ચાવડાપુરા જીટોડીયા દેવાલય ખાતે ત્રિ-દિવસીય બાઇબલ અધિવેશન ભવ્ય રીતે યોજાયું
ચાવડાપુરા-જીટોડીયા દેવાલય ખાતે ત્રિ-દિવસીય બાઇબલ અધિવેશન ભવ્ય રીતે યોજાયું
પાસખા પર્વ નિમિત્તે પ્રભુ ઈસુના વચનો દ્વારા જીવન પરિવર્તનનો સંદેશ
દેશભરના બિશપ, ફાધરો અને મોટી સંખ્યામાં ધર્મજનો ઉપસ્થિત
આણંદ ટુડે | આણંદ
ચાવડાપુરા-જીટોડીયા નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય, ચાવડાપુરા-જીટોડીયા ખાતે ફાધર જગદીશ મેકવાનના વડપણ હેઠળ ત્રિ-દિવસીય બાઇબલ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પાસખા પર્વ નિમિત્તે ચાલી રહેલા 40 દિવસના ઉપવાસ દરમિયાન પ્રભુ ઈસુના વચનો દ્વારા ધર્મજનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તેવા સંદેશ સાથે અધિવેશન યોજાયું હતું.
આ અધિવેશનમાં પંજાબના બટાલા સ્થિત ફાધર થોમસ અને તેમની ટીમ મુખ્ય ઉપદેશક તરીકે હાજર રહ્યા હતા. તેમણે પ્રભુ વાણીની ઊંડાણપૂર્વક સમજ આપી ઈશ્વર પિતા પર વિશ્વાસ રાખવાનો સંદેશ આપ્યો હતો.
ફાધર થોમસે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે મન, વચન અને કર્મથી થતા પાપોમાંથી મુક્તિ મેળવવા માટે પ્રાયશ્ચિતનો માર્ગ અપનાવવો જરૂરી છે. તેમણે બાઇબલ આધારિત ઉદાહરણો દ્વારા પાપ, શિક્ષા અને મુક્તિના વિષયો પર પ્રભાવશાળી પ્રવચન આપ્યું હતું. ઉપરાંત ગુલાબ માળા દ્વારા મળતી શાંતિ, કૃપા અને વરદાન અંગે પણ શ્રદ્ધાળુઓને માર્ગદર્શન આપ્યું હતું.
ત્રણ દિવસ ચાલેલા આ અધિવેશન દરમિયાન શ્રદ્ધાળુઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ મજબૂત બનાવવા માટે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
અધિવેશન દરમિયાન પ્રથમ દિવસે વડોદરા ધર્મપ્રાંતના બિશપ પૂજ્ય સેબાસ્ટીન, બીજા દિવસે અમદાવાદ ધર્મપ્રાંતના બિશપ પૂજ્ય રત્નાસ્વામી અને ત્રીજા દિવસે રાજકોટ ધર્મપ્રાંતના બિશપ પૂજ્ય ચિત્તોપરંબિલ જોશના હસ્તે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે બિશપશ્રીઓએ પ્રભુ ઈસુના પ્રેમ અને માફીના સંદેશને જીવનમાં ઉતારવા તેમજ એકબીજા પ્રત્યે પ્રેમભાવ રાખવાનો સંદેશ આપ્યો હતો.
આ બાઇબલ અધિવેશનમાં ફાધર વિજય, ફાધર પ્રમોદ, ફાધર આરોક સહિત અમદાવાદ ધર્મપ્રાંતના વિવિધ વિભાગોના ફાધરો, સિસ્ટરો તેમજ દૂર દૂરથી મોટી સંખ્યામાં ધર્મજનો ઉપસ્થિત રહી આધ્યાત્મિક લાભ લીધો હતો.