ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા સમાજને પ્રેરણારૂપ પર્યાવરણ જાગૃતિ યાત્રા
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા સમાજને પ્રેરણારૂપ પર્યાવરણ જાગૃતિ યાત્રા
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સેતુ ટ્રસ્ટ વિદ્યાનગર દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે યોજાઇ પર્યાવરણ જાગૃતિ યાત્રા
પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા થયેલ જાગૃતિ યાત્રામાં પ્રાંત અધિકારી મયુર પરમાર અને નાયબ મામલતદાર હરેન્દ્રસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા
આણંદ ટુડે | વિદ્યાનગર
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી સેતુ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટ સંચાલિત નિઃશુલ્ક છાત્રાલયમાં નિવાસ કરતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા યોજાઇ ભવ્ય "જાગૃતિ યાત્રા". પ્લાસ્ટીકનો ઉપયોગ શક્ય તેટલો ઘટાડવા અને વધુમાં વધુ વૃક્ષો ઉછેરીને પર્યાવરણને પ્રદૂષણ મુક્ત કરવા માટે સેતુ ટ્રસ્ટ દ્વારા જાગૃતિ યાત્રાને સમર્થન આપવા પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર, જુદા જુદા સામાજિક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર, સી ટુ સી પરીવાર અને આણંદ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમીતે પર્યાવરણ જાગૃતિ યાત્રાનું આયોજન પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલ (ફાઉન્ડર અને જનરલ સેક્રેટરી - સેતુ ટ્રસ્ટ), પ્રજ્ઞાચક્ષુ રાધાબેન પટેલ (ટ્રસ્ટી - સેતુ ટ્રસ્ટ) અને પર્યાવરણ જાગૃતિ કોઓર્ડિનેટર વ્રજ પટેલની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં આણંદ જિલ્લા પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડૉ. મયુર પરમાર, નાયબ મામલતદાર હરેન્દ્રસિંહ પરમાર, અલ્પાબેન પટેલ (આયર્ન લેડી), જીગ્નેશભાઈ પંડ્યા (સામાજીક કાર્યકર), જલપનભાઈ પટેલ (રમત ગમત કન્વીનર આણંદ જીલ્લા ભાજપ), એન.એસ.પટેલ આર્ટ્સ કોલેજના વિધાર્થીઓ, એન.એસ.એસ. ના સ્વયંસેવકો અને કર્મચારીઓનો ખૂબ ઉત્સાહ સાથે સહયોગ રહેવા પામ્યો હતો. ટ્રસ્ટના ફાઉન્ડર સુધાબેન પટેલ દ્વારા યાત્રાના પ્રસ્થાન સમયે પ્લાસ્ટિકના ઉપયોગથી પ્રદૂષણને થતા ગંભીર નુકશાન વિશે ઉંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે જનરલ સેક્રેટરી સુધાબેન દ્વારા વધુમાં વધુ વૃક્ષો વાવવા માટેની પ્રેરણારૂપ વાત પણ કરી હતી.
આ પ્રસંગે સેતુ ટ્રસ્ટનાં ખજાનચી ચિરાગભાઈ પટેલ, ટ્રસ્ટી અને કોન્સેપ્ટ ટુ ક્લીન ફાઉન્ડેશનના પ્રમુખ સુરેશભાઈ વાણીયા, સોશિયલ મીડિયા કૉ-ઓર્ડીનેટર વંદન કળથીયા, સેતુ યુવા ગ્રુપના સભ્ય ઉર્વીશા મકવાણા, ક્રિષ્ના પાડરીયા, રાહુલ મહેતા, અતિરા વહોરા યુવાસભ્યો મોટી સંખ્યામાં ઊર્જા સાથે યાત્રામાં જોડાયા હતાં. સેતુ ટ્રસ્ટ વિદ્યાનગર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલ આ પ્રથમ જાગૃતિ યાત્રાના પ્રજ્ઞાચક્ષુ બાળકોનો ઉત્સાહ વખાણવા લાયક હતો