કોંગોના સંકટમાંથી ગુજરાતી પ્રોફેસરનો બચાવ, સરકારના પ્રયાસો રંગ લાવ્યા
ઇબોલા પ્રભાવિત કોંગોમાં ફસાયેલા ભુજના પ્રોફેસરની ગુજરાત સરકારના હસ્તક્ષેપથી સુરક્ષિત વતન વાપસી
હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ NSGF, વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસોના સંકલિત પ્રયાસોથી ડૉ. અમીન સમાને મળી મુસાફરીની મંજૂરી; 18 જૂને ભારત પરત ફરશે
"વિશ્વના કોઈપણ ખૂણે મુશ્કેલીમાં મુકાયેલા ગુજરાતીઓ અને ભારતીય નાગરિકોને સહાય પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતા છે."- હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી, ગુજરાત
ભુજ
ઇબોલા સંબંધી ચિંતાઓ વચ્ચે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી)ના ગોમા શહેરમાં લગભગ એક મહિનાથી ફસાયેલા ભુજ સ્થિત શ્રી આર.આર. લાલન કોલેજના સહાયક પ્રાધ્યાપક ડૉ. અમીન સમાને ગુજરાત સરકારના ત્વરિત હસ્તક્ષેપથી સુરક્ષિત રીતે વતન પરત ફરવાનો માર્ગ મોકળો બન્યો છે.
ડૉ. સમા 15 મે, 2026ના રોજ રવાંડા પહોંચ્યા બાદ મિત્રને મળવા ગોમા શહેર ગયા હતા. પરંતુ ઇબોલા ફાટી નીકળવાની આશંકાને કારણે રવાંડા સરકારે ડીઆરસી સાથેની સરહદ બંધ કરી દેતા તેઓ ત્યાં જ ફસાઈ ગયા હતા. પરિણામે તેમની 31 મેની ભારત પરત આવવાની ફ્લાઇટ પણ ચૂકી ગઈ હતી.
મદદ માટે ડૉ. સમાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કચેરીનો સંપર્ક કરતાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશન (NSGF)એ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. વિદેશ મંત્રાલય તથા રવાંડા અને ડીઆરસી સંબંધિત ભારતીય દૂતાવાસો સાથે સતત સંકલન સાધી જરૂરી મંજૂરીઓ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
સતત અનુસરણ અને રાજદ્વારી સ્તરે થયેલા પ્રયાસોના પરિણામે 17 જૂને ડૉ. સમાને ટ્રાન્ઝિટ અને ભારત પરત ફરવા માટે જરૂરી તમામ કાનૂની મંજૂરીઓ મળી ગઈ હતી. જેના કારણે 18 જૂને તેમની સુરક્ષિત વતન વાપસીનો માર્ગ મોકળો બન્યો છે.
મુસાફરીની મંજૂરી મળ્યા બાદ ડૉ. અમીન સમાએ ગુજરાત સરકાર, NSGF, વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મુશ્કેલ સમયમાં મળેલી સહાય તેમના માટે અત્યંત મહત્વપૂર્ણ રહી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિશ્વના કોઈપણ ખૂણે મુશ્કેલીમાં મુકાયેલા ગુજરાતીઓ અને ભારતીય નાગરિકોને શક્ય તેટલી સહાય પહોંચાડવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા યથાવત છે.

