આણંદ જિલ્લામાં છેલ્લા ૩ વર્ષમાં ડેન્ગ્યુના કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો
આણંદ જિલ્લામાં ડેન્ગ્યુ સામે આરોગ્ય વિભાગની મોટી સફળતા
આણંદ જિલ્લામાં છેલ્લા ૩ વર્ષમાં ડેન્ગ્યુના કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો
વર્ષ ૨૦૨૪માં ડેન્ગ્યુના કુલ ૧૩૫,વર્ષ ૨૦૨૫માં ૭૦ અને ચાલુ વર્ષ ૨૦૨૬ માં અત્યાર સુધીમાં માત્ર ૫ કેસો નોંધાયા
મચ્છર મુક્ત આણંદ’ બનાવવામાં સહભાગી બનવા નાગરિકોને અપીલ
આણંદ ટુડે | આણંદ,
આણંદ જિલ્લામાં ડેન્ગ્યુના રોગચાળાને નિયંત્રિત કરવા માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના પરિણામે ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ડેન્ગ્યુના કેસોની વિગતો જોઇએ તો, વર્ષ ૨૦૨૪માં ડેન્ગ્યુના કુલ ૧૩૫ કેસો નોંધાયા હતા, જેમા ૪૪ સરકારી અને ૯૧ ખાનગી કેસ નોંધાયા હતા, જેની સામે આરોગ્ય વિભાગની સતત કામગીરીને પરિણામે વર્ષ ૨૦૨૫માં કેસોની સંખ્યા ઘટીને કુલ આંકડો ૭૦ થયો હતો, જેમા ૨૯ સરકારી અને ૪૧ ખાનગી કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષ ૨૦૨૬ માં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના માત્ર ૫ કેસો જ નોંધાયા છે, જે જિલ્લામાં રોગચાળાના ઘટતા પ્રભાવને સૂચવે છે.
આ ડેન્ગ્યુ રોગચાળાને જડમૂળથી નાબૂદ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડૉ. રાજેશ પટેલ સુચારૂ આયોજનના દ્વારા જિલ્લાભરમાં ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરીને સંભવિત ઉત્પત્તિ સ્થાનોની ચકાસણી કરવામાં આવે છે. જ્યાં પાણીનો નિકાલ શક્ય નથી ત્યાં ટેમીફોસ (Abate) જેવી પોરાનાશક દવાનો છંટકાવ કરીને એન્ટી-લાર્વલ કામગીરી કરવામાં આવે છે. આ સાથે 'સોર્સ રિડક્શન' અંતર્ગત નકામા ટાયરો અને પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ તેમજ પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકવા અંગે માર્ગદર્શન અપાય છે.
મચ્છર નિયંત્રણ માટે જૈવિક પદ્ધતિનો ઉપયોગ કરતા ગામડાના હવાડા અને તળાવોમાં પોરાભક્ષક 'ગંભુશિયા' અને 'ગપ્પી' માછલીઓ મૂકવામાં આવે છે, જે કુદરતી રીતે મચ્છરના પોરાનો નાશ કરે છે. જે વિસ્તારોમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ જોવા મળે ત્યાં તાત્કાલિક અસરથી ફોગિંગની કામગીરી કરવામાં આવે છે. જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં નિદાન અને સારવાર માટે દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ઉપરાંત, 'એપેડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭' અને 'ડેન્ગ્યુ નોટિફિકેશન એક્ટ ૨૦૧૭' હેઠળ મચ્છરના ઉત્પત્તિ સ્થાનો રાખનાર બેદરકાર આસામીઓ સામે નોટિસ અને દંડની કડક વસૂલાત પણ કરવામાં આવી રહી છે. આરોગ્ય શિક્ષણ દ્વારા ખાસ કરીને લોકો સ્વયંભૂ સફાઈ રાખે અને મચ્છરનો ઉપદ્રવ ઘટે તે માટે શાળા-કોલેજોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે. આણંદ જિલ્લામાં ડેન્ગ્યુ નિયંત્રણમાં વિવિધ સરકારી વિભાગો પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
ડેન્ગ્યુ એ ચેપી માદા એડીસ મચ્છર કરડવાથી થતો રોગ છે જે દિવસના સમયે કરડે છે અને તેનો ઉપદ્રવ ઘરની અંદર સંગ્રહિત ચોખ્ખા અને સ્થિર પાણીમાં થાય છે. આથી, આરોગ્ય શાખા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ દર રવિવારે ઘરના પાણીના પાત્રો જેવા કે ટાંકી, કુલર, ફ્રિજની ટ્રે, કુંડા અને પક્ષીકુંજની સફાઈ કરે તેમજ પાણીના વાસણોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખે. તેમજ ચોમાસા દરમિયાન ઘરની આસપાસ કે છત પર ભંગાર કે ટાયરોમાં પાણી જમા ન થાય તેની તકેદારી રાખીને આપણે સૌ સાથે મળીને 'મચ્છર મુક્ત આણંદ' બનાવીએ અને ડેન્ગ્યુ સામેની લડાઈમાં સક્રિય સહભાગી બનીએ.
************