IMG-20240303-WA0057

કહાનવાડી ખાતેથી આણંદ જિલ્લાને રૂપિયા ૧૦૬.૨૧ કરોડના વિકાસ પ્રકલ્પોની મુખ્યમંત્રીશ્રીએ ભેટ આપી

ગુજરાતમાં સવા ત્રણસો વર્ષથી જ્ઞાનજ્યોત જગાવતા શ્રી રવિભાણ સંપ્રદાયે અનેક સમર્થ તેજસ્વી સંતોની ભેટ ગુજરાતને આપી છે- મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

શ્રી રવિભાણ સાહેબ ગુરુગાદી - કહાનવાડી ખાતે યોજાયેલા નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

કહાનવાડી ખાતેથી આણંદ જિલ્લાને રૂપિયા ૧૦૬.૨૧ કરોડના વિકાસ પ્રકલ્પોની  મુખ્યમંત્રીશ્રીએ ભેટ આપી


આણંદ ટુડે | આણંદ,
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું હતું કે, કબીર સાહેબના સાધના, દર્શન અને વિચારધારાને ઝીલીને જળહળતો શ્રી રવિભાણ સંપ્રદાય સવા ત્રણસો વર્ષથી જ્ઞાનજ્યોત જગાવતો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે. આ સંપ્રદાયે અનેક સમર્થ, તેજસ્વી સંતોની ભેટ ગુજરાતને આપી છે. જે પૈકી કહાનવાડી ખાતે ૨૦૦ વર્ષ કરતા વધુ સમયથી રવિભાણ સાહેબની ગુરુગાદી સેવારત રહી ધર્મની સાથે સમાજસેવાનું ઉમદા દાયિત્વ નિભાવી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ આજે આણંદ જિલ્લાના કહાનવાડી સ્થિત શ્રી રવિભાણ સાહેબ ગુરુગાદી ખાતે આયોજિત નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બની આણંદ જિલ્લાના વિકાસને વેગ આપતા રૂપિયા ૧૦૬.૨૧ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત - લોકાર્પણ કર્યું હતું. 

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિરાસતની સાથે વિકાસનો કાર્યમંત્ર આપીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જન જન સુધી વિકાસના કાર્યો પહોંચાડયા છે. વડાપ્રધાનશ્રીએ તેમના કાર્ય દ્વારા વિકાસના કાર્યો છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે દેશ - દુનિયાને બતાવ્યું છે.

આ સંદર્ભે ગુજરાતમાં આરંભાયેલા વિકાસના યજ્ઞનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસની હેલી ચાલી રહી છે, છેલ્લા એક સપ્તાહમાં વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં રૂપિયા ૧.૧૦ લાખ કરોડના કામો ગુજરાતને મળ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ગુજરાતના માધ્યમ દ્વારા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની રાજય સરકારની કટિબધ્ધતાને વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, વિકસિત ભારતમાં એક પણ વ્યક્તિ વિકાસથી વંચિત ન રહે તેની ચિંતા કરતી આ સરકારે વિકસિત ગુજરાતના નિર્માણનો ૨૫ વર્ષનો રોડ મેપ તૈયાર કર્યો છે. 

ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. લોકોની જરૂરિયાતને સમજીને સરકારે ગામ - શહેરનો વિકાસ થાય તે માટેનું આયોજનબધ્ધ કાર્ય હાથ ધર્યું છે, વિકાસની આ પરંપરા સુ-આયોજિત રીતે આગળ વધે તે માટે સરકાર કટિબધ્ધ હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આણંદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા હવે તેના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે.

તેમણે વિકસિત ભારત યાત્રાનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, વિકસિત ભારત યાત્રાના માધ્યમથી મોદી સાહેબની ગેરંટીના રથ દ્વારા લોકોના ઘર સુધી જઈને તેમને મળવાપાત્ર યોજનાના લાભો તેમના સુધી પહોંચાડયા છે. 

સૌના સાથ સાથે ગુજરાતને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વિકાસના કામો નાનામાં નાના ગામ સુધી પહોંચે, છેવાડાના માનવી સુધી પહોંચે એ જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી છે, અને એ તમારા સુધી પહોંચી છે.

આ પ્રસંગે વલ્લભ વિદ્યાનગરના સેતુ સેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજનોને આપવામાં આવતા સ્માર્ટ વિઝન ગ્લાસ મુખ્યમંત્રીશ્રીના હસ્તે બે દિવ્યાંગજનને અર્પણ કરવામાં આવ્યા હતા. 

કાર્યક્રમના પ્રારંભમાં કહાનવાડી સ્થિત રવિભાણ સાહેબ ગુરુગાદીના આચાર્યશ્રી દલપતરામ મહારાજે શાબ્દિક સ્વાગત કરતા ભાણ સાહેબની ગુરુગાદીની પરંપરાનો પરિચય આપ્યો હતો. જ્યારે ભાણસાહેબ ચેતન સમાધિસ્થાન, કમીજળાના મહંત મહામંડલેશ્વર - ૧૦૦૮ શ્રી જાનકીદાસ બાપુ એ કબીર પરંપરાની વિચારધારા સાથે જોડાયેલી રવિભાણ પરંપરાની સમજણ આપી, આ પરંપરાએ ભજનવાણી દ્વારા લોકોને બેઠા કર્યા હોવાનું જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ સભ્યશ્રી મિતેષભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી,  જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અતુલકુમાર બંસલ, અગ્રણી શ્રી ગોરધનભાઈ ઝડફિયા, રાકેશભાઈ શાહ, રાજેશભાઈ પટેલ, જગત ભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, રણજીતભાઈ ચૌહાણ, સુનિલભાઈ શાહ, પૂર્વ સાંસદ શ્રી દીપકભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી લાલસિંહ વડોદિયા સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.
*****