
આણંદ ટુડે | આણંદ
વિશ્વના નકશા પર ‘મિલ્ક કેપિટલ’ તરીકે ઓળખાતું આણંદ આજે નેતાઓની નફફટાઈ અને ભ્રષ્ટાચારના કાદવમાં ફસાયું હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે. ભાજપના લગભગ પોણા ત્રણ દાયકાના શાસન અને ત્યારબાદ સવા વર્ષના વહીવટદારના સમયમાં થયેલા વિકાસનું મૂલ્યાંકન કરીએ તો તે વિકાસ માત્ર કાગળો અને નેતાઓ-બિલ્ડરોની બેલેન્સ શીટમાં જ સીમિત હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે.
એક સમય એવો હતો જ્યારે આણંદની સરખામણી વડોદરા અને અમદાવાદ જેવા શહેરો સાથે થતી હતી, આજે રાજકોટ અને સુરત જેવા શહેરો વિકાસની દોડમાં આગળ વધી ‘સ્માર્ટ સિટી’ બની ગયા છે. બીજી તરફ, સરદાર પટેલની આ પવિત્ર ભૂમિમાં ગટર, રસ્તા અને ટ્રાફિક જેવી મૂળભૂત સમસ્યાઓ આજે પણ યથાવત રહેતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
સ્થાનિકોમાં એવો આક્રોશ છે કે સત્તાના નશામાં ચૂર શાસકોએ આણંદના ગૌરવને ભ્રષ્ટાચારની ભઠ્ઠીમાં હોમી દીધું છે. ટેક્સના રૂપિયામાંથી મળતી આવકનો ઉપયોગ જનસુવિધા માટે થવાને બદલે વ્યક્તિગત લાભ માટે થાય છે, તેવી ચર્ચાઓ જોર પકડતી જાય છે.
આણંદના જાગૃત નાગરિકો હવે વિકાસના નામે મળેલી ગ્રાન્ટનો હિસાબ માંગવા માટે સજ્જ થઈ રહ્યા છે. વર્ષો સુધી ચાલતા આવેલા કૌભાંડો સામે લોકોનો ગુસ્સો હવે ચરમ સીમા પર છે અને આવનારી ચૂંટણીમાં આ જનઆક્રોશ મોટો રાજકીય ફેરફાર લાવી શકે તેવી ચર્ચાઓ તેજ બની રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આણંદની જનતા આ વખતે કેવી પ્રતિક્રિયા આપે છે અને શું ખરેખર ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ આપે છે કે નહીં. તેવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે
નોધ -વેબસાઈટમાં આપેલ તસવીર -A.I