાનો  ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો છે. 

આ યોજનાનો મુખ્ય હેતુ સ્થાનિક શ્રમિકો સુધી  અકસ્માત વિમાનો લાભ પહોંચવાડવાનો છે.શ્રમિકો અલગ અલગ સ્થાન પર પોતાના જીવના જોખમે કામ કરતા હોય છે. તેઓને એક અભેદ્ય સુરક્ષા કવચ પૂરું પાડવા અને સરકારના ' INSURANCE FOR ALL' na ધ્યેયને સાકાર કરવા માટે આઈપીપીબી “અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના” અમલમાં મૂકવામાં આવી છે. આ અકસ્માત વીમો રૂ.૧૦ લાખ અને રૂ.૫ લાખ એમ બે વિકલ્પમાં ઉપલબ્ધ છે. આ વીમા હેઠળ  ખુબ જ ઓછા પ્રિમીયમમાં એટલે કે રૂ.૪૯૯/- અને રૂ.૨૮૯/-  શ્રમિકવર્ગ ને દુર્ઘટનાથી મૃત્યુ, વિકલાંગતા, હોસ્પિટલમાં દાખલ ખર્ચ અને વીમાધારકના મૃત્યુ બાદ બાળકોના શિક્ષણના લાભ સુધી વિવિધ સવલતો પુરી પાડવામાં આવે છે. 

આ યોજનાના પ્રારંભે માત્ર ટૂંકા ગાળામાં  ગુજરાત સર્કલ દ્વારા આશરે ૨૦૦૦ જેટલા શ્રમિકોને યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ થયેલ ખેડા જિલ્લામાં આ યોજનાનું કાર્ય પુરજોશમાં આગળ ધપી રહ્યું છે અને લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. “અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના” નો લાભ લેવા નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવા જણાવાયું છે.
******