આયુષ્માન સેવા રથ બન્યો જીવનદાતા, ઉન્નતિ રાણાને મળ્યું નવું જીવન
આયુષ્માન સેવા રથ બન્યો જીવનદાતા, ઉન્નતિ રાણાને મળ્યું નવું જીવન
સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના કાર્યાલયના સંયુક્ત પ્રયાસો એક નિરાધાર બાળકી માટે આશાનું કિરણ બન્યા
સમયસર આયુષ્માન કાર્ડ બની જતા શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સફળ હૃદય સર્જરી
આણંદ ટુડે | આણંદ
આણંદના લોકલાડીલા સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત આયુષ્માન કાર્ડ સેવા રથ સામાન્ય નાગરિકોને સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આ સેવાકાર્યનું એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી ઉદાહરણ તાજેતરમાં આણંદમાં સામે આવ્યું છે.
આણંદની નાની બાળકી ઉન્નતિ રાણા જન્મથી જ હૃદયના વાલ્વની ગંભીર જન્મજાત તકલીફથી પીડાતી હતી. તેના પિતાનું થોડા સમય પહેલાં અવસાન થયું હતું, જ્યારે તેની માતા માનસિક અસ્વસ્થતાના કારણે તેની યોગ્ય સંભાળ રાખવામાં અસમર્થ હતી. માત્ર 18 કિલોગ્રામ વજન ધરાવતી ઉન્નતિ માટે તાત્કાલિક હૃદય સર્જરી અનિવાર્ય હતી, પરંતુ પરિવાર પાસે આયુષ્માન કાર્ડ ન હોવાથી સારવાર શક્ય બની રહી નહોતી.
આ દરમિયાન ઇનરવ્હીલ ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના પ્રમુખ હેમાબહેન પટેલે ઉન્નતિની પરિસ્થિતિ જાણીને તેની મદદ માટે પહેલ કરી અને સમગ્ર મામલો રોટેરિયન ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી નિહિરભાઈ દવે સુધી પહોંચાડ્યો.
શ્રી નિહિરભાઈ દવેએ કેસની ગંભીરતા સમજી તરત જ માનનીય સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના કાર્યાલય સાથે સંકલન સાધ્યું. આયુષ્માન યોજના ઇન્ચાર્જ નિરવભાઈએ પણ સંવેદનશીલતા અને ઝડપથી કામગીરી કરીને ટૂંકા સમયમાં ઉન્નતિનું આયુષ્માન કાર્ડ તૈયાર કરાવ્યું.
કાર્ડ મળતાની સાથે જ કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં રોટેરિયન ડૉ. કુશલ પૂજારા (કાર્ડિયાક સર્જન) અને તેમની નિષ્ણાત તબીબી ટીમે બીજા જ દિવસે સફળ હૃદય સર્જરી કરી. સમયસર સારવાર મળતાં ઉન્નતિને નવું જીવન મળ્યું અને હાલમાં તે સ્વસ્થતાની દિશામાં આગળ વધી રહી છે.
આ સમગ્ર કામગીરીમાં હેમાબહેન પટેલ અને જયેશભાઈ પટેલની સંવેદનશીલ પહેલ, શ્રી નિહિરભાઈ દવેનું ઝડપી સંકલન, સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના કાર્યાલયની ત્વરિત કામગીરી, આયુષ્માન ઇન્ચાર્જ નિરવભાઈનો સહયોગ, નિમેશ સુથાર, કિશન પાટડીયા તેમજ ડૉ. કુશલ પૂજારા અને તેમની ટીમની નિષ્ણાત સારવારના સંયુક્ત પ્રયાસોથી એક નિરાધાર બાળકીનું જીવન બચાવી શકાયું.
આ પ્રસંગે હેમાબહેન પટેલ સાથે ઇનરવ્હીલ ક્લબના સેક્રેટરી સોનિયા પરીખ, પારુલ પટેલ અને નીતાબેન જેઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે સંવેદના, સમયસરનું સંકલન અને સરકારી યોજનાઓનો અસરકારક અમલ સાથે મળે ત્યારે સાચા અર્થમાં જનસેવા સાકાર બને છે.
