આણંદ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા કક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો
આણંદ ખાતે " વિકાસ સપ્તાહ " અંતર્ગત જિલ્લા કક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો
મુખ્યમંત્રી તરીકેના નરેન્દ્રભાઈ મોદીના શાસન દરમિયાન ગુજરાત સર્વાંગીણ વિકાસની દિશામાં ઝડપભેર આગળ વધ્યું છે : મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
૧૦૪૨ યુવાઓને રોજગાર પત્ર તથા આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત કરાયા
આણંદ, બુધવાર
આણંદ ટાઉન હોલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા ની વિશેષ ઉપસ્થિતિમાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાના યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો.
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આણંદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ભારતના રાજકારણના ઇતિહાસમાં ૭ મી ઓક્ટોબર, ૨૦૦૧ ના દિવસને એક મુક ક્રાંતિનો દિવસ ગણાવતા જણાવ્યું હતુ કે, આ દિવસે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમણે મુખ્યમંત્રી તરીકેના નરેન્દ્રભાઈ મોદીના શાસન દરમિયાન ગુજરાત સર્વાંગીણ વિકાસની દિશામાં ઝડપભેર આગળ વધ્યું છે, તેમ જણાવતા ઉમેર્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના ૨૦૦૧ થી ૨૦૧૪ સુધીનો સમયગાળો ગુજરાત માટે અભૂતપૂર્વ પરિવર્તનનો સમય રહ્યો છે, આ સમયગાળા દરમિયાન જનશક્તિ, જળશક્તિ, જ્ઞાન શક્તિ, ઉર્જા શક્તિ અને રક્ષા શક્તિ તરીકે પંચામૃતના દર્શન થયા હતા. જળશક્તિની ક્રાંતિના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના પશુપાલકો અને ખેડૂતોને ઉનાળામાં લીલો ચારો શોધવા માટે તેમનું વતન છોડીને જવામાંથી મુક્તિ મળી. શ્રી નરેન્દ્રભાઈએ સરદાર સરોવર ડેમમાંથી ધોળીજા ડેમ સુધી પાણી લાવીને અને સૌની યોજનાના માધ્યમથી હરિયાળી ક્રાંતિના દર્શન કરાવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાની ઘટનાને ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. તેમની દૂરંદેશી દ્રષ્ટિ અને સર્વગ્રાહી વિકાસની પરિકલ્પનાઓને કારણે વિશ્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત થયું છે. તેમના સુશાસન મોડેલની વ્યાપકતા અને સફળતામાં ગુડ ગવર્નન્સ, ઈ-ગવર્નન્સ, શાળા પ્રવેશ ઉત્સવ, કન્યા કેળવણી, ગુણોત્સવ, કૃષિ મહોત્સવ અને ખેલ મહાકુંભ જેવી અનેક પહેલનો સમાવેશ થાય છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં લાગુ થયેલી બેટી બચાવો-બેટી પઢાઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, હર ઘર જળ અને સ્વચ્છ ભારત અભિયાન જેવી અનેક રાષ્ટ્રીય સ્તરની યોજનાઓના આધારના મૂળ ગુજરાતમાં છે.
આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ 'વિકસિત ભારત 2047'ના વિઝન સાથે ગુજરાત દેશની વિકાસ યાત્રામાં સહભાગી બની રહયું છે.
પ્રધાનમંત્રીએ સ્વદેશી અપનાવવા કરેલ આહવાનનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' મંત્ર અપનાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહયુ હતુ કે, સ્વદેશી વસ્તુઓની ખરીદીથી વિદેશી નિર્ભરતા ઘટશે, આત્મનિર્ભરતા વધશે, અને અર્થવ્યવસ્થાને વેગ મળવાની સાથે રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં વધારો થશે. તાજેતરમાં જીએસટી 2.0 રિફોર્મના કારણે વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં ઘટાડો થવાથી માંગ અને વપરાશમાં વધારો થશે, જે તમામ ક્ષેત્રોની વૃદ્ધિ કરશે, તેમ જણાવ્યું હતું.
મંત્રી શ્રી જે યુવાઓને આજે રોજગાર પત્ર એનાયત થયા છે તેવા તમામને અભિનંદન પાઠવ્યા હતા અને આઈટીઆઈ ખાતે અભ્યાસ કરતા યુવાઓને 100% રોજગારી મળે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેમ ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે ૧૦૪૨ યુવાઓને ‘રોજગાર પત્ર અને એપ્રેન્ટીસ પત્ર એનાયત’ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
પ્રારંભમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી એ સૌનો આવકાર કર્યો હતો.
આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વ શ્રી યોગેશભાઈ પટેલ,શ્રી કમલેશભાઇ પટેલ,અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ, સુનીલભાઇ શાહ, કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ.દેસાઇ સહિત અનેક પદાધિકારીઓ, અધિકારીઓ,વિવિધ આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રીઓ અને વિશાળ સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.
****

