1002731692

આંકલાવ ખાતે રાષ્ટ્રીય પદયાત્રિકોનું ઉમળકાભેર સ્વાગત કરાયું

સરદાર@૧૫૦:: રાષ્ટ્રીય એકતા પદયાત્રા : બીજો દિવસ

આંકલાવ ખાતે રાષ્ટ્રીય પદયાત્રિકોનું ઉમળકાભેર સ્વાગત કરાયું

સરદાર એક માત્ર નામ નથી, તે યુવાનોમાં ક્રાંતિ ભાવ પેદા કરે છે- કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી બી એલ વર્મા

સાંસદશ્રી મિતેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી આંકલાવ ખાતે યોજાયેલ સરદાર ગાથા વિશે જાણકારી આપી

આણંદ, ગુરુવાર 

આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રીમેદાનથી તા. 26 નવેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતુ. આ પદયાત્રા તેના બીજા દિવસે આંકલાવ ખાતે પૂર્ણ થઈ હતી. 

આંકલાવ ગામમાં રાષ્ટ્રીય પદયાત્રા પ્રવેશી ત્યારે આંકલાવ ગામના લોકોએ આ પદયાત્રામાં સહભાગી બનેલા પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી બી.એલ વર્માએ તેમના વક્તવ્યમાં ગુજરાતની પાવન ધરતીને પ્રણામ કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા પદયાત્રા એ માત્ર પદયાત્રા નથી, સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ભાવનાની નવી ચેતના ઉજાગર કરવાનો પ્રસંગ છે.

સરદાર પટેલ એક નામ નથી, તે યુવાનોમાં ક્રાંતિ ભાવ પેદા કરે છે, તેમ જણાવી કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ કહયું કે, દેશના ઉત્તર થી દક્ષિણ અને પૂર્વ થી પશ્ચિમ સુધી એક બંધારણ અને એક રાષ્ટ્ર ધ્વજ લહેરાય છે, તેનું મુખ્ય કારણ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ છે. 

વધુમાં કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે જે રીતે ૫૬૨ દેશી રજવાડાઓનું વિલિનીકરણનું સરાહનીય કાર્ય કર્યું છે તેના કારણે આજે અખંડ ભારતનું નિર્માણ શક્ય બન્યું છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતના નિર્માણમાં જે રીતે કાર્ય કર્યું તેને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી તેમને યથોચિત સન્માન આપ્યું છે. 

આણંદ જિલ્લાના નગરજનોના અભિવાદનથી અભિભૂત થઈ કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા પદયાત્રા જયારે નાવલી થી આંકલાવ નીકળી ત્યારે નગરના તથા ગ્રામ્ય વિસ્તારોની બહેનો, દીકરીઓ તથા વડીલોએ જે રીતે આદર સત્કાર કર્યો છે, તે ખરેખર અન્ય રાજ્યોમાંથી આવેલ લોકો માટે પણ વંદનિય બની રહ્યો હતો.

જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલે પણ પ્રાસંગિક ઉદબોધનમાં સરદાર પટેલે દેશ માટે કરેલા કર્યો વિશે વિસ્તૃત જાણકારી ઉપસ્થિતોને પૂરી પાડી હતી.

સાંસદશ્રી મિતેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી આંકલાવ ખાતે યોજાયેલ સરદાર ગાથા વિશે જાણકારી આપી હતી આ તકે આંકલાવ શહેરના અગ્રણી શ્રી મિહિર શાહ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે મહાનુભાવોના વરદહસ્તે આંકલાવ નગરના તથા ગ્રામ્ય વિસ્તારના વરિષ્ઠ નાગરિક, ખેડૂત, પ્રતિભા શાળી ખેલાડીઓ તથા શિક્ષકોને તથા સૈનિક પરિવારને સન્માન પત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ લોક સાહિત્યકાર નિર્મલ દાન ગઢવી એ સરદાર પટેલની જીવન ગાથાનું રસપાન કરાવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ, નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, રાષ્ટ્રીય યુનિટી માર્ચના સહ સંયોજક શ્રી નરેન્દ્ર સિંઘ, ખંભાત ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, આંકલાવ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઉન્નતિબેન પટેલ સહિત નગરપાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

------------