
આણંદ ટુડે | આણંદ
ચાવડાપુરા-જીટોડીયા સ્થિત નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ખાતે આજે તાડપત્રના રવિવારની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મજનો ઉપસ્થિત રહી પ્રાર્થના અને ધાર્મિક વિધિમાં જોડાયા હતા.
ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાને જણાવ્યું હતું કે ખ્રિસ્તી ધર્મમાં ચાલી રહેલા ૪૦ દિવસના ઉપવાસનો આ અંતિમ તબક્કો છે અને આજથી પવિત્ર અઠવાડિયાની શરૂઆત થાય છે. આ સમયગાળો પ્રભુ ઈસુ ખ્રિસ્તના ત્યાગ, પસ્તાવો અને આધ્યાત્મિક સાધનાનો પ્રતીક છે.
તાડપત્ર રવિવારના મહત્વ અંગે તેમણે જણાવ્યું કે આજથી મહાસપ્તાહ શરૂ થાય છે, જેમાં પ્રભુ ઈસુની કાલવારી યાત્રાનો આરંભ થાય છે. પ્રભુ ઈસુના જીવનમાંથી પ્રેરણા લઈ માણસે દ્વેષ અને નિંદા છોડીને એકબીજા સાથે ભાઈચારાથી રહેવું જોઈએ અને માફીનો ભાવ અપનાવવો જોઈએ—એજ આજનો મુખ્ય સંદેશ છે.
આ પ્રસંગે પેરિશ ઓફિસથી ચર્ચ સુધી ભવ્ય ધાર્મિક સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ધર્મજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ત્યારબાદ પરમયજ્ઞમાં ભાગ લઈ ભક્તોએ પ્રાર્થનામાં તલ્લીનતા અનુભવી હતી.
આ અઠવાડિયા દરમિયાન પવિત્ર ગુરુવારે અંતિમ ભોજન અને પગ ધોવાની વિધિ યોજાશે, જ્યારે ગુડ ફ્રાઇડેના દિવસે પ્રભુ ઈસુના ક્રૂસ પર મરણની સ્મૃતિમાં ખાસ ભક્તિ યોજાશે. ત્યારબાદ રવિવારે ઈસ્ટર સન્ડે નિમિત્તે પ્રભુ ઈસુના પુનરુત્થાનની ઉજવણી કરવામાં આવશે.