જનલક્ષી કાર્યો દ્વારા લોકોની સુખાકારી વધારવાના ઉદ્દેશ સાથે રાજ્યમાં સેવાના અનેક યજ્ઞો થઈ રહયાં છે : નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી
જનલક્ષી કાર્યો દ્વારા લોકોની સુખાકારી વધારવાના ઉદ્દેશ સાથે રાજ્યમાં સેવાના અનેક યજ્ઞો થઈ રહયાં છે : નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી
ગોકુલધામ નાર ખાતે યોજાયો દિવ્યાંગજનો માટે નિશુલ્ક સાધન વિતરણ કાર્યક્રમ
૬૨૮ દિવ્યાંગજનોને રૂપિયા ૭૪.૦૬ લાખની કિંમતના ૮૭૧ સાધનો વિતરણ કરાયા
રૂરલ ઈલેક્ટ્રીફિકેશન કોર્પોરેશન લિમીટેડ (આર.ઈ.સી.), એલિમ્કો અને નાર ગોકુલધામ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો માટે યોજાયો કાર્યક્રમ
આણંદ ટુડે | આણંદ,
નાર ખાતે રૂરલ ઈલેક્ટ્રીફિકેશન કોર્પોરેશન લિમીટેડ (આર.ઈ.સી.), એલિમ્કો અને નાર ગોકુલધામ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ જરૂરિયાતમંદ વ્યક્તિઓને નિશુલ્ક સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી વિશેષ ઉપસ્થિત રહયાં હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડકશ્રીએ ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, દિવ્યાંગ પરિવારજનોને તેમના જીવનમાં ઉપયોગી થાય તેવા સાધનો આજે તેમને પ્રાપ્ત થઈ રહ્યા છે, આ સમય તેમના માટે ખૂબ જ આનંદ અને સંતોષની અનુભૂતિ સમાન છે.
નાયબ મુખ્ય દંડકશ્રીએ આ કાર્યક્રમના સમયનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આ સેવા કાર્યક્રમ ૭ મી ઓક્ટોબરથી લઈને ૧૫ મી ઓક્ટોબર સુધી ચાલી રહેલા વિકાસ સપ્તાહ દરમિયાન યોજાયો છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર લોક સેવાના કાર્યોની સાથે ગુજરાતના વિકાસને અગ્રીમતા આપી રહી છે. જનલક્ષી કાર્યો દ્વારા લોકોની સુખાકારી વધારવાના ઉદ્દેશ સાથે રાજ્યમાં સેવાના અનેક યજ્ઞો થઈ રહયાં હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ.
આ સાધન વિતરણ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડકશ્રીએ ગોકુળધામ સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલા સમાજ સેવાના કાર્યને બિરદાવ્યું હતુ. તેમણે સરકાર અને સહયોગી સંસ્થાઓ દ્વારા આવા જનલક્ષી કાર્યો આગામી સમયમાં પણ થતા રહે તેવી આશા વ્યક્ત કરી ગોકુળધામ સંસ્થાના સંસ્થાપક ગૌતમ સ્વામી, અન્ય સંતો, ધારાસભ્યશ્રીઓ, કલેક્ટરશ્રી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપનાર દાતાઓ અને ટ્રસ્ટીગણ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલ પટેલે દિવ્યાંગજનો સુધી નિશુલ્ક સહાયક ઉપકરણો પહોંચાડી દાતાશ્રીઓ તેમજ ગોકુળધામ પરિસર અને વડતાલ સંપ્રદાય એ ખરા અર્થમાં માધ્યમ બનીને આ સેવાને જરૂરીયાતમંદ સુધી પહોંચાડી છે, તેમ જણાવ્યું હતુ. તેમણે ગોકુળધામ સંસ્થાને સેવા સમર્પણની ભાવના સાથે સતત જાગૃત રાખનાર અને સારી પ્રવૃત્તિઓ કરવાની પ્રેરણા આપનાર ગણાવી હતી.
આ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ "માનવ સેવા એ પ્રભુ સેવા" ના ઉપદેશને સિધ્ધ કરે છે. આ યજ્ઞમાં આહુતિ આપનારા સંતોનો તથા પોતાના સીએસઆર (CSR) ફંડમાંથી યોગદાન આપનાર જુદી જુદી કંપનીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ૭મી ઓક્ટોબરથી ૧૫મી ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયો છે. તેમણે જણાવ્યું હતુ કે, આર.ઈ.સી. અને એલિમ્કો તરફથી કુલ ૬૨૮ દિવ્યાંગ મિત્રો માટે સહાયક ઉપકરણો આપવામાં આવી રહ્યા છે, આ ઉપકરણો દિવ્યાંગ મિત્રોના જીવનમાં નવી આશા, આત્મવિશ્વાસ અને સ્વાવલંબનનો પ્રકાશ લાવશે તેવો દ્રઢ વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
જિલ્લા કલેક્ટરશ્રીએ સુંદર વ્યવસ્થા સાથે આ કાર્યક્રમની ઉજવણી ફક્ત ગોકુળધામમાં જ શક્ય છે તેમ જણાવી આણંદ જિલ્લા વહીવટી તંત્ર વતી ગોકુળધામ પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં ઉપસ્થિત સૌને અપીલ કરી હતી કે, પ્રત્યેક જરૂરિયાતમંદ સુધી સેવા, સહકાર અને સંવેદના પહોંચાડવામાં આવે, કારણ કે એ જ સાચો વિકાસ અને સાચી ઉપાસના છે.
આ પ્રસંગે વડતાલ ધામના આચાર્ય મહારાજશ્રી, નાર ગોકુલધામના સ્વામી શુકદેવપ્રસાદદાસજી, હરિપ્રકાશદાસજી સ્વામી સહિતના સંતશ્રીઓએ આશિર્વચન પાઠવ્યા હતા.આ તકે આર.ઈ.સી. ના મુખ્ય મહાપ્રબંધક શ્રી હેમંત શાહ અને એલિમ્કો ના પ્રબંધક શ્રી મૃદૃલ અવસ્થિએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, અગ્રણી શ્રી સંજ્યભાઈ પટેલ, સ્વામિનારાયણ સંસ્થાના સંતશ્રીઓ, દાતાશ્રીઓ, અધિકારી, પદાધિકારીશ્રીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, મહાનુભાવો તથા મોટી સંખ્યામાં દિવ્યાંગજનો અને સેવાભાવીઓ ઉપસ્થિત રહ્યા હતા.
****