1003437375

લુપ્ત થતી ચકલીઓ માટે કર્મરાજ ફાઉન્ડેશન આણંદની સરાહનીય પહેલ

લુપ્ત થતી ચકલીઓ માટે કર્મરાજ ફાઉન્ડેશન આણંદની સરાહનીય પહેલ

માળાનું નિઃશુલ્ક વિતરણ, પક્ષી સંવર્ધન માટે નાગરિકોમાં જાગૃતિનો સંદેશ

આણંદ ટુડે | આણંદ

શહેરીકરણના વધતા પ્રભાવ વચ્ચે ધીમે ધીમે લુપ્ત થતી ચકલીઓના સંવર્ધન માટે આણંદની જાણીતી સામાજિક સંસ્થા ‘કર્મરાજ ફાઉન્ડેશન’ દ્વારા ચકલીના માળા વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી સતત ચાલી રહેલા આ સેવાકીય પ્રકલ્પ અંતર્ગત આ વર્ષે પણ પક્ષીપ્રેમીઓને નિઃશુલ્ક માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા ચરોતરનું ગૌરવ પ્રાપ્તિબેન મેહતાએ પોતાના વરદ હસ્તે માળા વિતરણની શરૂઆત કરાવી હતી. તેમણે સંસ્થાની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, “પ્રકૃતિનું સંતુલન જાળવવા માટે પક્ષીઓનું જતન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. કર્મરાજ ફાઉન્ડેશનનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે.”

કર્મરાજ ફાઉન્ડેશનના પ્રમુખ કલ્પેશ રાજ અને તેમની ટીમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વોલેન્ટિયર્સ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વોલેન્ટિયર્સ દ્વારા નાગરિકોને માળાનું યોગ્ય સ્થાપન કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી પક્ષીઓને સુરક્ષિત આશરો મળી રહે.

ઉલ્લેખનીય છે કે, સંસ્થા દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં આ પ્રવૃત્તિ હાથ ધરે છે, જેથી અબોલ પક્ષીઓને સુરક્ષા મળી રહે. આ વર્ષે પણ સ્થાનિક નાગરિકોએ આ ઝુંબેશને ઉત્સાહભેર સમર્થન આપ્યું હતું, જે પર્યાવરણ જાળવણી માટે સકારાત્મક સંકેત છે.