
આણંદ ટુડે | ચાંગા
ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (CHRF) સંચાલિત, મલ્ટી સ્પેશિયાલીટી ચારુસેટ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારતા વધુ એક અત્યાધુનિક સુવિધાનો ઉમેરો થયો છે. ચારુસેટ કેમ્પસ ખાતે આવેલી ચારુસેટ હોસ્પિટલમાં 16 મે, શનિવારે કાન-નાક-ગળા (ENT)ના વિભાગમાં આધુનિક વર્કસ્ટેશન તરીકે OPD પ્રોસીજરરૂપ ‘ઈ.એન.ટી. એન્ડોસ્કોપી ક્લિનિક’ (ENT ENDOSCOPY CLINIC) નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ક્લીનીકના પ્રારંભથી લાઇવ વર્ક સ્ટેશન દ્વારા ENT સંબંધિત તમામ રોગોનું સચોટ નિદાન અને અસરકારક સારવાર થશે.
આ એન્ડોસ્કોપી ક્લિનિકનું રીબીન કટિંગ સાથે વિધિવત ઉદઘાટન કેળવણી મંડળ અને ચારુસેટ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ, CHRFના પ્રમુખ અને સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળ- CHRFના મંત્રી ડો. એમ. સી. પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ઉદઘાટન પ્રસંગે કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી સી. એ. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી દીપકભાઈ પટેલ, સહમંત્રી શ્રી ધીરુભાઈ પટેલ, ચારુસેટ યુનીવર્સીટીના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ, ચારુસેટ યુનીવર્સીટીના રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલ, શ્રી ઉમેશભાઈ પટેલ, સેજલબેન પટેલ, હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડો. સમીર બાબરિયા ઉપરાંત માતૃસંસ્થા, કેળવણી મંડળ, ચારુસેટ અને CHRFના વિવિધ હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, હોસ્પિટલના નિષ્ણાત ડોકટરો તેમજ પેરામેડિકલ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
હોસ્પિટલના ઈએનટી સર્જન ડો. કૃતિકા સોનવણેએ જણાવ્યું હતું કે કાન, નાક તથા ગળાના તમામ રોગો માટે નિદાન તરીકે એન્ડોસ્કોપી દ્વારા ટીવી સ્ક્રીન પર પ્રોસીજર જોઈ શકાશે અને વધુ માર્ગદર્શન દર્દીઓને આપી શકાશે. આ નિદાન હેઠળ ENTને લગતા તમામ ઓપરેશન અત્યાધુનિક પાવર ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા PMJAY હેઠળ તથા બીજી હોસ્પિટલો કરતા વધુ ટેકનોલોજી, વધુ સુવિધા અને રાહત દરે થઈ શકશે. સાથે સાથે OPD અપગ્રેડ થઈને એલર્જી તથા વર્ટીગો ક્લીનીકની પણ સુવિધા આપશે જેથી SPT-એલર્જી ટેસ્ટ તથા ચક્કર માટેનું નિદાન તથા સારવાર પણ ઉપલબ્ધ થશે.
ચારુસેટ હોસ્પિટલ હંમેશાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના દર્દીઓને પરવડે તેવી કિંમતે શ્રેષ્ઠ તબીબી સેવાઓ આપવા કટિબદ્ધ રહી છે. આ નવા એન્ડોસ્કોપી ક્લિનિકના પ્રારંભથી કાન, નાક અને ગળાની તકલીફો ધરાવતા દર્દીઓ માટે સચોટ નિદાનની નવી દિશા ખુલશે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હવે ENT સારવાર વધુ સરળ, ઝડપી અને અસરકારક બનશે. આ સુવિધાનો લાભ આસપાસના વિસ્તારના તમામ જરૂરિયાતમંદ દર્દીઓને લેવા માટે હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.