આણંદના એડવોકેટ સી.કે. પટેલની ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી માટેની ઉમેદવારી દિલ્હીની હાઇપાવર કમિટીએ રદ કરી
આણંદના એડવોકેટ સી.કે. પટેલની ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી માટેની ઉમેદવારી દિલ્હીની હાઇપાવર કમિટીએ રદ કરી
સી.કે. પટેલ બ્રિટિશ નાગરિકતા ધરાવતા હોવાની હકીકત સાથે ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા કાર્ડધારક હોવાથી ઉમેદવાર તરીકે અયોગ્ય ઠરાવાવા સાથે સ્પષ્ટ કર્યું કે તે કોઈપણ રાજ્ય બાર કાઉન્સિલના સભ્ય બનવા માટે લાયકાત ધરાવતા નથી...
આણંદ ટુડે
સમગ્ર રાજયમાં ખૂબ પ્રતિષ્ઠાની ગણાતી બાર કાઉન્સીલ ઑફ ગુજરાતની ચૂંટણીમાં આણંદ જિલ્લાના એડવોકેટ તરીકે જાણીતા સી.કે. પટેલ વિદેશી નાગરિક હોવા છતાં તેમનું ફોર્મ કાયદેસર મંજૂર થતાં તેમની સામે કાયદેસર વાંધાઓ લેતા સી. કે. પટેલની ઉમેદવારી દિલ્હીની હાઇપાવર કમિટીએ રદ કરવાનો ઐતિહાસિક ચૂકાદો આપતા નોધ્યું છે કે, શ્રી ચેલાભાઈ કરસનભાઈ (સી.કે.) પટેલ કોઈપણ રાજ્ય બાર કાઉન્સિલના સભ્ય બનવા માટે લાયકાત ધરાવતા નથી.
આ ચૂંટણી માટે રજૂ થયેલ 102 ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવાની પ્રક્રિયા તા. 9/2/2026ના દિને સાંજે 5 વાગે અમદાવાદ ખાતે રાખેલ. ત્યારે ઉમેદવાર અને એડવોકેટ મનોહરસિંહ પરમારએ આ હકીકત દિલ્હી સુધી લઈ જવાના નિર્ણય સાથે આણંદના તમામ વકીલ મંડળના સિનિયર એડવોકેટ પૈકી આણંદ ડિસ્ટ્રિક્ટ બારના પ્રમુખ આર. ટી. શાહ, આણંદ વકીલ કલ્યાણ મંડળના પ્રમુખ શ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ), ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના પૂર્વ વાઇસ ચેરમેન હેમંતભાઈ પટેલ, આણંદ ડિસ્ટ્રિક્ટ બારના પૂર્વ પ્રમુખ આર. એસ. પટેલ સહિતના સિનિયર વકીલોની ટીમના માર્ગદર્શન સાથેની રજૂઆત આ ચૂંટણી માટેની દિલ્હી સ્થિત હાઇપાવર ઇલેક્શન કમિટીને કરી હતી. તા. 8 ફેબ્રુઆરીએ વાંધાઓ ફાઇલ કરાયા અને તા. 11મીએ સવારે 10 વાગે 19 પાનનો સંપૂર્ણ ચૂકાદો જાહેર કરવામાં આવ્યો.
દિલ્હી સ્થિત આ હાઇપાવર ઇલેક્શન કમિટીના કોરમ હેઠળ મણિપુર રાજ્યના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને ચેરમેન સિનિયર એડવોકેટ સિધાર્થ મ્રિદુલ સાથે બે સભ્યો સિનિયર એડવોકેટ આર. પી. ભટ્ટ અને સિનિયર એડવોકેટ અનુપમલાલ દાસએ જાહેર કરેલ નિર્ણય અને આદેશમાં જણાવ્યા મુજબ, શ્રી ચેલાભાઈ કરસનભાઈ (સી.કે.) પટેલે સ્વૈચ્છિક રીતે યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને નોર્થર્ન આયરલેન્ડની નાગરિકતા સ્વીકારી તથા મેળવી છે અને તેઓ હાલમાં ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા(OCI) કાર્ડધારક તરીકેનો દરજ્જો ધરાવે છે. તેથી તેઓ વિદેશી નાગરિક ગણાય છે અને એડવોકેટ્સ એક્ટ, 1961ની કલમ 24(1)(a) મુજબ ભારતના નાગરિક નથી, જે OCI કાર્ડધારક અંગેની તારીખ 22.07.2021ની સૂચનાથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પરિણામે, તેમજ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા નિયમો ભાગ-III, અધ્યાય-I તથા વિદેશી નાગરિકોના નોંધણી અને પ્રેક્ટિસ સંબંધિત બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા નિયમો, 2025ને ધ્યાનમાં લેતા, સી.કે. પટેલ કોઈપણ રાજ્ય બાર કાઉન્સિલના સભ્ય બનવા માટે લાયકાત ધરાવતા નથી અને તેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ઉમેદવાર બનવા માટે અયોગ્ય ઠરે છે.
ઉમેદવાર અને એડવોકેટ મનોહરસિંહ રાજસિંહ પરમાર દ્વારા સી.કે. પટેલની ઉમેદવારી સામે દાખલ કરાયેલ વાંધા અરજી મંજૂર કરવામાં આવી છે. સી.કે. પટેલએ વિદેશી નાગરિકતા સ્વીકારી હોવાથી તેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય પદ માટે હાલની ચૂંટણી લડી શકતા નથી. તેમની ઉમેદવારી નામંજૂર ગણાશે અને તેમનું નામ ચૂંટણી લડતા ઉમેદવારોની અંતિમ યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. જે હુકમના આધારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચીફ રિટર્નિંગ ઓફિસર એચ. એમ. પરીખ અને સહ રિટર્નિંગ ઓફિસર આર. સી. જાનીએ આ આદેશનો તરત અમલ કરી આખરી ઉમેદવાર યાદીમાંથી ક્રમ 63 ઉપરથી સી.કે. પટેલનું નામ હટાવી રદ્દ કરી દીધું છે. આ સ્પષ્ટ અને ઐતિહાસિક ચુકાદા સાથે સમગ્ર ગુજરાતનાં તમામ વકીલ મંડળો સાથે જોડાયેલ લાખો વકીલો અને 100 જેટલા ઉમેદવારોની ચૂંટણી માટેની પોલિસીની પુનઃ વિચારણા કરવાની સ્થિતિ ઊભી થઈ છે.
****

