1002414973

ચાવડાપુરા-જીટોડીયા ધર્મ વિભાગ માતા મરિયમના ધામે ૧૫ મો ભક્તિ મેળો યોજાયો

ચાવડાપુરા-જીટોડીયા ધર્મ વિભાગ માતા મરિયમના ધામે ૧૫ મો ભક્તિ મેળો યોજાયો

યુવાન પેઢી શિક્ષણના માધ્યમથી જ જીવનમાં આગળ વધી શકશે-ફાધર જીમ્મી ડાભી

આણંદ ટુડે | આણંદ
આજથી ૧૪ વર્ષ પહેલા ચાવડાપુરા- જીટોડીયા ધર્મ વિભાગ ખાતે નિત્ય સહાયક માતા મરિયમ દેવાલયને દશેરાના દિવસે બિશપ શ્રી થોમસ મેકવાનના હસ્તે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ત્યારથી દર વર્ષે દશેરાના દિવસે ચાવડાપુરા દેવાલય ખાતે ભક્તિ મેળો યોજવામાં આવે છે. 
મેળાના પ્રારંભના દિવસોમાં ચાવડાપુરા ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ નિત્ય સહાયક માતા મરિયમની નવ સંધ્યાભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ નવ સંધ્યા ભક્તિ દ્વારા ધર્મજનોને ધાર્મિક ભાથું પીરસવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ધર્મ પ્રાંતના ધર્મોપદેશક ફાધર ઓએ માતા મરિયમ વિશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના જીવન અંગે ખૂબ જ ઊંડાણપૂર્વક આસાના યાત્રીઓ સંબંધી ઉપદેશ આપ્યો હતો.
આજના ભક્તિ મેળાની શરૂઆતમાં  ભવ્ય સરઘસ  કાઢીને કરવામાં આવી હતી, ત્યારબાદ દિલ્હીથી આવેલ ફાધર જીમ્મી ડાભી એસ.જે.ના હસ્તે ભવ્ય પાવન ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. ફાધર જીમ્મી ડાભી જીવનમાં ક્યારે હતાશ ન બનવા જીવનમાં જે પડકાર આવે તેનો સામનો કરવા તથા પ્રભુનો ખરા હૃદયથી સ્વીકાર કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવવા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને યુવાન પેઢી શિક્ષણના માધ્યમથી જ જીવનમાં આગળ વધી શકશે તેમ જણાવ્યું હતું.
આ તબક્કે ચાવડાપુરા જીટોડીયા ધર્મ વિભાગના શ્રદ્ધાળુ કે જેમણે પીએચડી નો અભ્યાસ પૂર્ણ કરેલ છે, એમબીબીએસ ની પદવી હાંસલ કરેલ છે અને તાબાનું ગૌરવ વધારનાર ધર્મજનોનું ફાધર જિમી ડાભીના હસ્તે શાલ ઓઢાડી, બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ચચૅના  મદદનીશ સભા પુરોહિત ફાધર વિજય, ફાધર પ્રમોદ, ચાવડાપુરા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના પ્રિન્સિપલ ફાધર આરોક સહિત અન્ય તાબાના ૨૫ જેટલા ધર્મગુરુઓ, સિસ્ટરો અને ચાવડાપુરા- જીટોડીયા ધર્મ વિભાગ ઉપરાંત સમગ્ર આણંદ અને ખેડા, અમદાવાદ, વડોદરા તથા અન્ય  જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહીને માતા મરિયમના દર્શન કરી ભક્તિ મેળાનો લાભ લીધો હતો.
**