મુખ્યમંત્રીના આગમન પૂર્વે રોડની ઝટપટ કાયાપલટ, બાદમાં કામ અધૂરુ,સ્થાનિકોમાં નારાજગી
મુખ્યમંત્રીના આગમન પૂર્વે રોડની ઝટપટ કાયાપલટ, બાદમાં કામ અધૂરુ,સ્થાનિકોમાં નારાજગી
કરમસદથી હેલીપેડ સુધીનો માત્ર એક તરફનો રોડ જ પાકો,બીજી તરફનું કામ આજે પણ અધૂરું
૨૬ નવેમ્બરે યોજાયેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા પછી રસ્તા ફરી બિસ્માર હાલતમાં, “અધૂરું કામ ક્યારે પૂર્ણ થશે?” એવો સ્થાનિકોનો સવાલ
આણંદ ટુડે | આણંદ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના નિમિત્તે તા. ૨૬ નવેમ્બરના રોજ આણંદના વિદ્યાનગર -કરમસદ ખાતેથી કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રામાંનું આયોજન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતું . મુખ્યમંત્રીના આ કાર્યક્રમ પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ, કરમસદ અને વિદ્યાનગરના મુખ્ય માર્ગોની વિશેષ સફાઈ તથા સુધારાની કામગીરી કરવામાં આવી હતી.
યુદ્ધના ધોરણે અને રોકેટ ગતિએ કરવામાં આવેલા કામમાં સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યુ, કરમસદ હેલીપેડથી કરમસદ સુધીનો બિસ્માર રસ્તો. મુખ્યમંત્રી જે માર્ગ પરથી પસાર થવાના હતા તે રોડ રાતોરાત યુદ્ધના ધોરણે પાકો ડામર રોડ બનાવાયો. નવાઈની બાબત એ છે કે માત્ર એક જ બાજુનો રોડ પૂર્ણ બનાવાયો, જ્યારે બીજી બાજુનું કામ અધૂરું જ રહી ગયું.જે આ લખાય છે ત્યારે પણ અધૂરું જ છે
સ્થાનિકોની કહેવા મુજબ, “સાહેબ આવે ત્યારે યુદ્ધના ધોરણે રોડ રસ્તા અને સફાઈની કામગીરી થાય છે, પરંતુ સાહેબ ગયા પછી ન તો સફાઈ કામદાર દેખાય છે, ન તો જવાબદાર અધિકારીઓ.”
ગત ૨૬મી નવેમ્બર પછીથી આ માર્ગનો અધૂરો ભાગ જૈસે થે હાલતમાં છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. હવે સ્થાનિકોમાં ચર્ચાનો મુખ્ય પ્રશ્ન એ છે. કે “કરમસદથી હેલીપેડ સુધીનો અધૂરો રોડ ક્યારે પૂર્ણ થશે?”
સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક ધ્યાન આપીને બાકી રહેલાં માર્ગના કામને પૂર્ણ કરે,જેથી રોજિંદા અવરજવર કરતા નાગરિકોને રાહત મળી રહે.ત્યારે હવે જોવું રહ્યું તંત્ર ક્યારે આળસ ખંખેરી આ બિસ્માર રસ્તાની ક્યારે કાયાપલટ કરે છે

