
આણંદ ટુડે | વલ્લભવિદ્યાનગર
આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટીના પીએચ.ડી. સંશોધક મનૌતી ચૌધરીએ તેમનો મહાનિબંધ "વીજળીની ઘટનાઓમાં ઇલેક્ટ્રોન ઇમ્પેક્ટ પ્રક્રિયાઓનો સંચયી અભ્યાસ અને FDTD પદ્ધતિ દ્વારા મંગળ પર સર્જાતા શુમાન રેઝોનન્સનું મોડેલિંગ" સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. માર્ગદર્શક ડૉ. ફોરમ જોશીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા આ સૈદ્ધાંતિક સંશોધનમાં મંગળ ગ્રહના વાતાવરણમાં થતી વિદ્યુતીય પ્રક્રિયાઓ, વીજળીના વિસર્જન, ધૂળના વાવાઝોડા અને ઈલેક્ટ્રોન-મોલેક્યુલર ક્રિયાપ્રતિક્રિયાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે.
આ રિસર્ચમાં SCOP અને vCSP-ic પદ્ધતિઓ દ્વારા મહત્વના વાયુઓ માટે ઈલેક્ટ્રોન-ઈમ્પેક્ટ પ્રોસેસની કમ્પ્યુટર આધારિત ગણતરી રજૂ કરવામાં આવી છે. ઉપરાંત, FDTD અને FFT પદ્ધતિ મારફતે મંગળ ગ્રહ પર શુમાન રેઝોનન્સ અને વાતાવરણીય વાહકતા વચ્ચેના સંબંધોને મોડેલ દ્વારા દર્શાવ્યા છે. આ સંશોધનમાં મેથેમેટિકલ મોડેલ્સ પણ જાતે વિકસાવવામાં આવ્યા છે, જે મંગળ ઉપરાંત અન્ય ગ્રહોના વાતાવરણ અંગેના અભ્યાસમાં પણ ઉપયોગી બનશે. ભવિષ્યમાં આ સંશોધન પ્લેનેટરી વિજ્ઞાન, સ્પેસ મિશન, એસ્ટ્રોબાયોલોજી અને વાયરલેસ કમ્યુનિકેશન ક્ષેત્રે અત્યંત ઉપયોગી સાબિત થશે.
ડૉ. મનૌતી ચૌધરીની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી ભીખુભાઈ પટેલ અને પ્રોવોસ્ટ ડૉ. ઈન્દ્રજીત પટેલ સહિતના હોદ્દેદારોએ તેમને અને માર્ગદર્શક અધ્યાપિકા ડૉ. ફોરમ જોશીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.