AnandToday
AnandToday
Wednesday, 08 Apr 2026 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લામાં ખનન માફિયાનો આતંક : મહીસાગર નદીનો પટ બન્યોડેથ ઝોન

બેફામ ખોદકામથી જીવલેણ સ્થિતિ, બે મોત બાદ જનરોષ ઉગ્ર , તંત્રની કાર્યવાહી માત્ર દેખાડો..?

આણંદ ટુડે | આણંદ

આણંદ જિલ્લામાં મહીસાગર નદીનો પટ હવે ખનન માફિયાઓ માટે સોનાની ખાણ બની ગયો છે, પરંતુ સામાન્ય જનતા માટે તે ‘ડેથ ઝોન’ સાબિત થઈ રહ્યો છે. અંધાધૂંધ અને ગેરકાયદેસર ખોદકામના કારણે નદીનો કુદરતી સંતુલન ખોરવાઈ ગયો છે, જેના પરિણામે તાજેતરમાં ખેરડા નજીક બે નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

માફિયાઓ દ્વારા વાસદ, પ્રતાપપુરા, ખાનપુર અને રાજપુરા જેવા વિસ્તારોમાં ખુલ્લેઆમ ખનિજ ચોરી થઈ રહી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. વધુમાં, ખાનગી તેમજ સરકારી જમીનમાં પણ બિનઅધિકૃત ખોદકામ થતું હોવાની વ્યાપક ફરિયાદો છે. આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ખાણ-ખનીજ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના સંડોવણીના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે.

તાજેતરમાં તંત્ર દ્વારા આંકલાવ, ગંભીરા અને બામણગામ વિસ્તારમાંથી ₹1.10 કરોડના મુદ્દામાલ સાથે 2 એક્સ્કેવેટર અને 4 મિકેનિકલ નાવડીઓ જપ્ત કરવામાં આવી હોવા છતાં, સ્થાનિકો આ કાર્યવાહી ને ‘માત્ર દેખાડો’ ગણાવી રહ્યા છે. જમીન સ્તરે કોઈ મોટો ફેરફાર ન જોવા મળતા લોકોમાં અસંતોષ વધી રહ્યો છે.

સ્થાનિકોમાં એવો પણ આક્ષેપ છે કે હપ્તાખોરીના જોરે માફિયાઓ તંત્રને પોતાના કાબૂમાં રાખે છે, જેના કારણે ઉચ્ચસ્તરીય વિજિલન્સ દરોડાઓ પણ અસરકારક સાબિત થતા નથી. હાલ પરિસ્થિતિ એવી બની છે કે નદી અને સરકારી જમીનોના અસ્તિત્વ સામે જ ખતરો ઊભો થયો છે.

હવે જનતાની એક જ માંગ છે સમગ્ર મામલે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર તથા માફિયા રાજ પર કડક પગલાં લેવામાં આવે. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય, તો આગામી સમયમાં વધુ જીવહાનિ થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.

સરકારી તિજોરીને લાખો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન

આણંદ જિલ્લામાં મહીસાગર નદીના પટમાં બેફામ ગેરકાયદેસર ખનનને કારણે નદીના અસ્તિત્વ પર ગંભીર ખતરો ઊભો થયો છે. આ પ્રવૃત્તિઓથી સરકારી તિજોરીને લાખો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન થઈ રહ્યું છે. તંત્ર અને ખનન માફિયાઓ વચ્ચે સાંઠગાંઠના આક્ષેપો વચ્ચે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. હવે સમગ્ર મામલે CMO સ્તરે ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠી રહી છે, સાથે જ સ્થાનિકોએ “હવે આરપારની લડાઈ”ની ચેતવણી આપી હોવાની ચર્ચા ટોચ ઓફ ધ ટાઉન બની છે .