આણંદમાં જાહેર આરોગ્ય સાથે ચેડા કરતા ખાદ્ય એકમો સામે AMCની લાલ આંખ
આણંદમાં જાહેર આરોગ્ય સાથે ચેડા કરતા ખાદ્ય એકમો સામે AMC ની લાલ આંખ
અક્ષરધામ ગુજરાતી થાળ, આલ્ફા રેસ્ટોરન્ટ, મસ્તાના દાબેલી અને જય ઝુલેલાલ બેકરી સામે દંડનીય કાર્યવાહી
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને સેનિટેશન વિભાગે આકસ્મિક ચેકિંગ કરતા ગંભીર ક્ષતિઓ અને સ્વચ્છતાનો અભાવ જોવા મળતા સ્થળ ઉપર કુલ રૂ.૧.૫૫ લાખનો દંડ વસૂલ કર્યો
આણંદ ટુડે | આણંદ,
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને સેનિટેશન વિભાગ દ્વારા આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલી અક્ષરધામ ગુજરાતી થાળ અને આલ્ફા રેસ્ટોરન્ટ ખાતે તથા ૧૦૦ ફૂટ રોડ ઉપર આવેલી જય ઝુલેલાલ બેકરી અને ૧૦૦ ફૂટ રોડ ઉપર આવેલ મસ્તાના દાબેલીના પ્રોડક્શન હાઉસ ખાતે આકસ્મિક જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી.
આ તપાસણી દરમિયાન અક્ષરધામ ગુજરાતી થાળ અને આલ્ફા રેસ્ટોરન્ટ તથા જય ઝૂલેલાલ બેકરી અને મસ્તાના દાબેલીના પ્રોડક્શન હાઉસ ખાતે જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેથી નાગરિકોના જાહેર આરોગ્ય માટે અત્યંત જોખમકારક હોઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આ એકમો ખાતે વિસ્તૃત તપાસ કરતા સિંગલ યુઝ પ્લાસ્ટિક નો વપરાશ, મચ્છરોની ઉત્પત્તિ અને સ્વચ્છતા નો અભાવ જેવી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, આમ આ એકમો નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા છે.
આ બાબત નગરજનોના આરોગ્યને જોખમ રૂપ હોઈ અક્ષરધામ ગુજરાતી થાળ પાસેથી જાહેર આરોગ્ય માટે રૂપિયા ૨૫ હજાર અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ બદલ રૂપિયા ૧૦ હજાર આમ કુલ ૩૫ હજાર, આલ્ફા રેસ્ટોરન્ટ પાસેથી જાહેર આરોગ્ય માટે રૂપિયા ૨૫ હજાર, સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ બદલ રૂપિયા ૫,૦૦૦/- અને મેલેરિયાની ઉત્પતિ જોવા મળતા વધુ રૂપિયા ૫૦૦૦/- મળીને કુલ રૂપિયા ૩૫ હજાર, મસ્તાના દાબેલી પાસેથી જાહેર આરોગ્ય માટે રૂપિયા ૨૫ હજાર, સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ બદલ વધુ રૂપિયા ૨૫ હજાર અને મચ્છર ની ઉત્પતિ જોવા મળતા રૂપિયા ૫,૦૦૦/- મળીને કુલ રૂપિયા ૫૫ હજાર તથા જય ઝુલેલાલ બેકરી પાસેથી આરોગ્ય લક્ષી બેદરકારી માટે રૂપિયા ૨૫ હજાર, સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ બદલ રૂપિયા ૨,૦૦૦/- અને મચ્છરોની ઉત્પત્તિ જોવા મળતા વધુ રૂપિયા ૩,૦૦૦/- મળીને કુલ રૂપિયા ૩૦ હજાર નો દંડ, વહીવટી ચાર્જ સ્થળ ઉપર જ વસૂલ કરવામાં આવ્યો છે. આમ આ તમામ એકમો પાસેથી કુલ રૂપિયા ૧.૫૫ લાખની રકમ કાયદાની જોગવાઈ ને આધીન વહીવટી ચાર્જ પેટે સ્થળ ઉપર જ વસૂલ કરવામાં આવી છે.
આ એકમોને આપવામાં આવેલ સૂચના મુજબ ૧૫ દિવસમાં જરૂરી સ્વચ્છતા અંગે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ એકમો સીલ કરવાની ફરજ પડશે તેમ ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું છે.
આણંદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગના મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર રાજેશ પટેલના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં ખાણીપીણીના એકમો દ્વારા જાહેર આરોગ્ય જોખમાતું હશે તો આવા હોટલ, લારી, ગલ્લાઓ, દુકાનો, રેસ્ટોરન્ટો, બેકરીની આકસ્મિક મુલાકાત લેવામાં આવશે, અને તેઓની સામે કાયદાની જોગવાઈ ને આધીન કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોને જરૂરી સ્વચ્છતા રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
***