IMG-20231106-WA0066

આણંદ જિલ્લામાં બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને માત્ર રૂ. ૫ માં પૌષ્ટિક ભોજન આપવામાં આવશે

આણંદ જિલ્લામાં બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને માત્ર રૂ. માં પૌષ્ટિક ભોજન આપવામાં આવશે

શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત આણંદ - ૨, વિદ્યાનગર-૧ અને બોરસદ-૧ મળી ૪ સ્થળે ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરાશે

પૌષ્ટિક ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા, ગોળ તેમજ સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ

આણંદ,
બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે રાજ્ય  સરકાર દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અમલી બનાવાઈ છે. જે અંતર્ગત શ્રમિકો અને તેમના પરિવારને માત્ર રૂ. ૫ માં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા, ગોળ તેમજ સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ કરવામાં આવે છે. 

આ યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં આગામી તા. ૧૦/૧૧/૨૦૨૩ ના રોજ ૪ નવા ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે. જેમાં આણંદ શહેરના ૧૦૦ ફૂટ રોડ પર આવેલ ભવનાથ મહાદેવ મંદિર પાસે, આણંદ શહેરની બોરસદ ચોકડી પાસેના ત્રી-પાંખીયા ઓવર બ્રીજ પાસે, વલ્લભવિદ્યાનગરના મોટાબજાર ખાતે ઇસ્કોન મંદિર સામે તેમજ બોરસદ એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક એમ કુલ ૪ ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવનાર હોવાનું ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, આણંદના પ્રોજેક્ટ મેનેજરની યાદીમાં જણાવાયું છે. 
*****