1001732411

શ્રી કૃષ્ણ હૉસ્પિટલ કરમસદના યુરોલૉજી વિભાગ ખાતે આણંદ ખેડા જિલ્લામાં સૌપ્રથમ વખત આધુનિક ૬૫ વૉટ લેસર મશીનનો ઉમેરો કરવામાં આવ્યો.

શ્રી કૃષ્ણ હૉસ્પિટલ કરમસદના યુરોલૉજી વિભાગ ખાતે

આણંદ ખેડા જિલ્લામાં સૌપ્રથમ વખત આધુનિક ૬૫ વૉટ લેસર મશીનનો ઉમેરો કરવામાં આવ્યો.

આણંદ ટુડે | કરમસદ
આણંદ શહેર પાસેના કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદના  સર્જરી ઓપરેશન થિયેટર ખાતે (યુરોલોજી વિભાગ) આણંદ ખેડા જિલ્લામાં સૌ પ્રથમ વખત ૫ વોટ લેસર મશીનનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન ૨૧ જૂનના રોજ સવારે ૧૦.૧૫ કલાકે રાખવામાં આવ્યું હતું. આ આધુનિક સુવિધાનો ઉમેરો રોટરી ક્લબ, આણંદ રાઉન્ડ ટાઉન, રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૯૦ અને આંતરરાષ્ટ્રીય ભાગીદાર રોટરી ક્લબ ઓફ શાર્લોટ હોલ રોટરી ડિસ્ટ્રિક્ટ ૭૬૨૦ના સહયોગથી કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ચારૂતર આરોગ્ય મંડળના ચેરમેન શ્રી અનુલભાઈ પટેલ તથા શ્રી નિહિર દવે, રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર (૩૦૯૦) વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૩-૨૪ માટે પ્રથમ મહિલા શ્રીમતી વૈશાલી દવે તથા સભ્યો હાજર રહ્યા હતા. 
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આણંદ જીલ્લાના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ તથા અતિથિ વિશેષ તરીકે આણંદ જીલ્લા ભાજપ  પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશ પટેલ અને આણંદ જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. તદુપરાંત ચારુતર આરોગ્ય મંડળના માનદ સૅક્રેટરી શ્રી અમિત પટેલ, સવિતાબેન અને હીરૂભાઈ પટેલ મૅમોરિયલ ફાઉન્ડેશનના સભ્યો, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવીસ્ટ ડૉ. અભય ધરમસી, ઓફિસર્સ, ડૉક્ટર્સ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદના કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ ડૉ. કૌશલ પટેલે જણાવ્યું હતું કે, આ ૬૫ વોટ લેસર મશીનથી મૂત્ર માર્ગમાં અને કિડનીની પથરીનો મિનિમલ ઈન્વેસિવ પદ્ધતિ (ટાંકા વગર)થી દૂર કરવામાં આવશે. નાના બાળકમાં પથરીની સારવાર માટે  આ મશીન ઉપયોગી પુરવાર થશે આ ઉપરાંત આ આધુનિક ૬૫ વૉટ લેસર મશીન પ્રોસ્ટેટની સારવારમાં પણ ઉપયોગી પૂરવાર થશે. ખાસ કરીને હૃદયરોગના દર્દીઓના પ્રોસ્ટેટની સારવાર માટે આ મશીન ઉપયોગમાં લેવામાં આવશે. આ આધુનિક ટેકનોલોજીને કારણે દર્દીને પીડા ઓછી થશે તથા હોસ્પિટલમાં રજા પણ ઓપરેશન બાદ જલ્દી આપવામાં આવશે. તદુપરાંત દર્દી જલ્દીથી સાજા થતા દૈનિક ક્રિયાઓ પણ કરી શકશે.