આણંદ કલાકારો, કલાપારખુંઓ અને મનિષીઓની ભૂમિ છે : કૈલાસ ખેર
આણંદ કલાકારો, કલાપારખુંઓ અને મનિષીઓની ભૂમિ છે : કૈલાસ ખેર
વલ્લભ વિદ્યાનગરમાં બે દિવસીય આણંદ ઉત્સવનો પ્રારંભ
પદ્મશ્રી કૈલાશ ખેરે કૈલાસા લાઈવ કાર્યક્રમમાં લોક સંગીત અને સૂફી સંગીતથી પ્રભાવિત સંગીત શૈલીમાં ગીતો ગાઈ પ્રેક્ષકોને ડોલાવ્યા
સરદાર સાહેબની સ્મૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલો આણંદ જિલ્લો ખૂબ જ ઝડપભેર વિકસી રહ્યો છે : મંત્રીશ્રી મુળુભાઇ બેરા
પ્રતિવર્ષ આણંદ ઉત્સવનું આયોજન કરાશે
આણંદ, શુક્રવાર
વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે ગુજરાત પ્રવાસન નિગમ,ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને આણંદ જિલ્લા પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ બે દિવસીય આણંદ ઉત્સવનો પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ પ્રારંભ કરાવ્યો હતો.
આણંદ ઉત્સવના પ્રથમ દિવસે સંગીતકાર અને ગાયક પદ્મશ્રી કૈલાશ ખેરે કૈલાસા લાઈવ કાર્યક્રમમાં લોક સંગીત અને સૂફી સંગીતથી પ્રભાવિત સંગીત શૈલીમાં ગીતો ગાઈ પ્રેક્ષકોને ડોલાવ્યા હતા.પોતાના શક્તિશાળી અવાજ અને સંગીતની અનોખી શૈલીથી કૈલાશ ખેરે સમગ્ર દેશમાં લોકપ્રિય પ્લેબેક ગાયકોમાં પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે.
આ પ્રસંગે પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, રાજયના વિકાસની સાથે સરદાર સાહેબની સ્મૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલો આણંદ જિલ્લો ખૂબ જ ઝડપભેર વિકસી રહ્યો છે.
તેમણે ઉમેર્યું કે,સરદાર સાહેબથી શ્વેતક્રાંતિ સુધી અને એકવીસમી સદીને અનુરૂપ વિકાસ, નવરચના અને નવીનીકરણ આણંદને સમૃદ્ધિનો જિલ્લો બનાવે છે. આણંદ માત્ર વિકાસનો વારસો નથી ધરાવતો પરંતુ ઇતિહાસ, શિક્ષણ, સંશોધન, કલા-સંસ્કૃતિ અને ધર્મ તેમજ આધ્યાત્મનો વારસો છે.આણંદે આપેલી અમૂલની ભેટ એ સમગ્ર દેશમાં સહકારિતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્ય સરકારે વર્ષ - ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે તેનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,શહેરોના સમતોલ અને સર્વાંગી વિકાસ માટે આ વર્ષના બજેટમાં પણ રાજ્ય સરકાર દ્વારા માતબર રકમ ફાળવવામાં આવી છે.આણંદ મહાનગર પાલિકા દ્વારા તેના પ્રથમ બજેટમાં જ રૂ. ૧,૦૫૫ કરોડની જોગવાઈ કરી છે.જે આણંદના વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે.
આણંદ ઉત્સવના આયોજન બદલ તેમણે કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી સહિત સમગ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા.
સાંસદશ્રી મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે,આણંદ મનપા બન્યા બાદ સૌ પ્રથમવાર આણંદ ઉત્સવનું આયોજન રાજ્ય સરકારના સહયોગથી કરવામાં આવ્યું છે જે આનંદની વાત છે.
પ્રારંભમાં સૌનો આવકાર કરતા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે,આણંદ જિલ્લા વહીવટી તંત્ર,ઔધોગિક એકમો,અન્ય સંસ્થાઓ અને સરદાર પટેલ યુનિવર્સિટીના સહયોગથી દર વર્ષે આણંદ ઉત્સવનું આયોજન કરવામાં આવશે.
કૈલાસ ખેરે કેમ છો આણંદ...કહી દિવ્ય વિભૂતિઓ અને મહાદેવની કૃપાથી આ સ્વર્ણિમ પળ આણંદમાં આવી છે. તેમ કહી ઉમેર્યું હતું કે, વિદ્યાનગર એ શિક્ષાની નગરી છે.આણંદ કલાકારો, કલાપારખુંઓ અને મનિષીઓની ભૂમિ છે.
આ કાર્યક્રમ પૂર્વે કૈલાસ ખેરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે,આણંદમાં આજે આણંદ ઉત્સવનો અનહદ નાદ ગુંજશે.
મારી સંગીત યાત્રાના પ્રારંભમાં ગુજરાતી ગરબાના આલ્બમનું રેકોર્ડિંગ આણંદમાં કર્યું હતું
મારા માટે આ ભાવનાત્મક પળ મારા મહાદેવે દેવતુલ્ય આણંદવાસીઓને મળવા માટે આપી છે.
આ પ્રસંગે નાયબ દંડકશ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, જિલ્લાના ધારાસભ્યો, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ, પદાધિકારીઓ, મ્યુનિ.કમિશનર શ્રી મિલિન્દ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ,જિલ્લા પોલીસ અધિક્ષક જે.જે.જસાણી, અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં આણંદવાસીઓએ આ આણંદ ઉત્સવને મન ભરીને માણ્યો હતો.
પદ્મશ્રી કૈલાસ ખેરે પોતાના કૈલાસા બેન્ડ થકી ફિલ્મી તથા સૂફી ગીતોનીઅદ્ભુત પ્રસ્તુતિ કરીને આણંદ વાસીઓને આનંદમાં ઓતપ્રોત કર્યા...
પદ્મશ્રી કૈલાસ ખેરે આણંદના વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ "આણંદ ઉત્સવ" કોન્સર્ટમાં પોતાના કૈલાસા બેન્ડ થકી ફિલ્મી તથા સૂફી ગીતોની અદભુત પ્રસ્તુતિ કરીને આણંદ વાસીઓને આનંદમાં ઓતપ્રોત કર્યા હતા .
જેમાં ની મેં જાના જોગી દે નાલ..., મેં તો તેરે પ્યાર મેં દિવાના હો ગયા...,મેં કરૂ શ્રૃંગાર તો શરમાયે એ દર્પણ...આવોજી..આવોજી, તોબા તોબા...એ તેરી સૂરત..., તું જાને ના... પ્રિયા કે રંગે મેં રંગ ઓઢ દી..તેરે બીન નહીં લગતા દિલ મેરા ઢોલના, તું ક્યાં જાને..મેરે દિલ કી બાતે,સહિતના ફિલ્મી અને સૂફી ગીતોની પ્રસ્તુતિ કરી ત્યારે શ્રોતાઓ મંત્ર મુગ્ધ થઈ ઝૂમી ઉઠ્યા હતા.
-0-0-0-0