કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ ખાતે મેરેથોન રેલી યોજાઈ
" સ્વચ્છતા હી સેવા-2025 "
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ ખાતે મેરેથોન રેલી યોજાઈ
શરીર માટે દોડવું, કસરત કરવી ખૂબ જ જરૂરી છે-મિતેશભાઈ પટેલ,સાંસદ-આણંદ
આણંદ ટુડે | આણંદ
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાન ૨ જી ઓક્ટોબર સુધી ચાલનાર છે, જે અંતર્ગત આજે સવારે આણંદ ટાઉન હોલ ખાતેથી વલ્લભ વિદ્યાનગર ભાઈ કાકા સ્ટેચ્યુ સુધી મેરેથોન રેલી યોજાઇ હતી.
આ મેરેથોન રેલીને આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ તથા મહાનુભાવો એ આણંદ ટાઉન હોલ ખાતેથી પ્રસ્થાન કરાવી હતી. આ સાથે જ આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવેલી નમો યુવા રનને મહાનુભાવો એ બલૂન ઉડાડીને આણંદ ટાઉનહોલ ખાતેથી પ્રસ્થાન કરાવી હતી.
આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે યુવાઓને તંદુરસ્ત રહેવા માટે સ્વાસ્થ્યનું મહત્વ ખૂબ જ અગત્યનું છે, તેમ જણાવી શરીર માટે દોડવું, કસરત કરવી ખૂબ જ જરૂરી છે, જેને નિયમિત જીવનમાં લાવવા અનુરોધ કર્યો હતો.
આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે નમો યુવા રન અને મેરેથોન રેલીમાં સહભાગી બનવા બદલ પોલીસના જવાનો અને કોલેજના વિદ્યાર્થીઓ તથા નગરજનોને બિરદાવ્યા હતા અને જણાવ્યું હતું કે
ફિટ રહેવા માટે નિયમિત રનીંગ કરવાથી જીવનમાં હકારાત્મકતાનો સમાવેશ થાય છે તેમ જણાવ્યું હતું.
મનપાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે. ગરવાલે જણાવ્યું હતું કે સ્વચ્છતા હી સેવા પખવાડિયા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો મનપા દ્વારા રોજેરોજ યોજવામાં આવી રહ્યા છે, જેમાં સહભાગી બનવા નગરજનોને તેમણે અપીલ કરી હતી.
આ મેરેથોન રેલીમાં મનપાના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, અગ્રણી શ્રી સુનિલભાઈ શાહ, જગતભાઈ પટેલ, રાજેશ પઢીયાર ઉપરાંત નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
***