સુપ્રીમ કોર્ટનો ઝાટકો- ગુજરાત બાર કાઉન્સીલ ચૂંટણીમાં આણંદના સી.કે. પટેલની ઉમેદવારી ગેરકાયદે ઠરાવી
સુપ્રીમ કોર્ટનો ઝાટકો: ગુજરાત બાર કાઉન્સીલ ચૂંટણીમાં આણંદના સી.કે. પટેલની ઉમેદવારી ગેરકાયદે ઠરાવી
દિલ્હીની હાઇપાવર કમિટી અને સુપરવાઈઝરી કમિટીઓએ સી.કે. પટેલની ઉમેદવારી રદ કર્યા બાદ સુપ્રીમ કોર્ટના મા. ચીફ જસ્ટિસ સાહેબની ખંડપીઠે અપીલ ડિસમિસ કરતા હવે ગુજરાત બાર કાઉન્સિલ તરફથી થનાર કાર્યવાહી ઉપર સૌની નજર અટકી છે
સી.કે. પટેલ 2009થી બ્રિટિશ નાગરિકતાનું OCI ઓસીઆઈ કાર્ડ ધરાવે છે અને નવા નિયમો ૨૦૨૧, ૨૦૨૫ મુજબ તે રાજ્ય બાર કાઉન્સિલના સભ્ય બનવા માટે લાયકાત ધરાવતા ન હોવાથી તેમની હાલની સ્થિતિ કોર્ટ પરિસરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે
આગામી તા. 6 માર્ચ એ યોજાનાર ગુજરાત બાર - વકીલ મંડળની ચૂંટણીના મતદાન પહેલા પુનરાવર્તન નહીં પણ પરિવર્તન મુખ્ય મુદ્દો બની ગયો છે
આણંદ | આણંદ ટુડે
સમગ્ર ગુજરાત રાજયમાં ૭૦ હજારથી વધુ સિનિયર અને જુનિયર તમામ વકીલોના સંગઠન બાર કાઉન્સિલ ઑફ ગુજરાતની ચૂંટણી તા. 6 માર્ચના દિને યોજાઈ રહી છે ત્યારે વિદેશી નાગરિક તરીકે ઓસીઆઈ કાર્ડ ધરાવતા એડવોકેટ સી. કે. પટેલની આણંદથી ઉમેદવારી નિયમો વિરુદ્ધ હોવાનું નામદાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાહેબની કોર્ટમાંથી પણ સ્પષ્ટ થઈ જતાં ૯૯ ઉમેદવાર વચ્ચેનો આ ચૂંટણી જંગ પુનરાવર્તન નહીં પણ પરિવર્તનના મુદ્દે લડાઈ લડી રહ્યાનું સ્પષ્ટ થઈ ગયું છે.
આ અંગેની વિગતો અનુસાર આણંદના એડવોકેટ શ્રી ચેલાભાઈ કરસનભાઈ (સી.કે.) પટેલએ વર્ષ 2009માં સ્વૈચ્છિક રીતે ગ્રેટ બ્રિટન અને નોર્થર્ન આયરલેન્ડની નાગરિકતા સ્વીકારી ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) કાર્ડધારક તરીકેનો દરજ્જો ધરાવેલો છે. તેથી તેઓ વિદેશી નાગરિક ગણાય અને એડવોકેટ્સ એક્ટ, 1961 મુજબ ભારતના નાગરિક નથી, જે ઓસીઆઈ કાર્ડધારક અંગેની તા. 22.07.2021ની સૂચનાથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પરિણામે, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા નિયમો તથા વિદેશી નાગરિકોના નોંધણી અને પ્રેક્ટિસ સંબંધિત બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા નિયમો, 2025ને ધ્યાનમાં લઈ શ્રી સી.કે. પટેલ રાજ્ય બાર કાઉન્સિલના સભ્ય બનવા માટે લાયકાત ધરાવતા ન હોવાથી તેમની ઉમેદવારી રદ્દ કરતો ઐતિહાસિક ચુકાદો આ ચૂંટણી માટેની દિલ્હી સ્થિત હાઇ પાવર ઇલેક્શન કમિટીએ તા. 11/2/2026એ આપ્યો. જે ચુકાદાને હાઇ પાવર ઇલેક્શન સુપરવાઈઝરી કમિટી સમક્ષ પડકારવામાં આવ્યો. જે અપીલ સુપરવાઈઝરી કમિટીના ચેરમેન અને નામદાર સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા સાહેબની બેન્ચ એ બીજા જ દિવસે તા. 12/2/2026એ ડિસમિસ કરી દેતા સી. કે. પટેલએ આ હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
જેની સુનાવણી તા. 23/2/2026ના દિને રાખવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના માનનીય ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત, મા. ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને મા. ન્યાયાધીશ વિપુલ પંચોલી સાહેબની બેન્ચએ શ્રી સી. કે. પટેલની ઉમેદવારી ચાલુ રાખવા માટેની માંગ તાત્કાલિક અસરથી ડિસમિસ કરી દીધેલ છે. નામદાર સુપ્રીમ કોર્ટે તેઓના હુકમમાં નોંધ્યું છે કે, “Justice Bagchi specifically referred to section 24 of the Advocate Act, Which states that only an Indian Citizen can be a member of a Bar Council.” આ સાથે સમગ્ર દેશના વકીલ આલમમાં ચૂંટણીના નિયમોનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે.
આ સ્પષ્ટતા અગાઉ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં પુનરાવર્તન નહીં, પરિવર્તનના અભિગમ સાથે, આણંદના તમામ વકીલ મંડળના હોદ્દેદાર સિનિયર એડવોકેટ પૈકી આણંદ ડિસ્ટ્રિક્ટ બારના પ્રમુખશ્રી આર. ટી. શાહ, આણંદ વકીલ કલ્યાણ મંડળના પ્રમુખ શ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ), ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના પૂર્વ વાઇસ ચેરમેન હેમંતભાઈ જે. પટેલ, આણંદ ડિસ્ટ્રિક્ટ બારના પૂર્વ પ્રમુખ રજનીભાઈ એસ. પટેલ (ઉત્તરસંડા), એડવોકેટ દિપેનભાઈ શાહ, એમ. સી. પટેલ એડવોકેટ હરીશભાઈ ખુહા સહિતના સર્વ બાર એસોસિએશનના પદાધિકારીઓ સહિત સર્વ વકીલ સભ્યોએ સર્વાનુમતે નિર્મિત કરેલ કોર ટીમ દ્વારા સી. કે. પટેલની સતત ત્રીજી વખતની દાવેદારી સામે એડવોકેટ મનોહરસિંહ રાયસિંહ પરમારની સર્વસંમત ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી. આજે સૌ એડવોકેટ આણંદના વકીલોની આ કોર કમિટીના નિર્ણયને માનની નજરે આદર આપી રહ્યા છે.
****