IMG-20230316-WA0017

ભારતે વિશ્વની ડેરી બનવા માટે દેશના ડેરી ઉદ્યોગે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા બાબતે ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ-કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા

ભારતે વિશ્વની ડેરી બનવા માટે દેશના ડેરી ઉદ્યોગે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા બાબતે ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ -કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા

ગાંઘીનગર ખાતે ઈન્ડીયન ડેરી એસોસિએશનની 49મી ત્રિદિવસીય કોન્ફરન્સનો પ્રારંભ

કોન્ફરન્સનો વિષય “ભારતને વિશ્વની ડેરી બનવા માટેની તક અને પડકારો” છે.

કોન્ફરન્સમાં ભારત અને વિદેશમાંથી ડેરી નિષ્ણાતો,સહકારી સંસ્થાઓ, દૂધ ઉત્પાદકો,સરકારી અધિકારી,વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો હાજર રહ્યાં 

ગાંધીનગર 
ભારતે વિશ્વની ડેરી બનવા માટે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા  બનવામાં ધ્યાન આપવુ જોઈએ તેવુ કેન્દ્રના પશુપાલન અને ડેરી ઉદ્યોગના પ્રધાન શ્રી પરશોતમ રૂપાલાએ ગુરૂવારે ડેરી ઉદ્યોગના આગેવાનોને સંબોધતાં જણાવ્યુ હતું. તે ગાંધીનગરમાં ઈન્ડીયન ડેરી એસોસિએશનની 49મી કોન્ફરન્સ અને એક્સપોની ઉદ્ઘાટન બેઠકને સંબોધન કરી રહયા હતા. 

ગુજરાતમાં 27 વર્ષ પછી યોજાતી આ 3 દિવસની કોન્ફરન્સમાં ભારત અને વિદેશમાંથી ડેરી નિષ્ણાતો, સહકારી સંસ્થાઓ, દૂધ ઉત્પાદકો, સરકારી અધિકારી,વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, આયોજકો અને હિતધારકોને એકત્ર થયા છે. આ કોન્ફરન્સનો થીમ “ભારતને વિશ્વની ડેરી બનવા માટેની તક અને પડકારો ” રાખ્યો છે.

શ્રી પરશોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું કે “ભારતના ડેરી ઉદ્યોગે નોંધપાત્ર વેગ પ્રાપ્ત કર્યુ છે અને તે વિશ્વને દૂધ અને ડેરી ઉત્પાદનો અંગે સુરક્ષિત કરી શકે તેમ છે. પ્રજાતિ સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવું એ સમયની જરૂરિયાત છે. પશુ દીઠ સરેરાશ દૂધ ઉત્પાદન અઢીથી ત્રણ લીટર હોવા છતાં, આપણે દુનિયાના સૌથી મોટા દૂધ ઉત્પાદક છીએ. કલ્પના કરો કે ઉત્પાદકતા વધારીને 10 લીટર સુધી પહોંચે તો ભારત ડેરી ઉદ્યોગમાં ક્યાં સુધી આગળ ધપી શકે? આપણે પ્રજાતિ સુધારણાને મિશન મોડમાં સ્વીકારીને પોતાનુ ધ્યેય સાકાર કરવાનુ છે અને અમૃતકાલમાં ડેરી ક્ષેત્રને એક નવા ઉંચા સ્થાને લઈ જવાનો છે.

ઈન્ડીયન ડેરી એસોસિએસનના પ્રમુખ શ્રી આર.એસ. સોઢીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે “છેલ્લે ડેરી ઉદ્યોગની કોન્ફરન્સ 1996માં આણંદમાં યોજાઈ હતી. એ પછી ડેરી ક્ષેત્રે અજોડ વિકાસ હાંસલ કર્યો છે. એ સમયે ભારતમાં દૂધ ઉત્પાદન 71 મિલિયન ટન હતુ તે હવે વધીને 222 ટન સુધી પહોંચ્યુ છે. ભારતમાં દૂધ ઉત્પાદન 3 ગણુ વધ્યુ છે, જ્યારે ગુજરાતમાં ઉત્પાદન 9  ગણું વધ્યું છે જે દૈનિક 30 લાખ લીટરથી વધીને 270 લાખ લીટર થયું. ડેરી ક્ષેત્રે આત્મનિર્ભર અને કાર્યક્ષમ સપ્લાય ચેઈન બનીને તથા માળખાકીય સુવિધાઓમાં રોકાણ કરીને આપણે ડેરી ઉદ્યોગની વૃધ્ધિમાં યોગદાન આપી શકીએ તેમ છીએ”

ઉદ્ઘાટન બેઠકમાં ડેરી ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સના એક સ્મૃતિચિહ્નનું વિમોચન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ડેરી ક્ષેત્રના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કરનાર વ્યક્તિઓ અંને સંસ્થાઓનુ બહુમાન કરવામાં આવ્યુ હતું. ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના પ્રેસીડેન્ટ પીરક્રીસ્ટીઆનો બ્રેઝેલ વિશ્વમાં ડેરી ક્ષેત્રની સ્થિતિ  અંગે પોતાના વિચાર વ્યકત કર્યા હતા.

નીતિ આયોગના સભ્ય પ્રો. રમેશ ચંદે જણાવ્યુ કે દૂધ અને દૂધનાં ઉત્પાદનો દેશમાં પોષણની જરૂર સંતોષવામાં મહત્વની કામગીરી બજાવે છે. તંદુરસ્ત વ્યક્તિને દૈનિક 380 મી.લી. દૂધની જરૂર હોય છે. જો બગાડને ધ્યાનમાં લઈએ તો ભારતમાં માથાદીઠ ઉત્પાદન 420 મી.લી. હોવો જોઈએ. અને એક દેશ તરીકે, આપણે આ સ્તર વર્ષ 2020-21માં વટાવી દીધો છે અને આપણું ઉત્પાદન ભલામણ કરેલ સ્તરોથી ઉપર છે. ભારતમાં દૂધની માંગ 6%ના દરે વધી રહી છે પરંતુ વસ્તી વૃદ્ધિ માત્ર 1% છે. ઉદ્યોગના વિકાસ માટે આપણે વિદેશનુ બજાર હાંસલ કરવુ અને દૂધની ગુણવત્તા સુધારવી જરૂરી છે. 

સમારંભનુ મુખ્ય પ્રવચન આપતાં નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના ચેરમેન શ્રી મિનેશ શાહે જણાવ્યું કે “આપણી પાસે વિઝન 2047ની બ્લુ પ્રિન્ટ તૈયાર છે. આપણે તે હાંસલ કરવા માટે આપણી એકરૂપતા (સીનર્જી)ને કામે લગાડવાની છે. આપણે દૂધાળાં ઢોરની ઉત્પાદકતા 4 ગણી કરવાની છે અને ભારતનાં દૂધ ઉત્પાદનોની નિકાસમાં 15 ટકાનો વધારો કરવાનો છે. અને COP26 લક્ષ્યો હાંસલ કરવા માટે ટકાઉ ગ્રીન પ્રેક્ટિસ બનાવો. આ પરિવર્તનલક્ષી મજલમાં હું આપનુ સ્વાગત કરૂ છું”

ભારતમાં વર્ષ 2021-22 માં દૂધનુ ઉત્પાદન 222 મિલિયન ટન હતું અને તે વધતી વસતી, અને ખરીદશક્તિ તેમજ પોષણને અપાતા મહત્વને ધ્યાનમાં લેતાં વર્ષ 2047 સુધીમાં તે વધીને 628 મિલિયન ટન થવાની ધારણા છે. ભારતના ડેરી ક્ષેત્રનુ બજાર રૂ.13 લાખ કરોડનુ છે,તે જે વર્ષ 2027 સુધીમાં બમણુ થઈને રૂ. 30 લાખ કરોડનુ થવાનો અંદાજ છે.

ડેરી ક્ષેત્રની આ કોન્ફરન્સ એ આ ક્ષેત્રના પ્રોફેશનલ્સ માટે એકત્ર થઈને વિશ્વના ડેરી ક્ષેત્રની તરાહ, ખેતીમાં ઈનોવેશન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ અને પોષણ અંગે ચર્ચા મારફતે ડેરી ઈનોવેશન અને ઉપાયો અંગે પરામર્ષનુ પ્લેટફોર્મ બની રહેશે.  

આ 3 દિવસની કોન્ફરન્સ દરમ્યાન દૂધ ઉત્પાદન,સંગ્રહ અને પેકેજીંગમાં નવી ટેકનોલોજી દર્શાવતુ પ્રદર્શન યોજાયુ છે.અમદાવાદની બે કંપનીઓ પ્રોમ્પ્ટ ગ્રુપ અને ઈવરેસ્ટ ઈન્સ્સ્ટ્રુમેન્ટે ડેરી ક્ષેત્રના ખેડૂતોને વધુ વળતર મળી રહે તેવી કાર્યક્ષમ મિલ્ક હેન્ડલીંગની  નવી ટેકનોલોજીસ રજૂ કરી છે.

કેન્દ્રના ગૃહ અને સહકાર પ્રધાન શ્રી અમિતશાહ, તા.18મી માર્ચના રોજ 10-30 કલાકે યોજાનાર   ઈન્ડીયન ડેરી સમિટના મુખ્ય મહેમાન છે.  મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પરશોત્તમ રૂપાલા, રાજ્યના પ્રધાન શ્રી જગદીશ વિશ્વકર્મા, એનડીડીબીના ચેરમેન શ્રી મિનેશ શાહ,  પશુપાલન અને ડેરી સચિવ શ્રી રાજેશ કુમાર સિંઘ, ઉપરાંત ઈન્ટરનેશનલ ડેરી ઈન્ડસ્ટ્રીના પ્રેસીડેન્ટ પીરક્રીસ્ટીઆનો બ્રેઝેલ આ પ્રસંગે માનવંતા મહેમાન તરીકે હાજરી આપશે.