ઉમેટા મહી બ્રિજ પર આત્મહત્યાના બનાવો રોકવા કેશ બેરિયર અને બેરિકેટ્સ લગાવવા ધારાસભ્ય અમિત ચાવડાની ઉગ્ર રજૂઆત
ઉમેટા મહી બ્રિજ પર આત્મહત્યાના બનાવો રોકવા કેશ બેરિયર અને બેરિકેટ્સ લગાવવા ધારાસભ્ય અમિત ચાવડાની ઉગ્ર રજૂઆત
વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહીં કરાતા લોકોમાં રોષ; તાત્કાલિક પગલાં ભરવા માંગ
આણંદ ટુડે | આંકલાવ
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા ખાતે વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહી નદીના બ્રિજ પર છેલ્લા કેટલાક સમયથી અગમ્ય કારણોસર લોકો દ્વારા આત્મહત્યા કરવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. આ ગંભીર સમસ્યાને રોકવા માટે બ્રિજની બંને બાજુએ કેશ બેરિયર, બેરિકેટ્સ અને જરૂરી ચેતવણી દર્શક બોર્ડ લગાવવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ જ સંતોષકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
આ ગંભીર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ-મકાન ડિસ્ટ્રિક્ટ વિભાગ, વડોદરાને લેખિત અને સખત રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે આ બ્રિજ પર સુરક્ષાના સાધનોના અભાવે નિર્દોષ જીવો જોખમાઈ રહ્યા છે, જે અત્યંત દુખદ છે.
બ્રિજ પર સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે બંને સાઈડ મજબૂત કેશ બેરિયર અને લોખંડના બેરિકેટ્સ ત્વરિત ધોરણે ગોઠવવામાં આવે તેમજ જાગૃતિ માટે ચેતવણી દર્શક બોર્ડ લગાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ધારાસભ્યએ વહેલી તકે આ મામલે યોગ્ય કાર્યવાહી કરી માનવજીવન બચાવવા માટે નક્કર પગલાં ભરવા ભારપૂર્વક જણાવ્યું છે.