1003348732

ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે પીપલોદમાં ₹3.40 કરોડના ખર્ચે નવી પ્રાથમિક શાળાનું ભવ્ય લોકાર્પણ

ગુજરાતના  નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે પીપલોદમાં 3.40 કરોડના ખર્ચે નવી પ્રાથમિક શાળાનું ભવ્ય લોકાર્પણ

નાયબ મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા

આણંદ ટુડે | સુરત
સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષણના સ્તરને વધુ ઉંચુ લાવવા અને સામાન્ય વર્ગના બાળકોને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવાના અભિગમ સાથે પીપલોદના ઉમરા ગામે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત રૂ. ૩.૪૦ કરોડના ખર્ચે નગર પ્રાથમિક શાળા ક્રમાંક-૦૩ના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે શાળાના બાળકોને સાયકલ વિતરણ કર્યું હતું. શાળાભવનથી આસપાસના ૧૫૦૦ થી વધુ બાળકો શિક્ષણ સુવિધાથી લાભાન્વિત થશે.
                આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ સુવિધાયુક્ત નવા ભવનમાં સ્થાનિક વિસ્તારના બાળકોને ઘરઆંગણે વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે. બાળકો માટે આ સપના સાકાર કરવાનું વિદ્યામંદિર બનશે. મધ્યમવર્ગીય પરિવારના બાળકો ભણે એ સરકારી શાળા કહેવાય એવી સર્વસામાન્ય માન્યતાને રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ બદલીને શૈક્ષણિક ક્રાંતિ સર્જી છે. 
              શ્રી સંઘવીએ શાળાએથી છૂટીને બાળકો ઘરે આવે ત્યારે માટી સાથે જોડાયેલી રમતો રમવા પ્રોત્સાહન આપવાનો અનુરોધ કરી ઉમેર્યું કે, શાળા એ ઘરથી પણ વિશેષ હોય છે. બાળકોને સ્વચ્છતાના ગુણો કેળવવા અને ઘર, મહોલ્લો, ગામ-શહેરને સ્વચ્છ રાખવા ભારપૂર્વક કહ્યું હતું.
              વધુમાં તેમણે ઉમેર્યું કે, સમગ્ર દેશમાં સુરત એકમાત્ર એવું શહેર છે, જ્યાં મનપાની  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દેશની છ ભાષાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. જેથી છેલ્લા ઘણા વર્ષોમાં અનેક પરિવારો પોતાના બાળકોને ખાનગી શાળાના બદલે મનપાની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અપાવવા પડાપડી કરે છે. 
           વાલીઓ આપણા પર વિશ્વાસ મૂકીને શાળાએ બાળકોને મૂકવામાં આવે છે. જેથી તેમનામાં સંસ્કાર સિંચનની જવાબદરી આપણા શિરે છે એમ જણાવી નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સરકારી શાળામાં ગાર્ડન, મેદાન, હોલ, સ્માર્ટ બોર્ડની સુવિધાઓ, સ્કૂલ ડ્રેસ, શૂઝ, સ્કૂલ બેગ, સ્ટેશનરી અને પુસ્તકો આપવાની સાથે સમગ્ર દેશમાં એકમાત્ર આપણું શહેર છે જે બાળકોને સ્પોર્ટ્સમાં પારંગત બનાવવા માટે સ્પોર્ટ્સ ડ્રેસ અને સ્પોર્ટ્સ શૂઝ પણ આપે છે, તેમજ બાળકો માટે મધ્યાહન ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. 
            નોંધનીય છે કે, રાજ્ય સરકારના સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા આજદિન સુધી ૨૫૦ કરોડથી વધુના ખર્ચે મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૬૩ શાળા ભવનો મંજૂર કરવામાં આવ્યા છે. સમિતિની ૩૬૨ શાળાઓમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
              આ પ્રસંગે મ્યુ.કમિશનર એમ. નાગરાજન,  ડે. કમિશનર દિનેશ ગુરવ, નગર પ્રા. શિ.સમિતિના સુરતના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષણ સમિતિના સભ્યો, આચાર્ય, શિક્ષણગણ, વાલીઓ, વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.