IMG_20240421_160617

મતદાન કર્યા બાદ જે મતદાર આંગળી પર અવિલોપ્ય શાહિનું નિશાન બતાવશે તેને મળશે ૭ ટકાની છુટ

મતદાન કર્યા બાદ જે મતદાર આંગળી પર અવિલોપ્ય શાહિનું નિશાન બતાવશે તેને મળશે ટકાની છુટ


દવાની દુકાનો, સિનેમા ઘરો, હોટલ - રેસ્ટોરન્ટ સહિતના નાના-મોટા વ્યવસાય કરતાં લોકો મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા

આણંદ ટુડે આણંદ,
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આંણદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૧૬-આણંદ સંસદીય મત વિસ્તારમાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.

જિલ્લા ચૂંટણી તંત્રના મતદાન જાગૃતિના આ પ્રયાસોને હવે આણંદ મતદાર વિભાગની કરમસદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ૨૨૨  જેટલી દવાની દુકાન, સિનેમા ઘરો, હોટલ - રેસ્ટોરન્ટ તથા મોલથી લઈને હેર સલૂન સુધીના નાના-મોટા વ્યવસાય કરતાં લોકો પણ મતદાર જાગૃતિના કાર્યમાં જિલ્લા ચૂંટણી તંત્ર સાથે સહભાગી બન્યા છે.

આણંદ વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી મયુર પરમારના માર્ગદર્શન હેઠળ આણંદ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિના પ્રયાસો હાથ ધરાયા છે. જેના પરિણામ સ્વરૂપે આણંદ, કરમસદ અને વિદ્યાનગર નગરપાલિકા વિસ્તારમાં આવેલ વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓએ પણ  જિલ્લા ચૂંટણી તંત્રના મતદાર જાગૃતિ અભિયાનને ટેકારૂપ સહયોગ પુરો પાડયો છે. 

નગરપાલિકા વિસ્તારના આ વ્યવસાયકારોએ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જે મતદારો મતદાનના દિવસે મતદાન કરી તેમને ત્યાં ખરીદી માટે આવશે તેવા મતદારોની આંગળી ઉપર અવિલોપ્ય શાહિનું નિશાન જોઈને તેમને ખરીદી પર ૭ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવાની સંમતિ વ્યકત કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બનીને પોતાની કર્તવ્યનિષ્ઠા વ્યક્ત કરી છે.
-૦-૦-૦-