
આણંદ, મંગળવાર
આણંદ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનનની પ્રવૃત્તિઓ સામે તંત્રએ કડક વલણ અપનાવતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ખાણ-ખનિજ વિભાગે મહી નદીના પટમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર મોટો દરોડો પાડી અંદાજે રૂ. 53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન મુજબ આણંદના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા આજે વહેલી સવારે આંકલાવ તાલુકાના ગંભીરા-બામણગામ વિસ્તારને અડીને આવેલા મહી નદીના પટમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. રેતીના ગેરકાયદેસર ખોદકામ અંગે મળેલી વ્યાપક ફરિયાદોના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન સ્થળ પર સાદી રેતીનું ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. ખનન માટે ઉપયોગમાં લેવાતા એક એક્સેવેટર મશીન અને બે નાવડીઓ (બોટ) સહિત કુલ રૂ. 53 લાખની કિંમતનો મુદ્દામાલ સ્થળ પરથી જ સીઝ કરવામાં આવ્યો હતો.
ખનીજ ચોરીના આ કેસમાં જપ્ત કરાયેલા તમામ સાધનો સામે ખનિજ કાયદા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર અને ખાણ-ખનિજ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર ખનન સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે અને આગામી દિવસોમાં પણ આવા તત્વો સામે સઘન ચેકિંગ તથા કડક કાર્યવાહી ચાલુ રહેશે.