ખંભાત ખાતે ૭૭મા વન મહોત્સવની ઉજવણી
ખંભાત ખાતે ૭૭મા વન મહોત્સવની ઉજવણી
પર્યાવરણના જતન માટે પોતાના જન્મદિવસે દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ કરવા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની અપીલ
આણંદ, શુક્રવાર
આણંદ જિલ્લાના ખંભાત ખાતે ૭૭મા વન મહોત્સવની ઉજવણી જબરેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ પર્યાવરણની જાળવણીમાં સહભાગી બની દરેક નાગરિકને વધુને વધુ વૃક્ષો વાવવા અને તેના જતન માટે સંકલ્પબદ્ધ થવા ભાવભરી અપીલ કરી હતી. તેમણે પર્યાવરણની સુરક્ષા અને માનવ જીવન માટે વૃક્ષોના મહત્વ વિશે ભારપૂર્વક વાત કરતા ઉપસ્થિત સૌ નાગરિકોને પર્યાવરણ રક્ષણ માટે કટિબદ્ધ બનવા અપીલ કરી હતી.
મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, પર્યાવરણનું સંતુલન જાળવી રાખવા માટે વૃક્ષો જ સૌથી મહત્વનું અંગ છે, જે આપણને પ્રાણવાયુ (ઓક્સિજન) પૂરો પાડે છે. ખંભાત જેવા દરિયાઈ વિસ્તારમાં દરિયાનું ધોવાણ અટકાવવા માટે કિનારા પર મેંગ્રુવના વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યુ છે. તેમણે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ લોકોને અનુરોધ કર્યો હતો કે દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસે અથવા માતાની યાદમાં ઓછામાં ઓછું એક વૃક્ષ અવશ્ય વાવે. આ જનઅભિયાનમાં દરેક નાગરિક જોડાય તે બાબત પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે પણ વડાપ્રધાનશ્રીની અપીલને ધ્યાને રાખીને પર્યાવરણને બચાવવા વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જીલુભા સિંધે પ્રસંગોચિત ઉદબોધન કરી વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું.
મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે આણંદ જિલ્લામાં વન વિભાગની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રશંસાપત્ર આપીને બહુમાનિત કરવામાં આવ્યા હતા અને વૃક્ષ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વૃક્ષ રથના માધ્યમથી ગામે ગામ વૃક્ષોનું નિશુલ્ક ધોરણે વિતરણ કરવામાં આવશે.
કાર્યક્રમના પ્રારંભમાં નાયબ વન સંરક્ષક શ્રી સુરેશ મીણાએ સૌનું સ્વાગત કર્યું હતું, જ્યારે જૂનાગઢના વન સંરક્ષક શ્રી રામ રતન નાલા એ વન વિભાગની કામગીરીની રૂપરેખા આપી હતી. અંતમાં ફોરેસ્ટ અધિકારી દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહૂતિ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, ખંભાત તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ સોલંકી, ખંભાત નગરપાલિકાના પ્રમુખ શ્રી મંજુલાબેન રાણા, પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહ, શાળાના ટ્રસ્ટી શ્રી જીગ્નેશભાઈ પટેલ સહિત વન વિભાગના અધિકારીઓ, ખેડૂતો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના પટાંગણમાં મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
*****