આણંદના અંબાલી ગામના માર્ગે ગુજરાતના CM ની એક અત્યંત સૌમ્ય અને પ્રેમાળ છબી જોવા મળી.
પદ ગમે તે હોય, પણ સંબંધો હંમેશા હૃદયના હોય છે
આણંદના અંબાલી ગામના માર્ગે ગુજરાતના CM ની એક અત્યંત સૌમ્ય અને પ્રેમાળ છબી જોવા મળી.
માર્ગ વચ્ચે ગાડી થોભાવીને ગ્રામજનો અને બાળકો સાથે પ્રેમાળ સંવાદ સાધ્યો
આણંદ ટુડે | આણંદ,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા ખાતેના કાર્યક્રમ બાદ ગાંધીનગર પરત જઈ રહ્યા હતા. તે સમયે મુખ્યમંત્રીશ્રી જ્યારે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાલી ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં, ત્યારે એક હૃદયસ્પર્શી દ્રશ્ય સર્જાયું હતું. શાળા છૂટ્યા બાદ યુનિફોર્મ પહેરીને ઊભેલા માસૂમ બાળકો અને સ્થાનિક ગ્રામજનો મુખ્યમંત્રીશ્રીની એક ઝલક મેળવવા આતુરતાથી માર્ગની બાજુમાં ઊભા હતા. તે સમયે મુખ્યમંત્રીની નજર આ બાળકો અને ગ્રામજનો પર પડી, તેમણે ક્ષણનોય વિલંબ કર્યા વિના તેમની ગાડી તાત્કાલિક ઉભી રખાવી હતી.
મુખ્યમંત્રીશ્રી પ્રોટોકોલની તમામ મર્યાદાઓ બાજુ પર મૂકીને પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા અને સીધા જ બાળકો તરફ આગળ વધ્યા. ગામડાના ધૂળિયા માર્ગ પર ગુજરાતના શાસકને પોતાની વચ્ચે જોઈને બાળકોના ચહેરા આશ્ચર્ય અને ખુશીથી ખીલી ઉઠ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ કોઈ પણ ઔપચારિકતા વિના બાળકો સાથે બાલ સહજ ભાષામાં સંવાદ કરીને "કઈ સ્કૂલમાં ભણો છો?", "શું અભ્યાસ કરો છો?" જેવા વહાલભર્યા પ્રશ્નો પૂછીને તેમણે બાળકોની પીઠ થાબડી હતી અને તેમને ભણીને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાત માત્ર ઔપચારિક નહોતી, પરંતુ એક વડીલના પોતાના સંતાનો પ્રત્યેના સ્નેહની અનુભૂતિ કરાવતી હતી.
બાળકો બાદ મુખ્યમંત્રીશ્રીએ ત્યાં ઉપસ્થિત ગ્રામજનો સાથે પણ ખૂબ જ આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો. "ગામમાં કોઈ તકલીફ તો નથી ને?" તેવી પૃચ્છા કરીને તેમણે વહીવટીતંત્ર પ્રત્યે પ્રજાના વિશ્વાસને વધુ મજબૂત કર્યો હતો.
તેમણે વાલીઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગમે તેવી પરિસ્થિતિમાં પણ બાળકોના શિક્ષણ સાથે બાંધછોડ ન કરવી અને તેમને ભણાવવા.
મુખ્યમંત્રીશ્રીની આ સંવેદનશીલતા અને સામાન્ય માનવી પ્રત્યેની ચિંતા ગ્રામજનોના હૃદયને સ્પર્શી ગઈ હતી.
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીની નજર નજીકના ઘરમાં કાર્યરત ગોબરગેસ પ્લાન્ટ પર પડી હતી. તેમણે તુરંત જ પ્લાન્ટના માલિક વિઠ્ઠલભાઈ પરમાર પાસે જઈને તેમની સાથે ગોબરગેસ પ્લાન્ટના વપરાશ, તેનાથી થતા ફાયદા અને આ પ્લાન્ટ કેટલા સમયથી કાર્યરત છે તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી માહિતી મેળવી હતી.
સત્તાના સર્વોચ્ચ શિખરે બેઠેલી વ્યક્તિ એક સામાન્ય ખેડૂત સાથે આટલી સહજતાથી વાત કરે, તે દ્રશ્ય ખરેખર અનન્ય હતું.
મુખ્યમંત્રીશ્રીની આ અણધારી મુલાકાત અને સરળ સ્વભાવથી ગદગદિત થયેલા વિઠ્ઠલભાઈએ ગર્વભેર જણાવ્યું હતું કે, "અમને તો સ્વપ્નેય ખ્યાલ નહોતો કે રાજ્યના મુખ્યમંત્રીશ્રી તેમની ગાડી ઉભી રાખીને અમારી ખબરઅંતર પૂછવા ઊભા રહેશે. આ અમારા અને અમારા આખા અંબાલી ગામ માટે અત્યંત આનંદ અને ગૌરવની ક્ષણ છે." મુખ્યમંત્રીશ્રીની આ સહજતાએ સાબિત કરી આપ્યું કે શાસન જ્યારે સંવેદનશીલ હોય છે, ત્યારે લોકશાહી સાચા અર્થમાં સાર્થક બને છે.
