આણંદ અમુલ ડેરીના ચેરમેને રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો
ખેડૂતલક્ષી સંવેદનાનો દાખલો
આણંદ અમુલ ડેરીના ચેરમેને રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો
ખેડૂતલક્ષી સંવેદનાનો દાખલો: અમુલ ડેરીના ચેરમેન દ્વારા રૂ. ૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજ અને ટેકાના ભાવની ખરીદીને હૃદયપૂર્વક આવકાર
આણંદ,
આણંદની અમુલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલે ખેડૂતો પર આવી પડેલી કમ મોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સમયસરના નિર્ણયોને હૃદયપૂર્વક આવકાર્યા છે. તેમણે જણાવ્યું કે, આ આફતોને કારણે ખેડૂતોને થયેલું નુકસાન ભરપાઈ કરવા અને તેમને ફરીથી પગ પર ઊભા કરીને નવેસરથી ખેતી શરૂ કરવા માટે રાજ્ય સરકારે મોટી સહાય જાહેર કરી છે. શ્રી પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, સરકાર કાયમ ખેડૂતોના પડખે ઊભી જ રહે છે.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ અને તેમના માર્ગદર્શન હેઠળ, સરકારે તાજેતરમાં રૂ.૧૦ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, જે ખેડૂતો માટે બહુ મોટી વાત કહેવાય. શ્રી વિપુલ પટેલે આ રાહત પેકેજ દ્વારા સરકારે વધુ એકવાર પોતાની ખેડૂતલક્ષી સંવેદનાનો ઉત્તમ દાખલો બેસાડ્યો હોવાનું જણાવ્યું હતું. આ વિશાળ પેકેજથી ખેડૂતોને પગ પર ઊભા થવામાં મદદ મળશે. આ નિર્ણય બદલ તેમણે મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને તમામ મંત્રીમંડળની ટીમનો આ તબક્કે આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે,રાહત પેકેજ ઉપરાંત, રાજ્ય સરકારે કુદરતી આપત્તિની આ ઘડીમાં ખેડૂતોના મહામૂલા પાક અને તેમની મહેનતનું પૂરતું વળતર સુનિશ્ચિત થાય તે માટે ટેકાના ભાવે ખરીદી કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૫ હજાર કરોડથી વધારે રકમની મગફળી, સોયાબીન અને મગ સહિતની જણસો ટેકાના ભાવે ખરીદવામાં આવશે. આ નિર્ણય ખેડૂતો માટે તેમની મહેનતની સફળતા સુનિશ્ચિત કરવા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે.
શ્રી વિપુલભાઈ પટેલે આ નિર્ણયનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું કે જ્યારે સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે, ત્યારે ખેડૂત આર્થિક રીતે વધુ મજબૂત થશે. આ પગલાથી ખેડૂત વર્ગમાં નવા વર્ષની આશા જાગશે અને તેઓ ફરીથી ઉત્સાહ સાથે ખેતી તરફ વળી શકશે. તેમણે ઉમેર્યું કે, આ બહુ મોટી અને સારી વાત કહેવાય. આ સંવેદનશીલ નિર્ણયો લેવા બદલ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને તેમની પૂરી ટીમનો ફરી એકવાર હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
અમુલ ડેરીના ચેરમેન તરીકે શ્રી વિપુલભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, સરકારે ખેડૂતો માટે કાયમ પડખે ઊભા રહેવાની પરંપરાને જાળવી રાખી છે, અને આ રાહત પેકેજ તથા ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય વધુ એક સેવાનો દાખલો બેસાડે છે. તેમણે રાજ્ય સરકારના આ સંવેદનાસભર નિર્ણય અને ટીમવર્ક માટે ખાસ અભિનંદન પાઠવ્યા હતા
--------------