સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર ડૉ. સુધા ચૌહાણને ગુજરાતી સાહિત્ય પરિષદનો એવોર્ડ જાહેર થયો
સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરનું ગૌરવ
સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર ડૉ. સુધા ચૌહાણને ગુજરાતી સાહિત્ય પરિષદનો એવોર્ડ જાહેર થયો
લુપ્ત થતી હસ્તપ્રતવિદ્યાના જાણકાર છે પ્રોફેસર ડૉ. સુધા ચૌહાણ
ડૉ. સુધા ચૌહાણ પાંચસો-છસ્સો વર્ષ પહેલાંની મધ્યકાલીન હસ્તપ્રતોને ઉકેલી શકે છે.
આણંદ ટુડે | આણંદ
ગુજરાતના જુદા જુદા હસ્તપ્રત ભંડારોમાં પાંચ લાખથી વધુ હસ્તપ્રતો સચવાયેલી છે. આ બધી હસ્તપ્રતો સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ તેમજ જૂની ગુજરાતીમાં લખાયેલી છે.
આજના સમયમાં જૈન સાધુઓ સિવાય એને ઉકેલનાર લોકોની સંખ્યા આંગળીના વેઢા કરતાં પણ ઓછી છે.
સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. સુધા ચૌહાણ એમાના એક છે, જે આ પાંચસો-છસ્સો વર્ષ પહેલાંની મધ્યકાલીન હસ્તપ્રતોને ઉકેલી શકે છે.
ડૉ. સુધા ચૌહાણના સંશોધન ‘સિદ્ધિસૂરિકૃત સિંઘાસન બત્રીસી’ને તાજેતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રી પંડિત બેચરદાસ જીવરાજ દોશી પરિતોષિક (સંસ્કૃત, પ્રાકૃત) જાહેર થયું છે.
‘સિદ્ધિસૂરિકૃત સિંઘાસન બત્રીસી’ સંવત ૧૬૧૬ (ઇ.સ. ૧૫૬૦) માં જૈન મુનિ દ્વારા લખાયેલી કૃતિ છે. ડૉ. સુધા ચૌહાણે એની ૦૬ હસ્તપ્રતો ઉકેલીને એક સમીક્ષિત વાચના તૈયાર કરી છે.
ડૉ. સુધા ચૌહાણના આ સંશોધનને અગાઉ ગુજરાત સાહિત્ય અકાદમીનો સંશોધન પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. હવે ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી ૧૨૦ વર્ષ જૂની પ્રતિષ્ઠિત સંસ્થાનો એવોર્ડ જાહેર થતાં લુપ્ત થતી હસ્તપ્રતવિદ્યાના વાંચન માટે અન્ય સંશોધકોને પ્રેરણા મળશે.
**

