
વલ્લભ વિદ્યાનગર
વલ્લભ વિદ્યાનગર શહેર મહિલા મોરચા દ્વારા આજે પ્રગતિ મંડળ ખાતે આણંદના લોકપ્રિય સાંસદશ્રી મિતેશભાઈ પટેલ દ્વારા પ્રારંભ કરવામાં આવેલ 'સાંસદ જનસેવા રથ' અંતર્ગત ૧૫૪મા સેવા કેમ્પનું ભવ્ય તથા સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેયોસ હોસ્પિટલના સહયોગથી એક વિશાળ નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ પણ યોજાયો હતો.
સાંસદ જનસેવા રથના માધ્યમથી અત્યાર સુધીમાં આણંદ લોકસભા વિસ્તારમાં અંદાજે ૧૫,૦૦૦ જેટલા લાભાર્થીઓને આયુષ્માન ભારત કાર્ડનો સીધો લાભ પહોંચાડવામાં આવ્યો છે. સાંસદશ્રી મિતેશભાઈ પટેલના સતત માર્ગદર્શન અને જનસેવાકીય અભિગમને કારણે સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ હવે સામાન્ય અને છેવાડાના નાગરિકો સુધી સરળતાથી પહોંચી રહી છે.
કેમ્પમાં ઉપસ્થિત નાગરિકોને આયુષ્માન ભારત કાર્ડ, વિધવા સહાય યોજના, ઈ-કેવાયસી અને કિસાન સન્માન નિધિ જેવી મહત્વપૂર્ણ યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન અને સ્થળ પર જ જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
રેયોસ હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરો અને તેમની સક્ષમ ટીમ દ્વારા કેમ્પમાં પધારેલા નાગરિકોની સ્વાસ્થ્ય તપાસ કરી યોગ્ય તબીબી પરામર્શ આપવામાં આવ્યો હતો.
આણંદ લોકસભા વિસ્તારમાં પંદર હજારથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ અપાવવામાં નોંધપાત્ર યોગદાન આપનાર શ્રી નિરવભાઈ શાહ અને તેમની ટીમ તેમજ રેયોસ હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરોનું વલ્લભ વિદ્યાનગર શહેર મહિલા મોરચા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી અને મહિલા મોરચાએ આ અવસરે જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓ માત્ર કાગળ પર નહીં પરંતુ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે તે માટે આવા સેવા કાર્યો અવિરત ચાલુ રહેશે, જેથી વધુમાં વધુ જનજાગૃતિ ફેલાય અને લોકો સરકારી યોજનાઓનો મહત્તમ લાભ મેળવી શકે.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં વલ્લભ વિદ્યાનગર શહેર મહિલા મોરચાના પ્રમુખ વૈશાલીબેન દવે, મહામંત્રીશ્રીઓ (હેતલબેન, હેમાલીબેન), મંત્રી આનલબેન, ઉપપ્રમુખો (દીપિકાબેન, જીગીશાબેન, અમીબેન) તેમજ ભાજપ યુવા મોરચાના પ્રમુખ અક્ષરભાઈ, મહામંત્રીશ્રીઓ અને બંને મોરચાના હોદ્દેદારો તથા કાર્યકરોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી સક્રિય સહયોગ આપ્યો હતો. કેમ્પમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી નાગરિકોએ આ સેવાયજ્ઞનો લાભ લીધો હતો.