ચારૂસેટ યુનિવર્સીટીમાં ભવ્ય તિરંગા યાત્રા રેલીનું આયોજન કરાયું
ચારૂસેટ યુનિવર્સીટીમાં ભવ્ય તિરંગા યાત્રા રેલીનું આયોજન કરાયું
તિરંગા યાત્રા માત્ર રેલી નથી, તે રાષ્ટ્ર પ્રત્યે શ્રદ્ધા અને એકતાનું પ્રતિક છે.-ડૉ. પ્રિતેશ પટેલ
આણંદ ટુડે | ચાંગા
ચારૂસેટ યુનિવર્સીટી દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરવા માટે 7 ઓગસ્ટ, 2025, ગુરુવારના રોજ ભવ્ય તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનીવર્સીટીના 1500થી વધારે વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વિવિધ વિભાગોના અધિકારીઓ વગેરેએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
તિરંગા યાત્રા રેલીની શરૂઆત યુનીવર્સીટીના એડમીન બિલ્ડીંગથી કરવામાં આવી હતી. દેશપ્રેમથી છલોછલ ભરેલા યુવાનોએ હાથમાં તિરંગો લઈને “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્” જેવા દેશભક્તિના નારાઓના ઘોષ સાથે સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી ગુંજતું કર્યું હતું. રેલીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ચેતના, એકતા અને દેશપ્રેમની ભાવનાનું સંવર્ધન કરવાનો હતો.
આ પ્રસંગે કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, ચારુસેટ યુનીવર્સીટીના ઈન્ચાર્જ પ્રોવોસ્ટ અને રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ, વિવિધ ફેકલ્ટીના ડીન, વિવિધ સંસ્થાઓના પ્રિન્સીપાલ, વિવિધ વિભાગોના વડા વગેરેએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
ચારુસેટ એનસીસી યુનિટના ફીઝીકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડૉ. પ્રિતેશ પટેલે જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રત્યે ચેતના અને જવાબદારીનો ભાવ પ્રદર્શિત કરે છે. તિરંગા યાત્રા માત્ર રેલી નથી, તે રાષ્ટ્ર પ્રત્યે શ્રદ્ધા અને એકતાનું પ્રતિક છે.
આ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના સંયોજક પ્રો. કિશન પટેલ, એનએસએસના સ્વયંસેવકો, નેશનલ કેડેટ કોર (NCC) અને વિદ્યાર્થી પરિષદના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સમાપન સૌએ ગર્વભેર રાષ્ટ્રગાન ગાઈને કરવામાં આવ્યું હતું.