કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટાઉન હોલ આણંદ ખાતે આન - બાન - શાન સાથે સ્વાતંત્ર પર્વની ઉજવણી
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટાઉન હોલ આણંદ ખાતે આન - બાન - શાન સાથે સ્વાતંત્ર પર્વની ઉજવણી
મનપાના ૧૨ સફાઈ કર્મીઓનું કરાયું બહુમાન
મહાનગરપાલિકાના નગરજનોને સ્વાતંત્ર પર્વની શુભકામના પાઠવતા કમિશનર શ્રી મિલિંદ બાપના
આણંદ, શુક્રવાર
દેશના ૭૯ માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આણંદ ટાઉનહોલ ખાતે કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના વરદ હસ્તે ત્રિરંગો લહેરાવી સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે કમિશનર શ્રી મિલિંદ બાપનાએ વરિષ્ઠ નાગરિકો અને મહાનગરપાલિકાના સર્વે નગરજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવી દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર સૌ નામી અનામી શહીદોને વંદન કર્યા હતા.
કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, આઝાદીની લડતમાં ચરોતર પ્રદેશનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે. આઝાદી બાદ આણંદના કરમસદની પાવનભૂમિના પનોતા પુત્ર સરદાર સાહેબે ૫૬૨ જેટલા રજવાડાઓનું એકીકરણ કરી દેશને એકતાના તાંતણે બાંધી અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. સમગ્ર દેશ આજે સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યો છે.
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે જાન્યુઆરી - ૨૦૨૫માં આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકાની નવરચના બાદ કરમસદ આણંદ મહાનગરપાલિકાનું સૌ પ્રથમ રુ.૧૦૫૫ કરોડનું સર્વાંગી વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં રસ્તાઓ સહિત નગરજનોની સુખાકારીમાં વધારો કરતાં વિવિધ વિકાસ કામો સહિત મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે.
કમિશનરશ્રીએ વધુમાં જીટોડીયા, ગામડી, મોગરી અને લાંભવેલમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પાણી ગટર અને રસ્તાના પાયાના અને માળખાગત સુવિધાઓના રૂપિયા ૨૦૦ કરોડના વિકાસકામો હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ વિસ્તારમાં ખુટતી સુવિધાઓ અંગે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, તેમ પણ ઉમેર્યું હતુ.
વધુમાં તેમણે કરમસદ આણંદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ સહિત જાહેર માર્ગો પરના ટ્રાફિકને અડચણરૂપ દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે. શહેરના ચિખોદરા ચોકડી થી જનતા ચોકડી તેમજ આણંદ વિદ્યાનગર માર્ગને આઇકોનિક માર્ગ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહી આણંદ નગરના વિકાસનો રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતુ.
વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકસિત ભારત@૨૦૪૭ નો જે સંકલ્પ કર્યો છે તેમાં સુદ્રઢ શહેરી વિકાસ આયોજનથી વિકસિત ગુજરાત બનાવવા રાજ્ય સરકાર આગળ વધી રહી છે. કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નાગરિકોની જાહેર સુખાકારીમાં ઉત્તરોતર વિકાસ થાય તે માટે મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર કટિબદ્ધ છે તેમ જણાવી તેમણે સ્વાતંત્ર પર્વના શુભ દિવસે કરમસદ આણંદ મહાનગર ક્લીન, ગ્રીન તેમજ સ્માર્ટ સીટી બને તે માટે સૌ નગરજનોને સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
કમિશનરશ્રીએ સૌના સહીયારા પ્રયત્નો થકી જ કરમસદ - આણંદ મહાનગરપાલિકાને આદર્શ મહાનગરપાલિકા તરીકે સ્થાપિત કરવા આણંદ મહાનગરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે સૌ નાગરિકો પ્રતિબધ્ધ બનવા અપીલ પણ કરી હતી.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે મહાનગરપાલિકાના નાયબ કમિશનર સર્વ શ્રી નિલાક્ષ મકવાણા, શ્રી એસ. કે. ગરવાલ સહિત કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ, વરિષ્ઠ નાગરિકો અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
*