AnandToday
AnandToday
Friday, 15 May 2026 18:30 pm
AnandToday

AnandToday

8 વર્ષ બાદ ચાલુ વર્ષે અધિક જેઠ માસનો દુર્લભ સંયોગ

17 મેથી 15 જૂન સુધી રહેશે અધિક માસ, ભગવાન વિષ્ણુની આરાધના અને દાનનું વિશેષ મહત્વ

આણંદ ટુડે 

હિંદુ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાલુ વર્ષે 8 વર્ષ બાદ ફરી એકવાર “અધિક જેઠ માસ” નો પાવન સંયોગ સર્જાયો છે. હિંદુ પંચાંગ મુજબ અધિક જેઠ માસનો પ્રારંભ 17 મેથી થશે અને તેનો સમાપન 15 જૂને થશે. ધાર્મિક માન્યતા મુજબ આ સમગ્ર સમયગાળો પૂજા-પાઠ, જપ-તપ, દાન અને આધ્યાત્મિક સાધના માટે અત્યંત શુભ માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ચંદ્ર માસ દરમિયાન સૂર્ય સંક્રાંતિ થતી નથી ત્યારે તે માસને “અધિક માસ” તરીકે માન્યતા આપવામાં આવે છે. હિંદુ શાસ્ત્રોમાં દર ત્રણ વર્ષે આવો વધારાનો મહિનો ઉમેરાય છે, જે ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે.

જ્યોતિષાચાર્યોના જણાવ્યા મુજબ વર્ષ 2018 બાદ હવે 2026માં અધિક જેઠ માસ આવ્યો છે અને હવે પછી આ દુર્લભ યોગ વર્ષ 2045માં બનશે. હિંદુ પંચાંગ અનુસાર કારતકથી ફાગણ વચ્ચે અધિક માસ આવતો નથી.

ધાર્મિક માન્યતાઓ મુજબ અધિક માસ દરમિયાન ભગવાન વિષ્ણુની વિશેષ આરાધના કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. ભક્તો આ સમય દરમિયાન ઉપવાસ, દાન, જપ-તપ અને ધાર્મિક ગ્રંથોના પાઠ કરે છે. મંદિરોમાં ભાગવત કથા, ભજન-કીર્તન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવે છે.

દેશભરના મંદિરો અને ધાર્મિક સ્થળોએ અધિક જેઠ માસને લઈને વિશેષ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભક્તોમાં પણ આ પવિત્ર માસને લઈને ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે.