AnandToday
ચાવડાપુરા,જીટોડીયા ચર્ચમાં ફાધર જગદીશ મેકવાનની બદલી થતા લાગણીસભર વિદાય
Saturday, 06 Jun 2026 18:30 pm
AnandToday

AnandToday

ચાવડાપુરા,જીટોડીયા ચર્ચમાં ફાધર જગદીશ મેકવાનની બદલી થતા લાગણીસભર વિદાય

પાંચ વર્ષની સેવાકીય કામગીરીને બિરદાવી ધર્મજનોએ પુષ્પવર્ષા કરી; ફાધર સીરીલ ડાયસનું સ્વાગત કરાયું

આણંદ ટુડે | આણંદ
નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય, ચાવડાપુરા-જીટોડિયા ખાતે છેલ્લા પાંચ વર્ષથી મુખ્ય સભા પુરોહિત તરીકે સેવા આપતા ફાધર જગદીશ મેકવાનની તાજેતરમાં બદલી થતાં તેમને ખેડા જિલ્લાના માતર ખાતે મુખ્ય સભા પુરોહિત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ચાવડાપુરા ચર્ચ ખાતે ધર્મજનોએ તેમને લાગણીસભર વિદાય આપી હતી.
પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ફાધર જગદીશ મેકવાને ધર્મજનોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ, સેવા, માફી અને ભાઈચારાનો સંદેશ આપી ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની સેવાકીય કામગીરીની કદરરૂપે ધર્મજનોએ પુષ્પગુચ્છ અર્પણ કરી, સાલ ઓઢાડી અને સ્મૃતિભેટ આપી સન્માનિત કર્યા હતા.
વિદાય પ્રસંગે ચર્ચમાંથી બહાર નીકળતા ફાધર જગદીશ મેકવાન પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ધર્મજનોમાં તેમના પ્રત્યેના પ્રેમ અને લાગણીના દૃશ્યો જોવા મળ્યા હતા અને અનેક લોકો ભાવુક બન્યા હતા.
આ પ્રસંગે ફાધર જગદીશ મેકવાને ચાવડાપુરા તાબાના ધર્મજનોનો પ્રેમ, સાથ અને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અહીં સેવા આપતી વખતે તેમને દરેક ધર્મજનનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન નવા મુખ્ય સભા પુરોહિત ફાધર સીરીલ ડાયસનું પણ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદાય સમારોહમાં ફાધર આરોક, ફાધર પ્રમોદ, સિસ્ટર હંસા સહિત ચાવડાપુરા-જીટોડિયા તાબાના વિવિધ ગામોના મોટી સંખ્યામાં ધર્મજનો ઉપસ્થિત રહ્યા હતા.