IMG_20240224_195131

સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનો સંવાદિતા અને કરુણાનો સાર્વત્રિક સંદેશ લઈને ચંદ્રયાન ઓડિસીયસ IM-1 મૂન લેન્ડરનું ચંદ્ર પર સફળ ઐતિહાસિક ઊતરાણ.

સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનો સંવાદિતા અને કરુણાનો સાર્વત્રિક સંદેશ લઈને ચંદ્રયાન ઓડિસીયસ IM-1 મૂન લેન્ડરનું ચંદ્ર પર સફળ ઐતિહાસિક ઊતરાણ.

આણંદ ટુડે
છેલ્લી લગભગ પોણી શતાબ્દીથી ચંદ્ર વિશ્વના વિજ્ઞાનીઓનું એક આકર્ષણનું બિંદુ બન્યો છે. અંતરીક્ષમાં પહોંચવાની વિશ્વના વિજ્ઞાનીઓમાં જાગેલી તાલાવેલીના પરિણામે આખરે માનવીએ ચંદ્ર પર ઊતરાણ કર્યું અને તેના કારણે અનેક તકનિકી લાભો આજે વિશ્વને પ્રાપ્ત થયા છે. તાજેતરમાં ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સર્વ પ્રથમ ઊતરાણ કરીને વિશ્વને ચકિત કરી દીધું છે. 
એ જ શૃંખલામાં તાજેતરમાં અમેરિકાના એક ચંદ્રયાને પુનઃ દક્ષિણ ધ્રુવ પર ઊતરાણ કરીને એક નવો વિક્રમ સર્જ્યો છે.
22 ફેબ્રુઆરી, ગુરુવારે, યુ.એસ. સમય પ્રમાણે સાંજે 6:23 વાગ્યે, અને ભારતના સમય મુજબ 23 ફેબ્રુઆરીની વહેલી સવારે, વિશ્વ પ્રસિદ્ધ અમેરિકન અંતરિક્ષ વિજ્ઞાની સંસ્થા NASA અને SpaceXના સહિયારા ઉપક્રમે ચંદ્ર પર IM–1 ઓડિસીયસ મૂન લેન્ડરનું સફળતાપૂર્વક ઊતરાણ થયું છે. ભારત, સનાતન ધર્મ અને વિશ્વના ધાર્મિક ઇતિહાસ માટે એક ગૌરવવંતી ઘટના એ છે કે આ ચંદ્રયાનની સાથે ભારતના વૈશ્વિક મહાન સંતવિભૂતિ અને પ્રસિદ્ધ હિન્દુ ધર્મગુરુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ(1921-2016, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ગુરુદેવ)ના વૈશ્વિક કાર્ય અને જીવનભાવનાને પ્રતિબિંબિત કરતો સંદેશ કોતરવામાં આવ્યો હતો. 
તા. 22મી ફેબ્રુઆરીએ જ્યારે ચંદ્ર પર આ યાને ઊતરાણ કર્યું ત્યારે મિશન ડિરેક્ટર ટીમ ક્રેન દ્વારા આ મિશનની સફળતાની જાહેરાત કરવામાં આવી હતી, “ઓડિસીયસને તેનું નવું ઘર મળ્યું છે.’ IM–1 લેન્ડરના ચંદ્ર પરના દક્ષિણ ધ્રુવ પરના સફળતાપૂર્વક ઉતરાણની સાથે સાથે, આ લેન્ડરમાં એરોસ્પેસ કંપની ‘રિલેટિવ ડાયનેમિક્સ’ દ્વારા નિર્મિત અને પ્રમુખ સ્વામી મહારાજના સંદેશને અંકિત કરતી એક ખાસ પથ્થરમાંથી બનાવાયેલી ડિસ્ક ચંદ્ર પર સ્થાપિત કરવામાં આવી છે, ચંદ્ર પર તેના પહોંચવાની ક્ષણોને સૌએ વધાવી લીધી હતી.   
આ મિશન છેલ્લાં 50 વર્ષોમાં યુ.એસ.એ.ના  એરક્રાફ્ટ દ્વારા ચંદ્રની સપાટી પરના સૌપ્રથમ નિયંત્રિત ઉતરાણ હોવાની સાથે સાથે NASA(નાસા)ના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સનના કહેવા મુજબ ‘માનવજાતની સફળતા’ રૂપ પણ છે. આ સફળતા વિજ્ઞાન અને આધુનિકતમ ટેકનોલોજીના અદ્‌ભુત વિનિયોગની સાથે કરુણા અને સંવાદિતાને મૂર્તિમંત કરી બતાવનાર આધ્યાત્મિક ગુરુના વૈશ્વિક સંદેશમાં છે. 
IM–1ના ઉતરાણ પહેલાં, Intuitive Machines(ઈંટયુટીવ મશીન્સ) દ્વારા પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવન અને સંદેશને linkedin (લિકન્ડઇન) પર આ રીતે અંજલિ આપવામાં આવી હતીઃ
“Intuitive Machines(ઈંટયુટીવ મશીન્સ) અને Relative Dynamics(રિલેટિવ ડાયનેમિક્સ), એ બંનેના સહકારથી નિર્મિત IM–1 મિશન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા ગુરુ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને શાશ્વત અંજલિ આપવા જઈ રહ્યું છે. હિન્દુ આધ્યાત્મિક ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના નિસ્વાર્થ સેવામય જીવનને અંજલિ અર્પતા શબ્દો ડિસ્ક પર કોતરવામાં આવ્યા છે. અવકાશ સંશોધનમાં રાષ્ટ્રો અને વિવિધ કોર્પોરેશનો વચ્ચેનો આ પ્રકારનો સાંસ્કૃતિક સહયોગ સહિયારા મૂલ્યો, પ્રયત્નો અને જવાબદારીને વિકસિત કરે છે.”
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ‘પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ’ની અમદાવાદ ખાતે ઉજવણી ખૂબ શાનદાર રીતે કરવામાં આવી હતી. આ દરમિયાન 29 ડિસેમ્બર, 2022ના રોજ આ ડિસ્કનું બી.એ.પી.એસ.ના વર્તમાન આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે વેદોક્ત પૂજન કર્યું હતું. આ ડિસ્કમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પણ વિશ્વમાં સૌની સુખાકારી અને શાંતિ માટે વ્યક્ત થયેલી પ્રાર્થના મૂકવામાં આવી છેઃ “બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના આનંદમાં આપણો આનંદ છે. આ જીવનસૂત્ર સાથે, વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને આપણાં સમયના મહાન સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તેઓનું સમગ્ર જીવન માનવજાતના ઉત્કર્ષ માટે સમર્પિત કર્યું હતું. તેઓના જન્મશતાબ્દીના અવસરે, હું ભગવાન સ્વામિનારાયણના પાવન ચરણોમાં પ્રાર્થના કરું છું કે નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોને આત્મસાત કરીને સૌ પરમ આનંદ અને સુખ પ્રાપ્ત કરે. સમગ્ર વિશ્વમાં એકતા અને સંવાદિતા સ્થપાય. સર્વત્ર પરસ્પર પ્રેમ અને આદર વધે. સૌના શુભ સંકલ્પો સાકાર થાય.”
Intuitive Machines(ઈંટયુટીવ મશીન્સ)ના સીઇઓ સ્ટીફન આલ્ટેમસે જણાવ્યું છે કે “સૌના સહિયારા સહયોગ અને આવાં સહિયારા મૂલ્યો દ્વારા અવકાશી સંશોધનો આપણા સૌના માટે, સમગ્ર માનવજાત માટે ઉપકારક છે.”
આ રીતે IM–1 દ્વારા સનાતન હિંદુ ધર્મની ‘વસુધૈવ કુટુમ્બકમ્‌” ની ભાવના અને સંવાદિતા, એકતા અને કરુણાનો સાર્વત્રિક સંદેશ ચંદ્ર પર પહોંચ્યો છે. 
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા અને સનાતન ધર્મના આવા વૈશ્વિક મહાન સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનો તેમની આકૃતિ સાથેનો પવિત્ર સંદેશ ચંદ્રની ધરતી પર પહોંચ્યો છે તેનાં અજવાળાં ભવિષ્યમાં હજુ વધુ વિસ્તરશે અને વિશ્વને તેમાંથી પ્રેરણા મળતી રહેશે. ચંદ્ર પર  ભારતીય સંત મહાપુરુષને અંજલિ આપતા આ એક  અજોડ ગૌરવવંતા અવસરનો આનંદ સૌ કોઈ માણી રહ્યા છે.