IMG_20240207_174657

ગાડા પંથકના નાગરીકોને હવે સ્વાસ્થ્ય અને સુખાકારીની અણમોલ ભેટ મળશે

ચારૂસેટ યુનિવર્સિટી અને પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ ગાડાના સંયુક્ત ઉપક્રમે ગાડામાં સ્વ. ડાહીબા અને ડાહ્યાભાઈ ગંગાદાસ પટેલ ફિઝિયોથેરાપી સેન્ટરનું લોકાર્પણ

ગાડા અને તેની આસપાસના ગામોના નાગરિકોને આધુનિક તબીબી સેવાઓ પ્રાપ્ત કરવાની સુવિધા ઉપલબ્ધ

આણંદ ટુડે | આણંદ
સમાજને ઉમદા સ્વાસ્થ્ય -સુખાકારીની અણમોલ ભેટ આપવાના ઉમદા હેતુથી ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ) અને પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ, ગાડાના સંયુક્ત ઉપક્રમે ગાડામાં શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઇન્ટરનલ ઓડીટર શ્રી બીપીનભાઈ પટેલ (ગાડા/વડોદરા) દ્વારા શ્રી વી. કે. સાર્વજનિક આરોગ્ય સેન્ટરમાં અત્યાધુનિક સ્વ. ડાહીબા અને ડાહ્યાભાઈ ગંગાદાસ પટેલ ફિઝિયોથેરાપી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  
કેળવણી મંડળ અને  ચારુસેટ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ અને દાતા પરિવારના અગ્રણી શ્રી બીપીનભાઈ પટેલ અને તેમના પત્ની શ્રીમતી ઉષાબેન પટેલના વરદ હસ્તે રીબીન કાપી સ્વ. ડાહીબા અને ડાહ્યાભાઈ ગંગાદાસ પટેલ  ફિઝિયોથેરાપી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  પેટ્રન શ્રી બીપીનભાઈ પટેલ દ્વારા સ્વ. ડાહીબા અને ડાહ્યાભાઈ ગંગાદાસ પટેલની યાદમાં આ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. 
આ પ્રસંગે માતૃસંસ્થા –CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળ-CHRFના સેક્રેટરી ડો. એમ. સી. પટેલ,  કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, કેળવણી મંડળના ખજાનચી  ગીરીશભાઈ સી. પટેલ,   ચારુસેટ યુનીવર્સીટીના પ્રોવોસ્ટ  ડો. આર. વી. ઉપાધ્યાય, ચારુસેટ યુનીવર્સીટીના રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ,  અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ  ફિઝિયોથેરાપી (ARIP)ના પ્રિન્સીપાલ ડૉ. બાલા ગણપતિ, ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સના ડીન ડો. ધ્રુવ દવે , કેળવણી મંડળ, માતૃસંસ્થા, CHRF ના વિવિધ પદાધિકારીઓ, હોદ્દેદારો અને પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ, ગાડાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 
શ્રી બીપીનભાઈ પટેલે મહેમાનોને આવકાર્યા હતા અને જણાવ્યું  હતું કે આજુબાજુના વિવિધ ગામોના લોકોની આરોગ્ય સુખાકારી માટે લોકોની સેવા કરવા ગાડામાં આ સેન્ટરનો આરંભ થઇ રહ્યો છે તેનો વિશેષ આનંદ છે.   
શ્રી સુરેન્દ્રભાઈ પટેલે આશીર્વચન પાઠવ્યા હતા અને આ સેન્ટરનો લાભ આસપાસના ગામોના નાગરિકોને પ્રાપ્ત થશે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. 
ફિઝિયોથેરાપી સેન્ટરમાં દર્દીઓની વિવિધ શારીરિક અને ખોડખાંપણની તકલીફો માટે ફિઝિયોથેરાપીની સારવાર કરવામાં આવશે.  અત્યારે આણંદ/ચાંગા, ડેમોલ, થામણા, મહુધા તેમજ નડિયાદમાં 2 એમ કુલ 6 ચારુસેટ મેડીકલ આઉટરીચ સેન્ટર કાર્યરત છે. આ દિશામાં ગાડામાં સાતમા ફિજીયોથેરાપી સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે.   
ARIPના પ્રિન્સીપાલ ડૉ. બાલા ગણપતિના નેતૃત્વમાં અત્યાધુનિક અને ઉત્કૃષ્ટ તબીબી ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ ARIP– ફિઝિયોથેરાપી આ સેન્ટરમાં  દર્દીઓના લાભાર્થે અવેરનેસ, પ્રિવેન્શન અને ઇન્ટરવેન્શન સહિત વિવિધ પ્રકારની ફિઝિયોથેરાપી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.