માત્ર બે મહિનામાં ઉમરેઠના હમીદપુરા ગામની મહિલાએ ટીબીને હરાવ્યો
માત્ર બે મહિનામાં ઉમરેઠના હમીદપુરા ગામની મહિલાએ ટીબીને હરાવ્યો
ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિભાગની નિક્ષય પોષણ યોજના અંતર્ગત ડી.બી.ટીના માધ્યમથી કમળાબેનના ખાતામાં અત્યાર સુધી રૂ.૪૫૦૦ પણ જમાં કરવામાં આવ્યા
આણંદ ટુડે | આણંદ,
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના હમીદપુરા ગામના રહેવાસી કમળાબહેન બળવંતભાઈ બારૈયાને કફ,તાવ અને વજનમાં ઘટાડા જેવી તકલીફ થઈ હતી.
આશાબહેન દ્વારા તેમણે સમજાવટ કરાતા ભરોડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગળફાની તપાસ કરાવવા તૈયાર થયા.રીપોર્ટ બાદ માલૂમ પડ્યું કે, કમળાબેન ટીબીગ્રસ્ત છે.ટીબીના કારણે તેમના ૭૫ ટકા ફેફસા અસરગ્રસ્ત થયા હતા.અશક્તિના લીધે ૪૬ વર્ષીય કમળાબહેનનું વજન પણ માત્ર ૩૨ કિલોગ્રામ જેટલું થઇ ગયું હતું
ટીબીનો રીપોર્ટ પોઝીટીવ આવતા વેત મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર દ્વારા સારવાર ચાલુ કરતાં પહેલા ઘરની મુલાકાત કરવામાં આવી હતી.તેમનું વજન,ઉંચાઈ,બેન્ક ખાતા નંબર,લોકેશન, આધાર નંબર,સંપર્ક નંબર તથા ઘરના સભ્યોની પ્રાથમિક વિગતો એકઠી કરવામાં આવી.ત્યારબાદ ટીબી રોગ વિશે આરોગ્યલક્ષી જાણકારી આપીને તેમના પરિવાર જનોને પણ ટીબી સામે રોગપ્રતિકારક શક્તિ કેળવાય તે પ્રકારના દવા પણ આપવામાં આવી હતી.
શરૂઆતમાં તો કમળાબહેનના વજન મુજબ ટીબીની સારવાર ચાલુ કરવામાં આવી.પરંતુ સારવાર ચાલુ હોવા છતાં તેમની તબિયતમાં સુધારો નહિવત જોવા મળ્યો.જેના પાછળ આરોગ્યની ટીમ તેમના રૂટીન આદતો વિશે ઘરના સભ્યોને પૃચ્છા કરી.
ઘરના સભ્યોએ આરોગ્યની ટીમને જાણકારી આપી કે, ટી.બીના પેશન્ટ એવા કમળાબહેન તો વર્ષોથી નશાના બંધાણી છે.કમળાબહેનને આરોગ્યની ટીમ દ્વારા કાઉંસેલિંગ કરીને નશાની ખરાબ આદતમાંથી છોડવ્યા.ત્યારબાદ આશા બહેન દ્વારા નિયત સમયે લોહી, બીપી, ડાયાબિટીસ,પલ્સરેટ,ઓક્સિજન લેવલ તથા વજનની માપણી કરીને તેમના આરોગ્યની દરકાર લેવામાં આવતી હતી.
આ ઉપરાંત કમળાબહેનની આર્થિક સ્થિતિ સારી નહોતી.જેના કારણે તેમના આહારની સઘળી જવાબદારી નિક્ષય મિત્ર મિલનભાઈ સોલંકી,સુરેશભાઈ ભોઈ તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા અમિતભાઈ પટેલે નિક્ષય કિટ કે જેમાં પ્રોટીન યુક્ત આહાર તથા અન્ય પોષણક્ષમ તત્વો મળી રહે તે પ્રકારની આહાર પૂરો પાડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિભાગની નિક્ષય પોષણ યોજના અંતર્ગત ડી.બી.ટીના માધ્યમથી તેમના ખાતામાં અત્યાર સુધી રૂ.૪૫૦૦ પણ જમાં કરવામાં આવ્યા છે.
આમ, જિલ્લા આરોગ્ય તંત્રની સઘળી મહેનત થકી કમળાબહેન હવે પોતનું રોજિદું કાર્ય પણ જાતે કરી રહ્યા છે અને પોતાના ગુજરાન માટે કામે પણ જવા લાગ્યા છે.
-૦-૦-૦-