આણંદ જિલ્લામાં રોગચાળા પર પ્રશાસનનો માસ્ટર સ્ટ્રોક
આણંદ જિલ્લામાં રોગચાળા પર પ્રશાસનનો " માસ્ટર સ્ટ્રોક " ૨૦૨૪ ના વર્ષની સરખામણીએ ડેન્ગ્યુના કેસોમાં ૫૦ ટકા જેટલો ઘટાડો
વર્ષ ૨૦૨૪ દરમિયાન ડેન્ગ્યુના ૧૩૫ કેસ નોંધાયા હતા, જે વર્ષ ૨૦૨૫માં ઘટીને માત્ર ૭૦ કેસ થઈ ગયા છે.
સૂક્ષ્મ આયોજન'ની માનવીય સફળતા : જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના દિશાનિર્દેશ હેઠળ આણંદ આરોગ્ય વિભાગે રોગમુક્ત ભવિષ્યનો માર્ગ કર્યો પ્રશસ્ત
આણંદ ટુડે | આણંદ,
આણંદ જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સઘન કામગીરીના પરિણામે વર્ષ ૨૦૨૪ની સરખામણીમાં વિદાય થયેલા વર્ષ ૨૦૨૫ માં વાહકજન્ય રોગચાળાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના સ્પષ્ટ દિશાનિર્દેશ તથા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ પટેલ અને જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડૉ. રાજેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ છે. આ કામગીરીનો મૂળ હેતુ જિલ્લાના દરેક નાગરિકના સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનો હતો, જેના સંતોષકારક પરિણામો મળ્યા છે.
જિલ્લા આરોગ્ય વિભાગમાંથી વિગતો મુજબ આણંદ જિલ્લામાં ૨૦૨૪ ના વર્ષ કરતાં ૨૦૨૫ ના વર્ષ દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો થયો છે. વર્ષ ૨૦૨૪ દરમિયાન ડેન્ગ્યુના ૧૩૫ કેસ નોંધાયા હતા, જે વર્ષ ૨૦૨૫માં ઘટીને માત્ર ૭૦ કેસ થઈ ગયા છે. તેવી જ રીતે, મેલેરિયાના કેસો ૧૭ થી ઘટીને ૬ ઉપર અને ચિકનગુનિયાના કેસો ૦૭ થી ઘટીને ૬ ઉપર આવ્યા છે. આ ઘટાડો નાગરીકોની આરોગ્ય સુખાકારી માટે જિલ્લા વહીવટી તંત્રના સકારાત્મક પ્રયાસોનું પ્રતિબિંબ પાડે છે.
આ કામગીરીની સફળતાના યશભાગી એવા આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડીસેમ્બર ૨૦૨૫ દરમિયાન કરવામાં આવેલ કામગીરી પણ નોંધપાત્ર રહી છે. આ માસ દરમિયાન આરોગ્ય કર્મચારીશ્રીઓ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના ૪,૧૬,૧૧૬ ઘરોની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં ૧૩,૭૧,૯૬૪ પાત્રોની તપાસ કરીને ૭,૫૨૪ પાત્રોમાં પોરાનો નાશ કરવામાં આવ્યો. રોગના વાહકોને નાથવા માટે ૨૩,૫૫૨ જેટલા પાત્રોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
માત્ર ઘરે-ઘર સર્વેક્ષણ જ નહીં, પરંતુ જનજાગૃતિ અભિયાન દ્વારા પણ લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો (GIDC/ફેક્ટરી), સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશનો અને બાંધકામ સાઇટો સહિત ૨,૫૦૦ થી વધુ સ્થળોએ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિશ્વ મેલેરિયા દિવસ અને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ જેવા કાર્યક્રમો થકી જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી, જેથી પ્રજા પણ પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે સક્રિય બની શકે.
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના નેતૃત્વ હેઠળની આ ટીમના સહિયારા પ્રયાસોનું આ પરિણામ છે, જે તંદુરસ્ત આણંદના નિર્માણ તરફનું એક મહત્ત્વનું પગલું છે.
*****