
આણંદ ટુડે | આણંદ
આણંદ જિલ્લા ભાજપના નવનિયુક્ત સંગઠન પ્રભારી શ્રીમતી વર્ષાબેન દોશીએ આજે આણંદ જિલ્લાની પ્રથમ સત્તાવાર મુલાકાત લીધી હતી. નિમણૂક બાદ પ્રથમ વખત આણંદ પધારેલા વર્ષાબેન દોશીનું જિલ્લા તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે અંદાજે ૯:૪૫ કલાકે આણંદ ખાતે આગમન કર્યા બાદ વર્ષાબેન દોશીએ સૌપ્રથમ ગોયા તળાવ નજીક આવેલ પ્રસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે પહોંચી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. અહીં શહેર અને જિલ્લા ભાજપના અગ્રણીઓએ ફૂલહાર પહેરાવી તેમનું સન્માન કર્યું હતું. માતાજીના દર્શન બાદ તેઓ નાવલી સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે પ્રસ્થાન કર્યા હતા.
જિલ્લા કાર્યાલય ખાતે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ દ્વારા વર્ષાબેન દોશીનું ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંજયભાઈ પટેલે જિલ્લાના વિવિધ મોરચા અને પાંખના હોદ્દેદારો સાથે પ્રભારીશ્રીનો પરિચય કરાવ્યો હતો. સ્વાગત કાર્યક્રમ બાદ વર્ષાબેન દોશીએ ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધ્યો હતો અને સંગઠનની આગામી રણનીતિ તેમજ વિકાસલક્ષી કાર્યો અંગે વિચારવિમર્શ કર્યો હતો.
આજરોજ દિવસ દરમિયાન જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રભારી વર્ષાબેન દોશીના અધ્યક્ષસ્થાને વિવિધ મંડળ અને સંગઠનના હોદ્દેદારો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાનાર છે. આ બેઠકોમાં સંગઠનને પાયાના સ્તરે વધુ મજબૂત બનાવવું તેમજ સરકારની યોજનાઓને સામાન્ય જનતા સુધી અસરકારક રીતે પહોંચાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા સંગઠનના પ્રતિનિધિઓ, વિવિધ મોરચાના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.