AnandToday
AnandToday
Wednesday, 13 Jul 2022 18:30 pm
AnandToday

AnandToday

ઉમરેઠનાં અતિપ્રાચીન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવમાં વર્ષો જૂની પરંપરાગત મુજબ ઐતિહાસિક આષાઢી તોલવામાં આવી..

આષાઢી નાં વર્તારા પ્રમાણે આવનાર વર્ષ અઢાર આની રહેશે એટલે કે ખૂબ જ સારું રહેશે. દરેક પાક ખુબજ સારો થશે

ઉમરેઠ
અષાઢ વદ એકમ 2078  ગુરુવારનાં રોજ  આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠનાં અતિપ્રાચીન શિવાલય શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવનાં મંદિરમાં વર્ષો જૂની પરંપરાગત મુજબ ઐતિહાસિક આષાઢી પંચ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા તોલવામાં આવી હતી.
 આષાઢી નાં વર્તારા પ્રમાણે આવનાર વર્ષ અઢાર આની રહેશે એટલે કે ખૂબ જ સારું રહેશે. દરેક પાક ખુબજ સારો થશે એવો વરતારો મહાદેવજીના આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થયો છે. તલ અને ઘઉં વધારે હોવાથી શિયાળુ પાક ખુબજ સારો રહેશે.ડાંગરનું પ્રમાણ વધારે હોવાથી તેનો પાક અને આધારીત વરસાદ પણ ખૂબ જ સારો રહેશે.આ સાથે માટી ત્રણ રતી ઓછી છે એટલે કે મૃત્યુનું દર વધારે ગણી શકાય.

વર્ષની આષાઢી પ્રમાણે છે.

ઘઉં - 5 વધારે
તલ - 25 વધારે
અડદ - 2 વધારે
મગ - 1 વધારે
કપાસ - 1 વધારે
બાજરી - સમધારણ
માટી - 3 રતી ઓછી
ડાંગર - 5 વધારે
જુવાર - 3 વધારે 
ચણા - 1 વધારે 

ઉમરેઠ એ અતિપ્રાચીન નગરી છે ભારતમાં તે છોટે કાશી તરીકે જગપ્રસિદ્ધ છે. કાશી અને ઉમરેઠની ઘણી બધી સામ્યતા છે. સમગ્ર ભારતમાં માત્ર કાશી અને આજ શિવાલયમાં ઐતિહાસિક આષાઢી તોલવાની પરંપરા છે. છેલ્લા ઘણા વર્ષોથી માત્ર અહીં જ આષાઢી તોલાય છે. ગુરુપૂણિઁમાના દિવસે દસ ધાન્ય જેમાં મગ, ડાંગર, જુવાર, ઘઉં, તલ, અડદ, કપાસ, ચણા, બાજરી અને માટી સહિત એક એક તોલો તોલી પંચ સમક્ષ કોરા કપડાંમાં બાંધી માટીના ઘડામાં નિજમંદિરના ગોખમાં મુકવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે સવારે એટલે કે અષાઢ સુદ એકમના દિવસે આ ધાન્ય ફરી તોલવામાં આવે છે અને તેમાં વધઘટ થઈ જાય છે.આ થતી વધઘટ ઉપરથી ખેડૂતો સમગ્ર વર્ષ દરમ્યાન ખેતી કરતા હોય છે. આ વર્તારાને આષાઢી કહેવાય છે. અષાઢી તોલવા દરમિયાન જે ધાન્યમાં વધારો થયો હોય તે પાક વધારે ઉપજે છે. તેમજ જે ધાન્યમાં ઘટાડો જોવા મળ્યો હોય તે પાકનું ઉત્પાદન વર્ષ દરમિયાન ખુબ જ ઓછું થતું હોય છે. ધાન્યમાં જોવા મળતી વધ-ઘટ પરથી ખેડુતો કયાં પાકની ખેતી કરવી તેનો અંદાજો લગાવે છે. આમ, ચરોતર વિસ્તાર ઉપરાંત આસપાસના જિલ્લાના ખેડુતો  ઉમરેઠમાં બિરાજમાન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજીમાં વિશેષ આસ્થા ધરાવે છે.