1003034347

કરમસદ,આણંદ મનપાની નગરજનો માટે મોટી ભેટ

આણંદ વાસીઓ આનંદો : ૧૨૫ ચો.મી. સુધીના મકાનની મંજૂરી માત્ર 48 કલાકમાં

કરમસદ,આણંદ મનપાની નગરજનો માટે મોટી ભેટ

આણંદ વાસીઓ આનંદો-૧૨૫ ચો.મી. સુધીના મકાનની મંજૂરી માત્ર 48 કલાકમાં

ધારાસભ્ય યોગેશભાઈ પટેલની રજૂઆત રંગ લાવી, મનપાનો ઝડપી નિર્ણય

કમિશનર મિલિંદ બાપનાનો ત્વરિત નિર્ણય, નગરજનોને મોટી રાહત

સિંગલ વિન્ડો સિસ્ટમથી નગરજનોને મળશે તાત્કાલિક બાંધકામ મંજૂરી

આણંદ ટુડે | આણંદ,
કરમસદ–આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં નગરજનો દ્વારા સ્વતંત્ર રહેણાંક મકાન બાંધકામ કરવા અથવા મકાનમાં જરૂરી સુધારા–વધારા માટે લેવાની બાંધકામ પરમિશન પ્રક્રિયા હવે વધુ સરળ અને ઝડપી બનશે. મહાનગરપાલિકાએ ૧૨૫ ચોરસ મીટરથી ઓછા બિલ્ટ-અપ એરિયાના સિંગલ વ્યક્તિગત રહેણાંક મકાન માટેની બાંધકામ પરમિશન માત્ર 48 કલાકમાં આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
આ નિર્ણય આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલની રજૂઆતને પગલે મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ લીધો છે. ધારાસભ્યશ્રીએ રજૂઆતમાં જણાવ્યું હતું કે બાંધકામ પરમિશન મોડે મળવાને કારણે બેંક લોન પ્રક્રિયા તથા મકાન બાંધકામમાં વિલંબ થાય છે, જે નગરજનો માટે અસુવિધાજનક બને છે.
કમિશનર શ્રી મિલિંદ બાપનાએ નગરજનોની સુખાકારીને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે કે, જો ૧૨૫ ચોરસ મીટરથી ઓછા બિલ્ટ-અપ એરિયાના સિંગલ રહેણાંક મકાન માટે અથવા મકાનમાં જરૂરી સુધારા–વધારા માટે પરમિશન માગવામાં આવશે, તો સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા 48 કલાકમાં મંજૂરી આપવામાં આવશે.
આ નિર્ણયથી બેંક લોન લેતા નગરજનોને કોઈ મુશ્કેલી નહીં પડે તેમજ કચેરીમાં વારંવાર આવન-જાવન ટળશે. પરિણામે સમય અને નાણાં બંનેની બચત થશે અને બાંધકામ પ્રક્રિયા ઝડપી બનશે.
આ મહત્વના નિર્ણય બદલ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “નગરજનોની સુખાકારીને પ્રાથમિકતા આપતો આ નિર્ણય પ્રશંસનીય છે. રાજ્યની મહાનગરપાલિકાઓમાં ઝડપી અને લોકહિતકારી નિર્ણયોમાં કરમસદ–આણંદ મહાનગરપાલિકા અગ્રેસર બની રહી છે.”