1002754992

દેશની એકતા અને અખંડીતતાના પ્રહરી સરદાર પટેલના વિચારોને કેન્દ્રમાં રાખી સ્વામી વિવેકાનંદ જયંતિના રોજ ૨૦મા ધર્મજ ડેની ઉજવણી થશે

દેશની એકતા અને અખંડીતતાના પ્રહરી સરદાર પટેલના વિચારોને કેન્દ્રમાં રાખી સ્વામી વિવેકાનંદ જયંતિના રોજ ૨૦મા ધર્મજ ડેની ઉજવણી થશે.

ધરતીપુત્ર સરદાર પટેલને આદરાંજલી પાઠવવાના ભાવ સાથે ચરોતરની માટીનો રંગ એટલે કે બ્રાઉન રંગની થીમ સાથે ધર્મજ ડે ઉજવાશે

આણંદ ટુડે | આણંદ

છ ગામ પાટીદાર સમાજ તથા ધરોહર ફાઉન્ડેશન, ધર્મજના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૨મી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતિના રોજ “૨૦મા ધર્મજ ડે”ની ઉજવણી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે મહામાનવ સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતી – શાર્ધ શતાબ્દી ઉજવણીને ધ્યાનમાં રાખી ગત વર્ષે “૧૯મા ધર્મજ ડે” સમાપન પ્રસંગે જ “૨૦મા ધર્મજ ડે” ઉજવણીનુ સ્વરૂપ જાહેર કરવામાં આવેલ. આ અંગે વધુ માહિતી આપતા “ટીમ ધર્મજ” વતી રાજેશ પટેલે જણાવેલ કે “૨૦મા ધર્મજ ડે”ની ઉજવણી સરદાર વિચારોને કેન્દ્રમાં રાખી કરવામાં આવશે. ધરતીપુત્ર સરદારને આદરાંજલી પાઠવવાના ભાવ સાથે ચરોતરની માટીનો રંગ એટલે કે બ્રાઉન રંગની થીમ સાથે આ પ્રસંગની ઉજવણી થશે. જેના માટેની તૈયારી આખરી તબક્કામાં છે. કાર્યક્રમ સ્થળે થીમ મુજબ સુશોભન સાથે મર્યાદિત સંખ્યામાં સ્ટોલ પણ લગાવવામાં આવશે.

  વધુમાં વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી સરદાર વિચારોની સુવાસ ઘેર ઘેર પહોંચે તેવા પ્રયત્નો પણ થઇ રહ્યા છે. જે પૈકી “સરદાર વંદના” પ્રોજેક્ટ ધર્મજ કેળવણી મંડળ સંચાલિત શાળાઓ તથા સરકારી શાળાઓના સહયોગથી કરવામાં આવેલ. ગામની તમામ શાળાઓના કુલ ૧૮૧૫ વિદ્યાર્થીઓને તેમની વય મર્યાદાને ધ્યાનમાં રાખી સરદાર વિશેના પુસ્તકોનું નિ:શુલ્ક વિતરણ દાતાઓના સહયોગથી કરવામાં આવેલ. ત્યાર પછી ત્રણ વિભાગમાં દરેક શાળામાં આંતર વર્ગીય વકૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ. શાળાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓ માટે ગામની આંતર શાળાકીય વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં સરદાર પટેલ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો. નિરંજન પટેલે ઉપસ્થિત રહી ઉમદા માર્ગદર્શન આપેલ. આ પ્રોજેક્ટ દ્વારા ધર્મજની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના માધ્યમથી કુલ ૧૮૧૫ પરિવારોમાં સરદાર વિચારોનું વાવેતર કરવાનો સફળ પ્રયોગ કરવામાં આવેલ. 

  આગામી સમયમાં “સરદાર વંદના” પ્રોજેક્ટ હેઠળ શાળાકીય વકૃત્વ સ્પર્ધાઓમાં વિજેતા બનેલ ૩૩ વિદ્યાર્થીઓ સરદાર વિચારોને વધુ સારી રીતે સમજી શકે તે માટે એક દિવસીય “સરદાર સ્મૃતિ યાત્રા”નું આયોજન વિચારેલ છે. આપણી આસપાસ જ આવેલા સરદાર સ્મૃતિ સ્થાનોથી આપણે અજાણ હોઈએ છીએ. ત્યારે આ યાત્રા અંતર્ગત જ્યાં સરદાર સ્મૃતિ સચવાયેલ છે તેવા સ્થાનોની મુલાકાત કરવાનું આયોજન છે. જેમાં ધર્મજથી નીકળી એન. કે. વિદ્યાલય, પેટલાદની મુલાકાત લેશે. જ્યાં સરદાર પટેલે શાળાકીય અભ્યાસ કરેલ. ત્યાંથી નડીયાદ મુકામે દેસાઈ વગામાં આવેલ તેઓશ્રીના જન્મસ્થાનની મુલાકાત લેશે. ત્યાંથી કરમસદ મુકામે સરદાર સાહેબના પૈતૃક નિવાસસ્થાનની મુલાકાત લેશે. કરમસદ ખાતે બપોરનું ભોજન લઇ વીર વિઠ્ઠલભાઈ અને સરદાર પટેલ સ્મારકની મુલાકાત લેશે. ત્યાર પછી બોરસદ કોર્ટની મુલાકાત લેશે. જ્યાં સરદાર પટેલ વકીલાત કરતા હતા. છેલ્લે બોરસદ તાલુકાના રાસ ગામે આવેલ “વલ્લભ વડ”ની મુલાકાત લેશે. જ્યાં ખેડૂત સત્યાગ્રહ સમયે સરદાર પટેલની ધરપકડ થયેલ. આમ વિદ્યાર્થીઓ સવારથી સાંજ સુધીમાં આપણી આસપાસ આવેલા સરદાર સ્મૃતિ સ્થાનોની મુલાકાત લઇ સરદાર પટેલના જીવનને વધુ સારી રીતે જાણશે.

  દેશને આઝાદી મળી ત્યારે સરદાર સાહેબ સાથે રહી ભાગલા પછી બનેલા બે દેશો ભારત અને પાકિસ્તાનની મિલકતોની વહેંચણીમાં અગત્યની ભૂમિકા ભજવનાર દેશના પૂર્વ નાણા અને ગૃહ મંત્રી તથા ધર્મજના સપૂત ડો. એચ. એમ. પટેલની સેવાઓને પણ બિરદાવી આ બંને મહાનુભાવોના મોટી સાઈઝના ફોટા ગામની તમામ શાળાઓના દરેક વર્ગમાં બ્લેક બોર્ડ ઉપર લગાવવામાં આવશે. જે શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સતત પ્રેરણા આપશે. ધરોહર ફાઉન્ડેશન દ્વારા આ વર્ષમાં અન્ય એક પર્યાવરણલક્ષી અગત્યનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ. જે અંતર્ગત ગામના દરેક સમાજના ૩૦૦૦ કરતાં વધુ પરિવારોને દાતાશ્રીના સહયોગથી નિ:શુલ્ક કોટન બેગ(થેલી) વિતરણ કરવામાં આવેલ.