1 (7)

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નડીઆદ હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત લીધી

આજના મહત્વના સમાચાર

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નડીઆદ હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત લીધી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ખેડા જિલ્લાના નડિયાદ પહોંચીને સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાતથી તેમના કાર્યક્રમોની શરૂઆત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત લીધી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હિન્દુ અનાથ આશ્રમના પ્રમુખશ્રી દિનશા પટેલ અને ટ્રસ્ટીઓએ મુખ્ય મંત્રીશ્રીને આશ્રમ ખાતે આવકાર્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ હિંદુ અનાથ આશ્રમમાં ગાંધી સરદાર સ્મૃતિ ભવનની ગાંધી અને સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા. 
મુખ્ય મંત્રીશ્રીએ ભવનના મ્યુઝિયમની મુલાકાત લઈ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું. મુખ્ય મંત્રીશ્રીએ હિન્દુ અનાથ આશ્રમના ટ્રસ્ટીઓ અને સમિતિના સભ્યો સાથે  આશ્રમના બાળકોના સર્વાંગી વિકાસ માટે વિચાર વિમર્શ કર્યો હતો.

નવરાત્રીમાં રમઝટ બોલાવશે મેઘરાજા

નવરાત્રીના સમય એટલે કે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પણ વરસાદ યથાવત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 3 ઓક્ટોબર 2024થી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે અને અંબાલાલ પટેલે સપ્ટેમ્બર અને ઓક્ટોબર બંને મહિનામાં વરસાદ યથાવત રહેવાની આગાહી કરી છે. નવરાત્રીમાં વરસાદ વિલન બની શકે છે અને આયોજકો અને ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવી શકે છે. ગુજરાતીઓના હોટ ફેવરિટ તહેવાર નવરાત્રીમાં વરસાદ વેરી બનશે તેવી અંબાલાલની આગાહીના પગલે ગરબા રસિકો અને ગરબા આયોજકોની ચિંતા વધી છે.

સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતાં પાંચ ડૂબ્યાં,ત્રણના  મોત

ગાંધીનગરના સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતાં ત્રણના લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ગાંધીનગરમાં સેક્ટર 30 નજીક સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ પઘરાવવા દરમ્યાન ઘટી હતી. મળતી માહિતી મુજબ સંતુલન ગુમાવતા એક વ્યક્તિ નદીના પડ્યો હતો. જેને બચાવવા માટે પાંચ લોકોએ પ્રયાસ કર્યા હતા. જેમાંથી બે લોકોને સ્થાનિકોએ બચાવી લીધા હતા.જ્યારે અન્ય ત્રણના ડૂબી જવાથી મોત થયા હતા.

આણંદમાં દુષ્કર્મ કેસમાં એક શિક્ષકને 25 વર્ષની જેલની સજા કોર્ટે ફટકારી

આણંદમાં વર્ષ 2022માં થયેલા એક દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપી શિક્ષકને 25 વર્ષની જેલની સજા ફટકારી છે. આણંદના શિક્ષક દર્શન સુથારને આ સજા મળી છે. દર્શન સુથાર નામના લંપટ શિક્ષકે વર્ષ 2022માં એક 14 વર્ષીય વિદ્યાર્થીનીને બૉર્ડ પરીક્ષામાં વધુ ગુણ અપાવવાની લાલચ આપી અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતુ. વિદ્યાર્થીનીના માતા-પિતાએ લંપટ શિક્ષક વિરૂદ્ધ પૉક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. આજે આણંદની સ્પેશ્યલ પૉક્સો કોર્ટે આરોપીને 25 વર્ષની જેલની સજા ફટકારી છે. 

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કેલ ભારતીય ટીમના મુખ્ય બોલિંગ કોચ તરીકે નિયુક્ત

ગૌતમ ગંભીરે જ્યારથી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચનું પદ સંભાળ્યું છે ત્યારથી નવા બોલિંગ કોચની શોધ ચાલી રહી હતી અને આમની અંડર વિશ્વ ક્રિકેટના ઘણા દિગ્ગજ બોલરોના નામ સામે આવ્યા હતા પરંતુ હવે એક અહેવાલ મુજબ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કેલને ભારતીય ટીમના મુખ્ય બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમનો કાર્યકાળ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે.

11 વર્ષ બાદ આસારામ બાપૂ માટે  જેલના દરવાજા ખુલ્યા,7 દિવસની પેરોલ મળી 

કિશોરી પર બળાત્કારના દોષિત આસારામ બાપૂને જોધપુર કોર્ટે 2018માં આજીવન કેદની સજા ફટકારી હતી. 2013માં જ તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડના 11 વર્ષ બાદ આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. તેને સારવાર માટે 7 દિવસની પેરોલ મળી છે. આસારામને સારવાર માટે પોલીસ કસ્ટડીમાં મહારાષ્ટ્ર લઈ જવામાં આવશે.

સ્વતંત્રતા દિવસ નિમિતે ગુજરાતના 21 પોલીસકર્મીને સન્માનિત કરાશે

15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ નિમિતે ગુજરાતના 21 પોલીસકર્મીને સન્માનિત કરવામાં આવશે. રાજયના 21 પોલીસ કર્મચારીઓને પ્રેસિડેન્ટ મેડલ મળશે. આવતી કાલે પોલીસ કર્મીઓને મેડલ એનાયત કરવામાં આવશે. પોલીસ કર્મીની પ્રશંસાપાત્ર સેવા બદલ આ મેડલ આપવામાં આવશે. ત્યારે 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામ આવશે.

રાજકોટના હીરાસર એરપોર્ટ પર આતંકવાદી હુમલો: ત્રણ ઠાર, એકને જીવતો દબોચી લેવાયો

રાજકોટની ભાગોળે આવેલા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકવાદી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ થયું છે.સ્વતંત્રતા પર્વ પૂર્વે મોટી ઘટના બનતા સહેજમાં અટકી ગઈ છે. ચાર જેટલા આતંકવાદીઓ એરપોર્ટનું બેરીકેડ તોડી અંદર પ્રવેશ્યાનો કોલ મળતાની સાથે જ એસઓજી, ક્યુઆરટી સહિતની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસને જોઈ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારે પરિસ્થિતિ અત્યંત નાજુક બની હતી પરંતુ પોલીસે બહાદુરીપૂર્વક આતંકીઓનો સામનો કરી ત્રણ ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા, જ્યારે એકને જીવતો પકડી લેવામાં આવ્યો છે. ઉપરાંત આતંકીઓ પાસેથી મળી આવેલા વિસ્ફોટકોને ડીફ્યુઝ પણ કરી દેવામાં આવ્યો છે.અંતે આ સમગ્ર ઘટનાને મોકડ્રિલ જાહેર કરાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

વડોદરામાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું ગળું દબાવી હત્યા કરી નાખી

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં મોગલવાડા ખાતેના એક ફ્લેટમાં યુવાનના રહસ્યમય મોત પરથી વાડી પોલીસે પડદો ઉચકયો છે. યુવાનનું મોત ગળું દબાવવાથી થયું હોવાની વિગતો પીએમ રિપોર્ટમાં બહાર આવતા પોલીસ તપાસ દરમિયાન તેની હત્યા પત્નીએ જ તેનાં પ્રેમીની મદદથી કરી હોવાનું જાણવા મળતા વાડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કોંગ્રેસ 22 ઓગસ્ટે દેશવ્યાપી આંદોલન કરશે

આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની એક મહત્ત્વની બેઠક પછી કોંગ્રેસે અદાણી, જાતિગત વસ્તી ગણતરી અને બંધારણના રક્ષણના મુદ્દે જનઆંદોલન કરવાની જાહેરાત કરી હતી. પાર્ટી અદાણી-હિન્ડેનબર્ગના વિવાદ વચ્ચે સેબીના વડા માધવી પુરી બુચના રાજીનામાની અને અદાણી મુદ્દાની JPC તપાસની માંગણી સાથે 22 ઓગસ્ટે દેશવ્યાપી આંદોલન કરશે.આગામી થોડા સપ્તાહોમાં પાર્ટી દેશભરમાં આ ત્રણ મુદ્દાઓ પર જાહેર જાગૃતિ અભિયાન ચાલુ કરશે.