1002827086

ચારૂસેટ ખાતે ઇપ્કો પરિવારના માતબર દાન થકી નવનિર્મિત સંતરામ ભવનનો નામાભિધાન સમારોહ યોજાશે

ચારૂસેટ ખાતે ઇપ્કો પરિવારના માતબર દાન થકી નવનિર્મિત સંતરામ ભવનનો નામાભિધાન સમારોહ યોજાશે

આ સમારોહમાં ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી); અનંત વિભૂષિત કાર્ષ્ણિ સ્વામી શ્રી ગુરુશરણાનંદજી મહારાજ, ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ, અને નડિયાદ સંતરામ મંદિરના સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજ આશીર્વચન પાઠવશે.

ચાંગા 

ગુજરાતની અગ્રણી યુનિવર્સિટીઓમાંની એક ચારુસેટ યુનિવર્સિટી, ચાંગા ખાતે ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ મંગળવારે સાંજે ૫ વાગ્યાથી નવ પ્રસ્થાપિત ‘સંતરામ ભવન’ (સાયન્ટીફીકલી એડવાન્સડ ન્યુ-ઇમર્જિંગ ટેક્નોલોજી રિસર્ચ એન્ડ એનાલિટિકલ મૂલ્યાંકન ભવન) નો નામકરણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમ વિશે માહિતી આપતા ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલે જણાવ્યું હતું કે આ સમારોહમાં પ્રતિષ્ઠિત આધ્યાત્મિક સંતો ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) (સાંદીપનિ આશ્રમ, પોરબંદર), અનંત વિભૂષિત કાર્ષ્ણિ સ્વામી શ્રી ગુરુશરણાનંદજી મહારાજ (રમણરેતી, મહાવન, મથુરા), ઉમરેઠના શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ અને નડિયાદના સંતરામ મંદિરના શ્રી નિર્ગુણદાસજી મહારાજ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે.

આ ભવનના મુખ્ય દાતા ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અને સંતરામ ભકત શ્રી દેવાંગ પટેલ અને ઈપ્કો પરિવાર છે. ચારુસેટના વિકાસમાં ઇપ્કો પરિવારના માતબર યોગદાન પર ભાર મુકતા ચારુસેટના રજીસ્ટ્રાર ડૉ. બિનિત પટેલે માહિતી આપી હતી કે ચારુસેટની નોંધપાત્ર પ્રગતિમાં સ્વ. શ્રી ઇન્દુકાકા, શ્રી દેવાંગભાઇ અને શ્રીમતી અનિતાબેનનો અતૂટ આર્થિક સહયોગ કેન્દ્રસ્થાને છે. રૂ. ૨૫ કરોડથી વધુના યોગદાન સાથે શ્રી દેવાંગભાઇ પટેલ યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત દાતાઓમાં સ્થાન ધરાવે છે, જેમના માતબર દાનથી ઇન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIIM), દેવાંગ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી એન્ડ રિસર્ચ (DEPSTAR), અને અનિતા દેવાંગ પટેલ ઇપ્કોવાલા સેન્ટર ઓફ એક્સલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની મુખ્ય એકેડેમીક અને રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ્સનો ઉદય થયો છે. 

દાનનો પ્રવાહ વહેવડાવવાના વારસાને યથાવત રાખીને શ્રી દેવાંગભાઈ પટેલે ચારુસેટમાં મલ્ટી-યુટિલિટી બિલ્ડિંગની સ્થાપનામાં અગ્રેસર ભૂમિકા અદા કરી છે જેનું નામાભિધાન ‘સંતરામ ભવન’ તરીકે કરાશે. આ ભવનનો ઉપયોગ ટેકનોલોજી-આધારિત શૈક્ષણિક કાર્યો માટેનાં અત્યાધુનિક સેન્ટર તરીકે કરવામાં આવશે. ચારુસેટે ઓપરેશનલ એક્સેલન્સ, ટેક્નોલોજિકલ એડવાન્સમેન્ટ અને રિસોર્સ ઑપ્ટિમાઇઝેશનને મજબૂત બનાવવા અત્યાધુનિક સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ‘સંતરામ ભવન' આગવું સ્થાન ધરાવશે. આ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સેન્ટર ફોર ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામ (CCOE), કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન (CoE), હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર (HRDC), ઇન્ટરનલ ક્વોલિટી એસ્યોરન્સ સેલ (IQAC), ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન (CIVF), અને ચારુસેટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન સેન્ટર (CSIC) સહિત વિવિધ એડમિનીસ્ટ્રેશન અને ઇનોવેશન યુનિટ્સ છે. તેમાં સોફ્ટવેર આઇટી ડેવલપમેન્ટ વિભાગ, કમાન્ડ અને કંટ્રોલ રૂમ, કોન્ફરન્સ રૂમ, વેઇટિંગ લાઉન્જ, પેન્ટ્રી અને અન્ય સુવિધાનો સમાવેશ થાય છે. પ્રથમ અને બીજો માળ સંપૂર્ણપણે ચારુસેટની અગ્રણી પેપરલેસ એક્ઝામ સિસ્ટમને સમર્પિત છે, જે ૨૦૧૯ માં લોન્ચ કરવામાં આવી હતી અને ૨૦૨૨થી તમામ ૭ ફેકલ્ટી અને ૧૦ કોલેજોમાં સંપૂર્ણપણે અમલમાં મૂકવામાં આવી છે. દરેક સેમેસ્ટર દરમિયાન 1૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ આ સિસ્ટમ દ્વારા બે ટેકનોલોજીકલી અદ્યતન હોલમાં પરીક્ષા આપે છે જેમાં ૧૨૦૦ વિદ્યાર્થીઓ બેસે છે, જેમાં બેગ ડ્રોપ ઝોન, ઓબ્ઝર્વેશન રૂમ અને ટેબ્લેટ ચાર્જિંગ રૂમની સુવિધા છે જે ૧૨૫૦ થી વધારે ટેબ્લેટ માટે ૧૨૦ થી વધુ ડોકિંગ સ્ટેશનોથી સજ્જ છે. ત્રીજા માળે એક્ઝામ સ્ટાફ ઓફિસ, બે એસેસમેન્ટ રૂમ (દરેકની ક્ષમતા ૧૦૦) અને ડિગ્રી અને ગ્રેડ શીટ્સના સુરક્ષિત પ્રિન્ટિંગ માટે ઇન-હાઉસ પ્રેસ રૂમ છે જે એસેસમેન્ટ અને એક્ઝામિનેશન મેનેજમેન્ટને વધુ મદદરૂપ થાય છે. ટેકનોલોજીકલી અદ્યતન અને પર્યાવરણની દ્રષ્ટિએ સાનુકૂળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ‘સંતરામ ભવન’ને ચારુસેટની એકેડેમીક ઇકોસિસ્ટમના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાન આપે છે.

આ નામકરણ સમારોહમાં આધ્યાત્મિકતા, નેતૃત્વ અને શૈક્ષણિક સંશોધનનો ત્રિવેણી સંગમ થશે જે ચારુસેટની પ્રગતિ, સેવા અને ટેકનોલોજીકલ ટ્રાન્સફોર્મેશનની અવિરત યાત્રામાં શ્રી દેવાંગભાઈ પટેલના માતબર યોગદાનને ઉજાગર કરે છે. આ પ્રસંગે ચારુસેટ અને કેળવણી મંડળના પ્રમુખ શ્રી સુરેન્દ્ર પટેલ, માતૃસંસ્થા- કેળવણી મંડળ- સીએચઆરએફના સેક્રેટરી ડૉ. એમ. સી. પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ શ્રી કિરણ આઈ. પટેલ, સીએચઆરએફ-ચારુસેટ હોસ્પિટલના પ્રમુખ અને સોજિત્રાના ધારાસભ્ય શ્રી વિપુલ પટેલ ઉપરાંત માતૃસંસ્થા, કેળવણી મંડળ અને સીએચઆરએફના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.