સહકારી પ્રવૃત્તિને પીપલ, પેક્સ, પ્લેટફોર્મ, પોલિસી અને પ્રોસ્પેરિટીના આધારે સમગ્ર દેશવ્યાપી બનાવવા શ્રી અમિત શાહનું આહવાન
સહકારી પ્રવૃત્તિને પીપલ, પેક્સ, પ્લેટફોર્મ, પોલિસી અને પ્રોસ્પેરિટીના આધારે સમગ્ર દેશવ્યાપી બનાવવા શ્રી અમિત શાહનું આહવાન
દેશના સહકારી આગેવાનોને પારદર્શિતા, ટેકનોલોજીનો સ્વીકાર અને સભાસદોના હિતોને કેન્દ્રમાં રાખવા કેન્દ્રીય સહકાર મંત્રીશ્રીનો અનુરોધ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં દૂધ નગરી આણંદ ખાતે સહકાર સંમેલન સંપન્ન
અમૂલ ડેરીના ચોકલેટ, દૂધ, દહી અને મોઝરેલા ચીજના એક્સટેન્શન પ્લાન્ટ અને મણીબેન પટેલ ભવનનું લોકાર્પણ
વૈદિક કાળથી આપણી સહકારની પરંપરાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૨૧માં સહકાર મંત્રાલયની સ્થાપના કરીને કાયદાકીય સ્વરૂપ આપ્યું
સહકારી મંડળીઓ દૂધ, બેન્કિંગ, ખાંડની મિલો અને ડિજિટલ પેમેન્ટ જેવા ક્ષેત્રોમાં દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપી રહી છે
ગુજરાતે સ્વાતંત્ર્ય સંગ્રામમાં અસહકાર આંદોલનની આગેવાની લીધી હતી, અને આજે સહકારીતામાં પણ અગ્રેસર- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
આણંદ, રવિવાર
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિતે દૂધ નગરી આણંદ ખાતે વિશાળ સહકાર સંમેલન યોજાયું હતું. વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા શ્રી શાહે સહકારી પ્રવૃત્તિને પીપલ, પેક્સ, પ્લેટફોર્મ, પોલિસી અને પ્રોસ્પેરિટીના પાંચ પી (P) સાથે દેશવ્યાપી વિસ્તારવાનું આહવાન કર્યું હતું
શ્રી અમિત શાહે જણાવ્યું કે, કેન્દ્રીય સહકારિતા મંત્રાલયને ચાર વર્ષ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ૬૦ વર્ષ અને સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષના સુભગ સમન્વય આણંદમાં સહકાર સંમેલન સાથે અનેક કાર્યો થઇ રહ્યા છે. કેન્દ્રીય સહકારિતા મંત્રાલય ચાર વર્ષમાં પાંચ પી (P) આધારે કામ કરી રહ્યું છે. People (જનસેવા કેન્દ્રિત), PACS (પ્રાથમિક સહકારી મંડળીઓનું સશક્તિકરણ), Platform (ડિજિટલ પ્લેટફોર્મ), Policy (નવી નીતિઓ) અને Prosperity (સમાજની સંપન્નતા)ના આધારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સહકાર પ્રવૃત્તિનો વ્યાપ વિસ્તરી રહ્યો છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમૂલ ડેરીના ચોકલેટ, દૂધ, દહી અને મોઝરેલા ચીજના એક્સટેન્શન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. સાથે એનડીડીબીના મુખ્યાલય ખાતે મણીબેન પટેલનું ભવનનું લોકાર્પણ પણ કર્યું હતું. દેશની દૂધ સહકારી મંડળીઓના રાષ્ટ્રીય સંગઠનનો પાયો પણ આ બન્ને મહાનુભાવોના હસ્તે નંખાયો છે. તેમણે સરદાર પટેલ સહકારી દૂધ ડેરી ફેડરશનનું નોંધણી પત્ર અર્પણ કરી લોગોનું અનાવરણ કર્યું હતું. આ ઉપરાંત કચ્છના રણમાં કામ કરતા અગિયારોને સહકારી પ્રવૃત્તિમાં જોડવાના ઉદ્દાત હેતુંથી શરૂ કરાયેલી કચ્છ મીઠા ઉત્પાદક સહકારી મંડળીનું નોંધણી પત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.
તેમણે અમૂલ ડેરીનું ઉદાહરણ આપતાં કહ્યું કે, ૩૬ લાખ ગુજરાતી અને ૨૦ લાખ દેશભરના મળી કુલ ૫૬ લાખ બહેનો પશુપાલન થકી દૂધ ઉત્પાદન દ્વારા રૂ. ૮૦ હજાર કરોડનું ટર્નઓવર કરે છે. જે આગામી વર્ષે એક લાખ કરોડ થશે, જેનો નફો ૫૬ લાખ સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી આ બહેનોના ખાતામાં જશે.
આ સંમેલનમાં શ્રી શાહે સહકારી ક્ષેત્રની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વૈદિક કાળથી સહકારની પરંપરા ચાલે છે. સાથે બેસી જમવાનું, કામ કરવાનું, વિચારવાનું અને સાથે રહેવાની આપણી સહકારી પરંપરાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૨૧માં સહકાર મંત્રાલયની સ્થાપના કરીને કાયદાકીય સ્વરૂપ આપ્યું છે. ૮.૪૦ લાખની વધુ મંડળીમાં ૩૧ કરોડ સભાસદો જોડાયેલા છે. આ મંડળીઓ દૂધ, બેન્કિંગ, ખાંડની મિલો અને ડિજિટલ પેમેન્ટ જેવા ક્ષેત્રોમાં દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપી રહી છે. આ મંત્રાલયના ચાર વર્ષમાં 60થી વધુ પહેલ કરવામાં આવી છે.
શ્રી અમિત શાહે સહકારી આગેવાનોને પારદર્શિતા, ટેકનોલોજીનો સ્વીકાર અને સભાસદોના હિતને કેન્દ્રમાં રાખવાની ત્રણ બાબતોને અમલમાં મૂકવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે આ બાબતો વિના સહકાર લાંબો ટકી શકે નહીં. આ ભાવનાને કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધી દરેક ગામડે પહોંચાડવી જોઈએ. અનેક દેશોમાં પારદર્શિતાના અભાવના કારણે સહકારી પ્રવૃત્તિ બંધ પડી છે.
પ્રારંભે તેમણે ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીની ૧૨૪મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે જણાવ્યું કે શ્યામા પ્રસાદજીએ પશ્ચિમ બંગાળને ભારતનો ભાગ બનાવવામાં અને કાશ્મીરને દેશનો અભિન્ન હિસ્સો બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. “એક દેશમાં બે નિશાન, બે વિધાન, બે પ્રધાન નહીં ચાલે”ના નારા સાથે તેમણે પોતાનું બલિદાન આપ્યું હતું. તેમણે પંડિત નેહરુના મંત્રીમંડળમાંથી રાજીનામું આપી ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી, તે આજે ૧૨ કરોડ સભ્યો સાથે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.
તેમણે અમૂલ, એનડીડીબી અને કચ્છમાં મીઠા સહકારી મંડળીનો પ્રારંભ કરવા બદલ તમામને શુભેચ્છા પાઠવી હતી અને ઉમેર્યું કે આ પહેલ નમક ઉત્પાદક ખેડૂતો માટે મોટી સફળતા બનશે. તેમણે ભારતના સહકારી ક્ષેત્રને મજબૂત કરી વિશ્વ માટે ઉદાહરણ બનાવવાનો સંકલ્પ પણ આ તકે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલએ ગુજરાતના સહકારી ક્ષેત્રની સિદ્ધિઓ પર ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, ગુજરાતે સ્વાતંત્ર્ય સંગ્રામમાં અસહકાર આંદોલનની આગેવાની લીધી હતી, અને આજે સહકારીતામાં પણ અગ્રેસર છે. રાજ્યનું સહકારી ક્ષેત્ર રૂ. ચાર લાખ કરોડનું ટર્નઓવર ધરાવે છે, ૨૭ લાખથી વધુ નવા બેંક ખાતાં ખોલવામાં આવ્યાં છે અને રૂ. ૧૨૦૦૦ કરોડથી વધુ થાપણો જમા થઈ છે. દૂધ ઉત્પાદનમાં રોજના 325 લાખ લિટરનો સંગ્રહ થાય છે, અને મહિલા-સંચાલિત દૂધ મંડળીઓની સંખ્યામાં ૨૧ ટકા તેમજ તેમની આવકમાં ૪૩ ટકાનો વધારો નોંધાયો છે.
તેમણે ઉમેર્યું હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશભરની ગ્રામ પંચાયતોને સહકાર સાથે જોડવામાં આવી છે. બે લાખથી વધુ PACS દ્વારા ગ્રામીણ અર્થતંત્રને નવી ઊર્જા મળી છે, જે હવે પેટ્રોલ પંપ, જન ઔષધિ કેન્દ્રો, પાણીના પ્રોજેક્ટ્સ અને ડિજિટલ પેમેન્ટ જેવી સેવાઓ પૂરી પાડે છે. સહકારી બેંકિંગ ક્ષેત્રે ડિજિટલાઈઝેશન અપનાવીને ગામડાંઓમાં આધુનિક બેંકિંગ સેવાઓ પહોંચાડી છે. રાજ્ય સરકારે ઈ-કોઓપરેટિવ પોર્ટલ દ્વારા મંડળીઓનું રજિસ્ટ્રેશન, ઓડિટ અને રિપોર્ટિંગ ઓનલાઈન કર્યું છે, જેનાથી પારદર્શકતા અને કાર્યક્ષમતામાં વધારો થયો છે.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્થાપિત સહકાર મંત્રાલયના ચાર વર્ષની સફળતાને બિરદાવી સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં “સહકારથી સમૃદ્ધિ”ના મંત્રને સાકાર કરવા બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતુ કે, સહકાર મંત્રાલયે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા, ખેડૂતો, પશુપાલકો અને મહિલાઓને સહકારી પ્રવૃત્તિઓ સાથે જોડવામાં નોંધપાત્ર કામગીરી કરી છે, જે દેશના વિકાસમાં નવું મોડલ બન્યું છે.
૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેમાં ભારત વૈશ્વિક સ્તરે સહકારી મોડલનું ઉદાહરણ બનશે, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ દેશની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન થયું છે, જે ભવિષ્યમાં સહકારી ક્ષેત્ર માટે યોગ્ય માનવસંસાધન તૈયાર કરશે. NDDB અને અમૂલના નવતર પ્રોજેક્ટ્સ ગુજરાતના ડેરી, ખેતી અને પશુપાલન ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જશે. સહકાર મંત્રાલય દ્વારા “સહકારથી સમૃદ્ધિ”નો મંત્ર ગામે ગામ સુધી સાકાર થશે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યમાં સહકારી ક્ષેત્રનું યોગદાન મહત્વનું રહેશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સહકારીતા વિભાગના ચોથા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં પ્રારંભે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતીએ તેમના “એક દેશમાં બે નિશાન, બે વિધાન ન હોઈ શકે” ના વિચારો અને અખંડ ભારત માટેના તેમના સમર્પણને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતીની ઉજવણીનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સરદાર સાહેબના માર્ગદર્શનથી ગુજરાતની ધરતી પર સહકારીતાનો પાયો નંખાયો, જે આજે રાષ્ટ્રની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે.
કાર્યક્રમના પ્રારંભમાં અમૂલ ફેડરેશનના ચેરમેન શ્રી શામળભાઇ પટેલે મહાનુભાવોનું સ્વાગત કરીને ડેરી ક્ષેત્રે અમૂલનુ પ્રદાન વિશે જાણકારી આપી હતી. આ પ્રસંગે સહકારિતા મંત્રાલયના તથા અમૂલ ડેરીની સિદ્ધિઓને દર્શાવતી ટૂંકી ફિલ્મનું નિદર્શન કરાયું હતું.
ચોથા સહકારીતા વર્ષની ઉજવણીના અવસરે ભારત સરકારના સહકાર રાજ્ય મંત્રી શ્રી કૃષ્ણપાલ તથા શ્રી મુરલીધર મોહોલ, ભારત સરકારના મત્સ્ય અને પશુપાલન રાજ્ય મંત્રી શ્રી જ્યોર્જ કુરિયન, ભારત સરકારના મત્સ્ય અને ડેરી વિભાગના રાજ્ય મંત્રી શ્રી એસ.પી. બઘેલ, ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી તથા ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિર, કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, અમૂલના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, ગુકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, કેન્દ્ર સહકાર વિભાગના સહકારિતા સચિવ ડૉ. આશિષ કુમાર ભૂટાણી, નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો સર્વ શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી ચિરાગભાઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ પરમાર, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, અમૂલના એમ. ડી. ડૉ. અમિતભાઈ વ્યાસ, ગુજરાતના વિવિધ જિલ્લાના દૂધ સંઘના ચેરમેનશ્રીઓ, દેશના વિવિધ રાજ્યોના સહકાર ક્ષેત્રના આગેવાનો, સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ખેડૂતો, પશુપાલકો અને દૂધ મંડળીના મહિલા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
દૂધ નગરી આણંદમાં સહકારથી સમૃધ્ધિને ચરિતાર્થ કરતાં વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ
અમૂલ ચીઝ પ્લાન્ટનું વિસ્તરણ
સહકારિતા દ્વારા અમૂલે દેશના કરોડો ખેડૂતોને જોડ્યા છે અને દરેક ઘર સુધી શુદ્ધતા અને વિશ્વાસ પહોંચાડ્યો છે. અમૂલ ચીઝ પ્લાન્ટના આ વિસ્તરણનો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ એ શુભારંભ કરાવ્યો હતો. નોંધનીય છે કે, અમૂલે રૂપિયા ૨૬૦ કરોડના રોકાણથી પ્લાન્ટમાં મોઝેરેલા ચીઝની ક્ષમતા ૨૦ મેટ્રિક ટન પ્રતિદિન, USD દૂધની ૩ લાખ લીટર પ્રતિદિન અને યોગર્ટની ક્ષમતા પાંચ મેટ્રિક ટન પ્રતિદિન વધારી છે.
અમૂલ મોગર ચોકલેટ પ્લાન્ટનું વિસ્તરણ
અમૂલના મોગર ખાતે આવેલા ચોકલેટ પ્લાન્ટનું વિસ્તરણ પણ રૂપિયા ૧૦૫ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. જેનું ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ એ ડિજિટલ ઉદ્દઘાટન કર્યું હતું. વર્ષ ૨૦૧૮ માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમૂલના અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. ત્યારથી આજ સુધી અમૂલ ડાર્ક ચોકલેટે ભારતમાં પોતાની મજબૂત લીડરશિપ પણ સ્થાપિત કરી છે. વધતી માંગને ધ્યાનમાં રાખીને, એક નવા અધ્યાયરૂપે આ પ્લાન્ટની ક્ષમતા બમણી કરવામાં આવી છે.
રૂપિયા ૧૦૫ કરોડના ખર્ચે બનેલો આ પ્લાન્ટ અમૂલ ચોકલેટની વધતી માંગને પૂરી કરશે અને તેનાથી દેશના સહકારી કોકોબીન ઉત્પાદકોને પણ ફાયદો થશે. અમૂલે હંમેશા સહકારિતા આંદોલનને નવી દિશા આપી છે અને હવે આ નવો ચોકલેટ પ્લાન્ટ તે આંદોલનને વધુ મજબૂત બનાવશે. આ માત્ર એક પ્લાન્ટ નથી, પરંતુ ખેડૂતોની વધતી આવકનું સાધન અને દેશને મધુરતા આપવાનો એક નવો પ્રયાસ છે.
NCDFI નું નવું બિલ્ડીંગનું લોકાર્પણ
આણંદ સ્થિત NCDFI ના નવા બિલ્ડીંગનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ એ તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતુ.
NCDFI ના નવા બિલ્ડીંગના લોકાર્પણ પ્રસંગે ડૉ. મીનેશ શાહ, ચેરમેન, NCDFI અને NDDB, ડૉ. મંગલ જિત રાય, ડિરેક્ટર, NCDFI, શ્રી શામલભાઈ બી. પટેલ, ડિરેક્ટર, એનસીડીએફ આઈ, શ્રી કે.એસ. મણિ, ડિરેક્ટર, એનસીડીએફ આઈ, શ્રી બાલચંદ્ર એલ. જરાકીહોલી, નિયામક, NCDFI, શ્રી નરિન્દર સિંહ શેરગિલ, ડિરેક્ટર, NCDFI, શ્રી એસ. રઘુપતિ, નિયામક, NCDFI શ્રી એસ.કે. પરિદા, ડિરેક્ટર, એનસીડીએફઆઈ શ્રી રાજેશ પરજને, ભૂતપૂર્વ ડિરેક્ટર, NCDFI શ્રી શ્રીનિવાસ સજ્જા, મેનેજિંગ ડિરેક્ટર, NCDFI દ્વારા ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.
તકતી અનાવરણ બાદ NCDFI ના નવા બિલ્ડીંગ પરિસરમાં ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ સમયે શ્રી કૃષ્ણ પાલ, સહકાર રાજ્યમંત્રી, ભારત સરકાર, શ્રી મુરલીધર મોહોલ, સહકાર અને નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી, ભારત સરકાર, પ્રો. એસ.પી. સિંહ બઘેલ, કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી, શ્રી જ્યોર્જ કુરિયન, કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, NCDFI અને એનડીડીબીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિઠ્ઠલ ઉદ્યોગ નગર સ્થિત ઇન્ડિયન ડેરી મશીનરી કંપની(આઈ.ડી.એમ સી)ના યુનિટ - ૭ નું લોકાર્પણ
આઈ.ડી.એમ.સી. લિમિટેડ દ્વારા પ્રતિ વર્ષ ૧૦ ટન રેડી ટુ યુઝ કલ્ચરની ઉત્પાદન ક્ષમતાવાળો અત્યાધુનિક પ્લાન્ટ કાર્યરત કરાયો છે. જેનું કેન્દ્રિય સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિને કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ એ લોકાર્પણ કર્યું હતુ.
આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકર કરતા આઈ.ડી.એમ સી.ના આ રેડી ટુ યુઝ કલ્ચર પ્લાન્ટ - યુનિટ – ૭ ના લોકાર્પણ બાદ કેન્દ્રિય સહકાર મંત્રીશ્રીએ આ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ વેળાએ એન.ડી.ડી.બી.ના ચેરમેન શ્રી મિનેશભાઈ શાહ એ કેન્દ્રિય મંત્રીશ્રીને પ્લાન્ટની વિગતોથી વાકેફ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડેરી ઉદ્યોગમાં મોટા પાયે ફર્મેન્ટેડ દૂધ ઉત્પાદનોના નિર્માણ માટે રેડી ટુ યુઝ કલ્ચર (RUC) નો ઉપયોગ થાય છે. ભારતમાં રેડી ટુ યુઝ કલ્ચર મોટાભાગે વિદેશથી આયાત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના "મેક ઇન ઇન્ડિયા" અભિયાન હેઠળ અને ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન અંતર્ગત આ રેડી ટુ યુઝ કલ્ચર દેશમાં જ ઉત્પાદિત થશે.
એન.ડી.ડી.બી દ્વારા વિવિધ રેડી ટુ યુઝ કલ્ચર ફોર્મ્યુલેશન્સ વિકસાવવામાં આવ્યા છે. આ ટેક્નોલોજી એન.ડી.ડી.બી.ની સહાયક કંપની,આઈ.ડી.એમ.સી. લિમિટેડ દ્વારા ૧૦ ટન આર.યુ.સી પ્રતિ વર્ષની ઉત્પાદન ક્ષમતાવાળો અત્યાધુનિક પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાં મોટાભાગના ઉપકરણો સ્વદેશી છે.
આઈ.ડી.એમ. સી.પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી,આઈ.ડી.એમ.સી.ના પ્લાન્ટના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રકાશ મહેશ્વરી સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
એન.ડી.ડી.બી. ખાતે નવનિર્મિત બિલ્ડીંગનું કરાયું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે એન.ડી.ડી.બી. પરિસરમાં નવનિર્મિત બિલ્ડીંગનું તકતી અનાવરણ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવ નિર્મિત બિલ્ડીંગનું નામ મણીબેન ભવન આપવામાં આવ્યું છે. આ બિલ્ડીંગ ખાતે એનડીબીના ચેરમેન સહિત કોર્પોરેટ ઓફિસનો સ્ટાફ બેસશે.
આ એન.ડી.ડી.બી. પરિસરમાં તૈયાર કરવામાં આવેલા મણીબેન ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ૫૭૦ સ્ક્વેર મિટર ગ્રાઉન્ડ ફ્લોર અને ૮૦૫ સ્ક્વેર મીટર ફર્સ્ટ ફ્લોર સહિત કુલ ૧૩૭૫ સ્ક્વેર મીટરનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેમાં ચેરમેન ઓફિસ, બોર્ડ રૂમ, મીટીંગ રૂમ, એક્ઝિબિશન અને ડિસ્પ્લે રૂમ, મીડિયા બ્રિફિંગ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીની સાથે ભારત સરકારના રાજ્ય મંત્રી સર્વ શ્રી કૃષ્ણ પાલ, શ્રી મુરલીધર મોહોલ, પ્રો. એસ.પી. સિંહ બઘેલ, શ્રી જ્યોર્જ કુરિયન, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, એન.ડી.ડી.બી.ના ચેરમેન શ્રી મિનેશ શાહ સહિત એનડીડીબીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
******

